[૧પ૬] નાના ગામમાં નફલની નિય્યતથી જુમ્અહ

Chapter : નમાઝ

(Page : 214-215-216)

સવાલ :– અમારે ત્યાં એક ઈમામ સાહેબ સાત વર્ષોથી ઈમામત કરાવે છે અને જુમ્અહના દિવસે ખુત્બો અને જુમ્અહની બે રકઆત નમાઝ પણ પઢાવે છે અને બધા લોકો તેઓની પાછળ જુમ્અહની નમાઝ પઢે છે. પાછળથી ઈમામ સાહેબે અમુક માણસોને એમ કહ્યું કે, આપણા ગામમાં ઈદ તેમજ જુમ્અહ દુરૂસ્ત નહિ થાય તો સાંભળનાર માણસોએ સવાલ કર્યો કે મૌલવી સાહેબ, આપ પોતે તો નમાઝ પઢાવો છો અને કહો છો કે નમાઝ થતી નથી. તો જવાબમાં ઈમામ સાહેબે કહ્યું કે, હું તો જુમ્અહ નથી પઢાવતો, નફલની નિય્યતથી બે રકઆત નમાઝ પઢાવી લઉં છું અને પછી તુરત ઝોહરની નમાઝ પઢી લઉં છું, તો ઈમામ સાહેબે આ રીતે નમાઝ પઢાવવું કેવું છે ? મુકતદીઓ જુમ્અહની નિય્યત કરે છે અને ઈમામ સાહેબ નફલની નિય્યતથી નમાઝ પઢાવે છે. જયારે બીજા માણસોને પણ આ વાતની ખબર પડી તો ઈમામ સાહેબ પાસે આવ્યા અને તેઓથી મજકૂર વાતની તહકીક કરી તો ઈમામ સાહેબે કહ્યું કે, સમજફેર છે. જેમ મોટું ગામ હોય તેમ સારું. તો શું ઈમામ સાહેબે ગામવાળાઓ સામે આ હકીકત જાહેર કરવી જોઈએ કે નહિ ? કે પછી આ પ્રમાણે જ ચાલું રાખે કે પોતે નફલની નિય્યત કરે અને મુકતદીઓ જુમ્અહની ફર્ઝ નમાઝની નિય્યત કરે અને આ સૂરતમાં મુકતદીઓ ઝોહરની નમાઝથી મહરૂમ રહી જાય છે તેનું શું ?

જવાબ :– જ્યારે તમારી મસ્જિદના ઈમામ સાહેબ હનફી ફિકહ મુજબ તમારા ગામમાં જુમ્અહની નમાઝ ફર્ઝ અને જાઈઝ સમજતા નથી તો તેઓએ પોતે નફલની નિય્યત કરી લોકોને જુમ્અહની નમાઝ પઢાવવી જાઈઝ અને દુરૂસ્ત નથી અને ઈમામ સાહેબને જોઈએ કે તેઓ ગામ લોકોને સમજાવે કે જુમ્અહની નમાઝના ફર્ઝ અને દુરૂસ્ત થવાની શર્તોમાંથી એક શર્ત શહેર અથવા મોટું ગામ હોવું છે અને આ શર્તના આધારે આપણા ગામ જેવા નાના ગામમાં જુમ્અહ ફર્ઝ થતી નથી અને જો પઢવામાં આવે તો દુરૂસ્ત પણ થતી નથી અને ફર્ઝ અદા થતો નથી અને ગામ લોકોને જોઈએ કે તેઓ ઈમામ સાહેબ તરફથી મસ્અલહની ચોખવટ મુજબ અમલ કરે અને જયાં જુમ્અહ ફર્ઝ અને દુરૂસ્ત ન થતી હોય એવા ગામમાં જુમ્અહ પઢવાનો આગ્રહ ન કરે.

               ઈમામ સાહેબે આ પ્રમાણેની ચોખવટ કરવા છતાં જે લોકો જુમ્અહને જાઈઝ સમજી તેને પઢવા આગ્રહ રાખતા હોય તેઓ પોતાનામાંથી કોઈ લાયક માણસને જુમ્અહની નમાઝનો ઈમામ બનાવી જુમ્અહની નમાઝ પઢે અને મજકૂર ઈમામ સાહેબ ઉપર જુમ્અહ ન  પઢાવવા બદલ કોઈ ટીકા–ટિપ્પણી અને જુમ્અહ પઢાવવાનો આગ્રહ ન કરે, નહિ તો દબાણ–આગ્રહ કરનાર ગુનાહગાર થશે.

               મૌલવી સાહેબ મજકૂર ગામમાં જુમ્અહની નમાઝને નાજાઈઝ સમજવા છતાં નફલની નિય્યતથી જુમ્અહની નમાઝ પઢાવશે તો જુમ્અહ જાઈઝ સમજનાર માણસોની જુમ્અહ પણ દુરૂસ્ત થશે નહિ, કારણ કે નફલ પઢનાર પાછળ ફર્ઝ પઢનારની નમાઝ દુરૂસ્ત થતી નથી અને એ સિવાય બીજી ઘણી ખરાબીઓ ઉપસ્થિત થશે, જેમકે નફલની મોટી જમાઅત કરવી જે મકરૂહે તહરીમી છે. દિવસની નફલ નમાઝમાં જોરથી કિરાઅત પઢવી જે જાઈઝ નથી. જે લોકો મૌલવી સાહેબના કહેવાનુસાર ફિકહે હનફી મુજબ જુમ્અહને નાજાઈઝ સમજે તેઓના ફર્ઝનું એટલે ઝોહરની નમાઝનું છૂટી જવું અને જો તેઓ એકલી જાતે ઝોહર પઢી લેતા હોય તો ઝોહરની જમાઅતનું છૂટી જવું જે અમલની દષ્ટિએ વાજિબનો દરજો ધરાવે છે.                                (‘શામી ૧)

               મસ્અલહની વધુ વિગત માટે હઝરત મૌલાના થાનવી (રહ.)ના ‘અલ્‌  કવલુલ્‌  બદીઅ નામી ઉર્દૂ રિસાલાનું વાંચન કરવું જોઈએ.

Log in or Register to save this content for later.