Chapter : નમાઝ
(Page : 210-211-212)
સવાલ :– અમારા ગામમાં હિંદુ–મુસ્લિમ થઈ લગભગ ૧૩૦૦ માણસોની વસ્તી છે, તો અમારા ગામમાં જુમ્અહની નમાઝ પઢી શકાય કે નહિ ?
જવાબ :– શહેરમાં જુમ્અહની નમાઝ પઢવી વાજિબ અને દુરૂસ્ત છે. એવી જ રીતે એવા મોટા ગામમાં પણ જુમ્અહની નમાઝ પઢવી વાજિબ અને દુરૂસ્ત છે કે જેની હિંદુ–મુસ્લિમ કુલ વસ્તી કમથી કમ લગભગ ચાર હજાર હોય અને ત્યાં દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી હોય અને અનેક નાના મોટા રસ્તાઓ હોય અને બજાર હોય અથવા પૂરી આબાદીમાં અલગ અલગ શેરીઓ અને મહોલ્લામાં જીવન જરૂરિયાત માટે એટલી દુકાનો હોય કે જો તે બધી દુકાનો એક જગ્યાએ ભેગી કરવામાં આવે તો બજાર બની જાય અને ખરીદારોની ભીડભાડ માલૂમ પડવા લાગે
જે ગામની હાલત આ પ્રમાણે ન હોય ત્યાં હનફી ફિકહ મુજબ જુમ્અહની નમાઝ પઢવી ફર્ઝ નથી અને એવા ગામમાં જુમ્અહની નમાઝ દુરૂસ્ત પણ થતી નથી. જો જુમ્અહ પઢવામાં આવશે તો પઢનાર વ્યકિતઓ ગુનાહગાર થશે અને તેઓ ફર્ઝ નમાઝ એટલે ઝોહરનો ત્યાગ કરનાર અને નાજાઈઝ કામો કરનાર લેખાશે.
સવાલમાં લખેલી વિગત મુજબ તમારું ગામ નાનું છે, જયાં હનફી ફિકહ મુજબ જુમ્અહની નમાઝ દુરૂસ્ત નથી. માટે જુમ્અહની નમાઝ ન પઢતાં ઝોહરની નમાઝ પઢવામાં આવે, પરંતુ જો તમારા ગામમાં વર્ષો પૂર્વેથી જુમ્અહની નમાઝ પઢાતી આવી હોય અને હવે આગ્રહપૂર્વક તેને બંધ કરવામાં ઝઘડો અને ફિતનો થવાનો ભય હોય તો જે લોકો જુમ્અહને જાઈઝ અને વાજિબ સમજીને પઢે છે તેઓને જુમ્અહ પઢવાનું બંધ કરી દેવા ઝઘડો–ફસાદની હદ સુધી આગ્રહ ન કરવામાં આવે. જો તે લોકો મસ્અલો જાણમાં આવી ગયા પછી પણ જુમ્અહ ચાલુ રાખવા ઉપર મકકમ હોય તો તેઓ પોતે જુમ્અહ પઢે. બાકી જે લોકો ઉપરની વિગત મુજબ મજકૂર ગામમાં જુમ્અહને ફર્ઝ અને જાઈઝ ન સમજતા હોય તેઓને જોઈએ કે ન પોતે જુમ્અહ પઢે અને ન ઈમામ બની જુમ્અહ પઢાવે, બલકે ઝોહરની નમાઝ પઢે અને જુમ્અહ પઢનારા ભાઈઓ જુમ્અહ ન પઢનાર ઉપર કોઈ આગ્રહ અને ટીકા–ટિપ્પણી ન કરે.
(‘શામી ૧/પ૩૭, ‘ઈમ્દાદુલ ફતાવા ૧/૬ર૧, ‘કિ. મુફતી ૩/૧૮પ)
Log in or Register to save this content for later.