Chapter : રોઝહ
(Page : 431-433)
સવાલઃ– રમઝાન મુબારકમાં ઘણા લોકો પોતાનું ગામ છોડીને કોઈ બુઝુર્ગથી ફૈઝ હાસિલ કરવાની નિય્યતે બહારગામ જઈને એઅ્તિકાફ કરે છે. જેમકે સહરાનપૂર, જલાલાબાદ, ડાભેલ, આણંદ વગેરે. તો પોતાના ગામની મસ્જિદ છોડીને બીજી જગ્યાએ જવું અફઝલ છે કે પોતાના ગામની મસ્જિદમાં એઅ્તિકાફ કરવો અફઝલ છે ?
જવાબઃ– જગ્યાની દ્રષ્ટિએ એઅ્તિકાફના અફઝલ હોવાની તફસીલ અને તરતીબ આ પ્રમાણે છે કે એઅ્તિકાફ માટે બધાથી અફઝલ જગ્યા મસ્જિદે હરામ છે. બીજા નંબરે મસ્જિદે નબવી અફઝલ છે. ત્રીજા નંબરે મસ્જિદે અકસા (બયતુલ મુકદ્દસ) અફઝલ છે. ચોથા નંબરે એવી મસ્જિદ જયાં જુમ્આની નમાઝ થતી હોય. પાંચમાં નંબરે વધારે નમાઝીઓવાળી મસ્જિદ જયાં નમાઝની જમાઅત મોટી થતી હોય.
ગામની કોઈ પણ મસ્જિદમાં રમઝાન મુબારકના છેલ્લા અશ્રહનો એઅ્તિકાફ કરવો ગામ લોકો માટે સુન્નતે મુઅક્કદહ કિફાયહ છે. જો અમુક ભાઈઓએ એઅ્તિકાફ કરી લીધો તો બધા ગામ લોકોના ઝિમ્મેથી મઝકૂર સુન્નતે મુઅક્કદહની જવાબદારી અદા થઈ જશે અને આવી સૂરતમાં આબાદીના બીજા લોકો માટે સવાલમાં લખેલી જગાઓમાંથી કોઈ જગાએ એઅ્તિકાફ માટે એ હેતુથી જવું જાઈઝ; બલ્કે અફઝલ છે કે ત્યાં મોટા મોટા આલિમોની મુલાકાત અને સોહબતનો મોકો મળશે, તેઓની મજલિસોમાં દીની અને અખ્લાકી વાતોની તા’લીમ સાંભળવા મળશે, તઝકિયએ નફસનો ફાયદો થશે. પાંચેવ ફર્ઝ નમાઝો અને વિત્ર તથા તરાવીહ એવી મોટી જમાઅત સાથે અદા કરવાનો મોકો મળશે કે જેમાં ઘણા અલ્લાહ તઆલાના નેક બંદાઓ પણ શામિલ હશે. અને ઘણા મસ્નૂન અને નફલ આ’માલ, નમાઝ, તિલાવત, તસ્બીહ, દુરૂદશરીફ પાબંદીથી અદા થઈ શકશે.
અલબત્ત, જો પોતાની આબાદીની કોઈ પણ મસ્જિદમાં એક પણ માણસ અશ્રએ અખીરહનો એઅતિકાફ કરનાર ન હોય તો એવી સૂરતમાં પોતાની આબાદીની મસ્જિદમાં જ એઅ્તિકાફ કરવો બીજી જગ્યાએ જઈ એઅ્તિકાફ કરવા કરતાં અફઝલ છે, નહિ તો આબાદીના બધા જ લોકો સુન્નતે મુઅક્કદહ છોડવા બદલ ગુનેહગાર થશે. (હિદાયહ અવ્વલૈન : ર૧૧, શામી –ર/૧ર૯)
Log in or Register to save this content for later.