[૩પ૮] મુઅતકિફે પરદામાં રહેવું ઝરૂરી નથી

Chapter : રોઝહ

(Page : 420-421)

સવાલ :– અમારા ગામમાં એક માણસ એઅ્‌તિકાફમાં બેઠા છે, તો મુઅતકિફ માણસથી કિતાબી તા’લીમમાં બેસી શકાય કે કેમ? અને કિતાબી તાલીમ જમાઅતખાનામાં થાય છે. એવી જ રીતે મુઅતકિફ પોતાના હુજરાની બહાર સુન્નત નફલ પણ પઢી શકે કે કેમ? અમારા ગામના અમુક માણસોનું કહેવું છે કે એઅ્‌તિકાફ બાંધેલ માણસથી તા’લીમમાં તેમજ સુન્નત નફલ બહાર જમાઅત ખાનામાં પણ ન પઢી શકાય, પોતાની નકકી કરેલ જગ્યા – પરદાના અંદર જ પઢી શકે છે, નહિ તો એઅ્‌તિકાફ ફાસિદ થશે. તો શું દર્શાવેલ માણસનો એઅ્‌તિકાફ ફાસિદ થયો કે કેમ?

                મુઅતકિફ માણસને કબરની હાલત જેમ દર્શાવે છે. તો શું આ માન્યતા સાચી છે.

જવાબ :– મુઅતકિફ માણસ પોતાની પરદાવાળી એઅ્‌તિકાફની જગ્યાએથી બહાર નીકળી જમાઅત ખાનામાં થતી કિતાબી તાલીમમાં બેસી શકે છે અને પરદાથી બહાર નીકળી જમાઅત ખાનામાં ગમે તે જગ્યાએ સુન્નત, નફલ નમાઝ પણ પઢી શકે છે અને મઝકૂર કામો માટે પોતાની પરદા વાળી જગ્યા છોડી જમાઅત ખાનામાં આવવાથી એઅ્‌તિકાફ ફાસિદ નહિ થાય.

                એઅ્‌તિકાફનો મતલબ છે પુરૂષનું એઅ્‌તિકાફની નિય્યત કરી ફર્ઝ નમાઝોની જમાઅત વાળી મસ્જિદમાં થોભવું, મસ્જિદમાં પરદા વાળી એક મખસૂસ જગ્યામાં ઘેરાઈ રહેવું ઝરૂરી નથી. માટે અમુક માણસોનું એમ સમજવું કે કિતાબી તાલીમ અથવા સુન્નત નફલ નમાઝ માટે જમાઅત ખાનામાં બહાર આવવાથી એઅ્‌તિકાફ ફાસિદ થઈ જાય છે એ માન્યતા દુરૂસ્ત નથી અને મુઅતકિફે કબરની હાલત જેવો એકાંત ઈખતિયાર કરવો ઝરૂરી નથી, એઅ્‌તિકાફથી થતા ફાયદાઓ જે રીતે પરદામાં રહેવાથી હાસિલ થાય છે, એ જ રીતે જમાઅતખાનામાં બીજી કોઈ જગ્યાએ બેસવા રહેવાથી પણ તે ફાયદાઓ હાસિલ થાય છે. એઅતિકાફ માટે પરદો બાંધવો એ ઝરૂરી પણ નથી. મુઅતકિફ માણસને સુવા બેસવામાં અને ખાવા પીવામાં આસાની રહે એ હેતુથી પરદો બાંધવો માત્ર બેહતર છે.

                અલબત્ત, ઓરતે પોતાની પરદાની જગ્યામાં જે તેની નમાઝ ઈબાદત માટે પહેલેથી નકકી હોય ત્યાંજ રહેવું ઝરૂરી છે, વગર ઝરૂરતે તેના માટે પરદામાંથી નીકળવું એઅ્‌તિકાફની હાલતમાં જાઈઝ નથી.                       (શામી – ર)

Log in or Register to save this content for later.