Chapter : નમાઝ
(Page : 216-217-218)
સવાલ :– અહિંયા કીંશાસા ખાતે એક નવી મસ્જિદ બનાવવામાં આવી છે ત્યાં જુમ્અહના દિવસે બહુ જ ભીડ થાય છે. મસ્જિદની પાછળ અને આજુબાજુ ઘરો હોવાના લીધે પાંચસો–છસો માણસો મસ્જિદ અને ચોગાનમાં નમાઝ પઢે છે અને બાકીના લગભગ હજાર માણસો મસ્જિદથી આગળના રસ્તા ઉપર ઊભા રહી જુમ્અહની નમાઝ પઢે છે. આ સંજોગોમાં અમોએ જુમ્અહની જમાઅત બે વાર કરવાનું વિચાર્યું, પરંતુ ઈસ્લામી અરકાનમાં બે વાર જમાઅત કરવાની મનાઈ વાંચી અને આ સાથે એવું પણ જાણવા મળ્યું છે કે, જો જગ્યાની આવી જ અગવડ હોય તો માલિકી ફિકહમાં મુકતદીઓએ ઈમામથી આગળ ઊભા રહેવું પણ જાઈઝ છે, તો હવે અમારે શું કરવું જોઈએ ?
જવાબ :– પૂછેલી સૂરતમાં એક જ મસ્જિદમાં જુમ્અહની જમાઅત એ પ્રમાણે બીજીવાર કરવી કે ફરીવાર અઝાન અને ઈકામત પણ કહેવામાં આવે અને પહેલી જમાઅતના ઈમામની જેમ બીજી જમાઅતના ઈમામ પણ મિહરાબમાં જ ઊભા રહે એવી બીજી જમાઅત મકરૂહે તહરીમી અને નાજાઈઝ છે.
હઝરત ઉમર ફારૂક (રદિ.)થી ‘તહાવી શરીફમાં સહીહ સનદ સાથે મનકૂલ છે કે તેઓ જુમ્અહની બાજમાઅત નમાઝ પછી તે જ પ્રમાણે બીજી જમાઅત કરી જુમ્અહ પઢવાને મકરૂહ ફરમાવતા હતા.
અને જો જુમ્અહની બીજી જમાઅત અઝાન–ઈકામત વગર એ પ્રમાણે કરવામાં આવે કે બીજી જમાઅતના ઈમામ મિહરાબ છોડીને બીજી જગ્યાએ ઊભા રહે તો આ સૂરતમાં બીજી જમાઅત નાજાઈઝ તો નથી પરંતુ મકરૂહે તનઝીહી જરૂર છે.
જો મજકૂર સ્થળે નજદીકમાં બીજી કોઈ મસ્જિદ ન હોય જયાં પહેલી જમાઅતથી બાકી રહેલા નમાઝીઓ જુમ્અહ પઢવા જઈ શકે અને ન તાત્કાલિક મજકૂર મસ્જિદને વિશાળ કરી શકાય છે અને ન આસપાસના મહોલ્લામાં હાલ તુરત બીજી મસ્જિદ બનાવી શકાય છે તો આવી હાલતમાં કે જો બીજી જમાઅત ન કરવામાં આવે તો જગાની તંગીના લઈને અમુક નમાઝીઓની જુમ્અહ છૂટી જાય અથવા ઈમામથી આગળ ઊભા રહેવાના કારણે અમુકની નમાઝ દુરૂસ્ત ન થાય, એવી વ્યવસ્થા થતાં સુધી કે એક જ મસ્જિદમાં જુમ્અહની બીજી જમાઅત કર્યા વગર બધા જ નમાઝીઓ જાઈઝ તરીકાથી જુમ્અહની નમાઝ પઢી શકે, હંગામી તોર પર એ વાતની ગુંજાઈશ છે કે જે લોકોને પહેલી જમાઅત વખતે જાઈઝ તરીકા પ્રમાણે ઊભા રહેવાની જગ્યા ન મળી હોય તે લોકો બીજી વાર અઝાન– ઈકામત કહ્યા વગર અને બીજી જમાઅતના ઈમામ પહેલા ઈમામને ઊભા રહેવાની જગા એટલે મિહરાબ છોડીને બીજી કોઈ જગાએ ઊભા રહે એ પ્રમાણે પહેલી જમાઅતની શકલ–સૂરત બદલીને જુમ્અહની બીજી જમાઅત કરી લે.
પરંતુ જુમ્અહની બીજી જમાઅત હંમેશા માટે અને દર જુમ્અહના દિવસે નકકી હોવાનું એલાન ન કરવામાં આવે કે જેથી લોકો પહેલી જમાઅત વખતે હાજર થવામાં સુસ્તી કરવા લાગે અને ભીડનો પ્રશ્ન જેમનો તેમ બાકી જ રહે. અને મામૂલી બહાનાના આધારે પણ મસ્જિદમાં બીજી જમાઅતને લોકો જાઈઝ સમજવા લાગે.
(‘શામી ૧, ‘ઈમ્દાદુલ ફતાવા ૧, ‘કિ.મુફતી ૩)
જે લોકો ઈમામથી આગળ ઊભા રહીને જુમ્અહ પઢે છે તેઓની નમાઝ દુરૂસ્ત થતી નથી, કારણ કે મુકતદીની નમાઝના દુરૂસ્ત થવા માટે ઈમામની સાથે અથવા ઈમામની પાછળ ઊભા રહેવું ઝરૂરી છે અને હનફી મુકતદીઓ માટે ઈમામ માલિક (રહ.)ના મજકૂર કથન અનુસાર ઈમામથી આગળ ઊભા રહેવું જાઈઝ નથી.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) જમાઅતની નમાઝમાં એક–બેથી વધુ મુકતદીઓ હોય તો હંમેશા તેઓની આગળ અને એક–બે મુકતદી હોય તો તેઓની સાથે ઊભા રહેતા હતા. કદી કોઈ મુકતદીનું જમાઅતની નમાઝમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી આગળ ઊભા રહેવું સાબિત નથી. (‘કબીરી પર૦)
Log in or Register to save this content for later.