Chapter : નમાઝ
(Page : 218-219)
સવાલ :– મસ્જિદ મારી ઓફિસથી છ કિલોમીટર દૂર છે અને જુમ્અહની નમાઝ પઢવા માટે મસ્જિદે જવા–આવવામાં સમયસર કોઈ વાહન ન મળવાના કારણે લગભગ ત્રણ કલાકનો સમય લાગી જાય છે, જો કે નમાઝથી તો ત્રીસથી ચાળીસ મિનિટમાં જ ફારિગ થઈ જવાય છે. આ સૂરતમાં જુમ્અહ પઢવા માટે મસ્જિદે જવામાં દર જુમ્અહના ત્રણ કલાક નીકળી જાય છે, જેમાંથી અડધા કલાકની મારી રિશેષ હોય છે અને બાકીના અઢી કલાકનો મારો પગાર કપાય અથવા તો મારે સવારમાં એટલો સમય વહેલું નોકરીએ જવું પડે અથવા સાંજે એટલું મોડું છૂટવું પડે, તો આવી તકલીફના કારણે જો ઓફિસમાં જ ઝોહરની નમાઝ અદા કરી લેવામાં આવે તો મસ્અલાની રૂએ જુમ્અહનો હક અદા થાય કે નહિ ?
જવાબ :– જે મુસલમાન ઉપર જુમ્અહ ફર્ઝ હોય તેવા નોકરિયાત મુસલમાન માટે જુમ્અહ પઢવામાં વધુ સમય લાગવાથી પગારમાં કમી થવાના કારણે અથવા તો જુમ્અહના દિવસે શરૂમાં કે અંતમાં નોકરીનો સમય બીજા દિવસો કરતાં વહેલો કે મોડો પૂરો થવાના કારણે જુમ્અહની નમાઝ માફ નહિ થાય અને આ સૂરતમાં જુમ્અહ છોડવા બાબત શરીઅતની રૂએ મઅઝૂર નહિ ગણાય અને ફકત સવાલમાં દર્શાવેલ કારણોના આધારે જુમ્અહની નમાઝ છોડવી હરામ અને નાજાઈઝ ગણાશે. માટે જુમ્અહની જગ્યાએ ઝોહર પઢી લેવાથી વખતનો ફર્ઝ તો અદા થઈ જશે, પરંતુ અસલ ફર્ઝ છોડી હરામ અપનાવવાનો ગુનાહ લાગુ પડશે. (‘શામી ૧/પ૪૭)
Log in or Register to save this content for later.