[૩૭પ] છૂટેલા એઅ્‌તિકાફની કઝા

Chapter : રોઝહ

(Page : 437-438)

સવાલઃ–  રમઝાન મુબારકમાં કોમી ફસાદના કારણે એક મહોલ્લાની મસ્જિદમાં છેલ્લા અશરહના મસ્નૂન એઅતિકાફમાં કોઈ બેઠું ન હતું, જેથી તે મહોલ્લાવાળાઓ પહેલી મુહર્રમથી દસમી તારીખ સુધી એક માણસને એઅ્‌તિકાફમાં બેસાડવા ચાહે છે. તો શરીઅતનો શું હુકમ છે? આ પ્રમાણે એઅ્‌તિકાફની કઝા કરી શકાય કે નહિ ? અને તે સુન્નત છે કે નફલ ? આ પ્રમાણે એઅ્‌તિકાફમાં કોઈ વાંધો છે કે નહિ ?

જવાબ :– ફસાદના કારણે રમઝાન મુબારકના અશરએ અખીરહનો સુન્નતે મુઅક્‌કદહ એઅ્‌તિકાફ છૂટી જવાથી મહોલ્લાવાળાઓ ગુનેહગાર નહિ થાય અને તેની કઝા ન કરવાથી પણ ગુનેહગાર નહિ થાય. અલબત્ત, સુન્નત એઅ્‌તિકાફની કઝા સુન્નત છે. જો કોઈ કઝા કરવા ચાહે તો કરી શકે છે અને તેને ત્થા સુન્નત અલલ્‌ કિફાયહ એઅ્‌તિકાફની વ્યવસ્થા  કરનારાઓને પણ  સુન્નતની ફિકર અને તશકીલ કરવા બદલ સવાબ મળશે.                        (શામી ભા.૧)

હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ અમુક મસલિહતોથી એક રમઝાનનો એઅ્‌તિકાફ છોડી દીધો હતો અને શવ્વાલમાં  તેની  કઝા ફરમાવી હતી.   (ઈલ્મુલ ફિકહ ભા. ૩)

                જે માણસ મઝકૂર દસ દિવસનો એઅ્‌તિકાફ કરે તેણે તે દસ  દિવસોના  રોઝાઓ સાથે એઅ્‌તિકાફ કરવો જોઈએ.    (શામી ભા. ર)

Log in or Register to save this content for later.