[૩પ૪] મન્નતના એક માસના રોઝા અને ફિદયો

Chapter : રોઝહ

(Page : 416-417)

સવાલ :– એક ઓરતે આ પ્રમાણે મન્નત માની હતી કે મારું ફલાણું કામ થઈ જશે તો એક મહિનાના રોઝા રાખીશ. હવે તેનું એ કામ થઈ ગયું તો તેણીએ એક મહિનાના લગાતાર રોઝા રાખવા પડશે કે અનેક મહિનાઓમાં થોડા થોડા રોઝા રાખીને ત્રીસ રોઝા પુરા કરશે તો પણ મન્નત અદા થઈ જશે ? અને મન્નત માનનારના બદલામાં બીજું કોઈ રોઝા રાખે તો જાઈઝ છે કે નહિ ? અને મન્નતના ત્રીસ રોઝાનો ફિદયો આપી દે તો ચાલે કે નહિ ?

જવાબ :– પૂછેલી સૂરતમાં મન્નત માનનારે માનતી વખતે કોઈ એક ચોક્કસ મહિનાના રોઝા રાખવાની મન્નત માની નથી, માટે મઝકૂર મન્નતના રોઝા બન્ને સૂરતોથી રાખી શકાય છે. ગમે તે કોઈ એક મહિનાના લગાતાર રોઝા રાખે તો પણ દુરૂસ્ત છે અને અનેક મહિનાઓમાં થોડા થોડા રોઝા રાખીને એક મહિનાના ૩૦ રોઝા પૂરા કરે તો પણ મન્નત અદા થઈ જશે.

                મઝકૂર મન્નતના રોઝા મન્નત માનનારે પોતે જ રાખવા ઝરૂરી છે, તેના બદલામાં કોઈ બીજું રોઝા રાખશે તો મન્નત અદા નહિ થાય.

                 જયાં સુધી મન્નત માનનારમાં રોઝા રાખવાની શકિત છે, ત્યાં સુધી રોઝાની જગ્યાએ ફિદયો આપવો જાઈઝ નથી અને રોઝા રાખવાની શકિત હોવા છતાં ફિદયો આપવાથી મન્નત અદા નહિ થાય. શકિત હોય ત્યાં સુધી પોતે રોઝા રાખવા ઝરૂરી છે. (શામી : ભા.ર/૩)

Log in or Register to save this content for later.