Chapter : રોઝહ
(Page : 429-430)
સવાલ :– આપ સાહેબ સહિત દિગર મુફતિયાને કિરામ હઝરાતે અમારા નાના તાઈવાડ, મલાવ ફળિયાની મસ્જિદ વિશે જે ફેસલો આપ્યો હતો તે આપ સાહેબની જાણમાં હશે કે મઝકૂર મસ્જિદમાં ફજર અને ઈશાની નમાઝની જમાઅત નીચેના ભાગમાં એટલે કે ગ્રાઉન્ડ ફલોર પર આવેલા જમાઅતખાનામાં કરવી અને બાકીની ત્રણે નમાઝો ઝોહર, અસર અને મગરિબની જમાઅત ફર્સ્ટ ફલોર એટલે કે પહેલે માળે ઉપર આવેલા જમાઅતખાનામાં કરવી. આમ, આપ સાહેબે એ બતાવેલ માર્ગદર્શન ઉપર આજ દિન સુધી અમલ થઈ રહયો છે, પરંતુ હવે રમઝાનુલ મુબારક આવવાથી એક પ્રશ્ન એ ઉભો થયો છે કે આવી રીતે નીચે ઉપર જમાઅત થતી હોય તો એઅતિકાફમાં બેસનાર મુઅતકિફ હઝરાત કયાં બેસે? ઉપર કે નીચે?
અગર નીચે બેસવામાં આવશે તો ઉપરના જમાઅતખાનામાં જે નમાઝોની જમાઅત કરવાની છે ત્યાં જવું પડશે અને નીચેનું જમાઅતખાનું છોડી ઉપર જવું પડશે તો એઅતિકાફમાં કોઈ નુકસાન આવશે કે એઅતિકાફ બાકી રહેશે?
એવી જ રીતે ઉપરના જમાઅતખાનામાં બેઠેલા મુઅતકિફ હઝરાત જયારે નીચેના જમાઅતખાનામાં થતી નમાઝ માટે આવશે તો તેઓ પણ જમાઅતખાનામાંથી ખારિજ થઈ આવશે. તો તેમનો એઅતિકાફ બાકી રહેશે કે કેમ? તેનો પણ ખુલાસો આપવા મહેરબાની કરશો.
જવાબ :– બે માળી મસ્જિદમાં ઉપર અને નીચે બન્ને ભાગોમાં એઅતિકાફ કરવો જાઈઝ છે. મઝકૂર મસ્જિદમાં મુઅતકિફ જમાઅતથી નમાઝ પઢવા માટે ઉપરથી નીચે અને નીચેથી ઉપરના ભાગમાં જઈ શકે છે, ચાહે ઉપર કે નીચે જવા માટે શરઈ મસ્જિદની હદથી બહાર નીકળવું પડે તો પણ જમાઅતથી નમાઝ પઢવા તે જ મસ્જિદમાં ઉપરથી નીચેના ભાગમાં અને નીચેથી ઉપરના ભાગમાં જવું જાઈઝ છે. કારણ કે જમાઅતની નમાઝ એક દીની ઝરૂરત છે અને દીની ઝરૂરત માટે મુઅતકિફનું મસ્જિદથી બહાર નીકળવું જાઈઝ છે અને તેના માટે નીકળવાથી એઅતિકાફ ફાસિદ થતો નથી. જેવી રીતે મુઅતકિફ પોતાની મસ્જિદની અઝાન આપવા માટે જમાઅતખાનાથી બહાર એવી જગ્યાએ જઈ અઝાન આપી શકે છે, જે શરઈ મસ્જિદમાં દાખલ નથી. (શામી–ર/૧૩ર , ઈ. ફતાવા–ર/૧૬ર)
Log in or Register to save this content for later.