Chapter : રોઝહ
(Page : 414-415)
સવાલઃ– આશૂરાના રોઝાની હદીસ શરીફમાં શું ફઝીલત આવેલી છે તે જણાવશો.
જવાબઃ– હઝરત ઈબ્ને અબ્બાસ રદિ. ફરમાવે છે કે મેં હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ ને કોઈ દિવસના રોઝામાં એ પ્રમાણે વધુ કોશિષ કરતાં જોયા નથી કે તેને અન્ય દિવસોના રોઝાઓ કરતાં વધુ ફઝીલત આપી હોય, સિવાય આ દિવસના એટલે કે આશૂરાના દિવસના અને સિવાય આ મહિનાના એટલે કે રમઝાનના મહિનાના. (બુખારી , મુસ્લિમ, મિશ્કાત : ૧૭૮)
હઝરત ઈબ્ને અબ્બાસ રદિ.થી રિવાયત છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) જયારે મદીનહ મુનવ્વરહ તશરીફ લાવ્યા તો યહૂદીઓને આશૂરાના દિવસનો રોઝો રાખતાં જોયા. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ તેઓથી પૂછયું કે તમો આ દિવસનો રોઝો શા માટે રાખો છો ? તો યહૂદીઓએ જવાબ આપતાં કહ્યું કે આ એક મહત્વપૂર્ણ દિવસ છે. જેમાં અલ્લાહ તઆલાએ હઝરત મૂસા (અલૈ.)અને તેઓની કોમને ફિરઔન અને તેના લશ્કરથી નજાત અતા ફરમાવી અને જેમાં ફિરઔન અને તેની કોમને દરિયામાં ડૂબાડી દીધી. હઝરત મૂસા (અલૈ.) આ નેઅમતે નજાતના શુક્રરૂપે આ દિવસનો રોઝો રાખતા હતા, તો અમો પણ હઝરત મૂસા (અલૈ.)ની પેરવીમાં આ દિવસનો રોઝો રાખીએ છીએ. આ જવાબ સાંભળી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ ફરમાવ્યું કે અમો તમારા કરતાં હઝરત મૂસા (અલૈ.)ની પેરવીના વધુ હકદાર છીએ અને વધુ નિકટ છીએ. તે પછી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ આ દિવસનો રોઝો રાખવાનો હુકમ આપ્યો. (બુખારી, મુસ્લિમ – મિશ્કાત : ૧૮૦)
હઝરત અબૂ કતાદહ રદિ.ની હદીસમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે આશૂરાના રોઝા વિશે મને અલ્લાહ તઆલાની ઝાતથી ઉમ્મીદ છે કે તેને પાછલા એક વર્ષના ગુનાહોનો કફ્ફારો બનાવશે. (મુસ્લિમ શરીફ)
અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ યહુદીઓના તરીકાની મુખાલફત કરવાના હેતુથી દસમી મુહર્રમ સાથે નવમી અથવા અગિયારમી મુહર્રમનો રોઝો રાખવા પણ ફરમાવ્યું છે. માટે નવમી અને દસમી અથવા દસમી અને અગિયારમી મુહર્રમ એમ બે દિવસોનો રોઝો રાખવો મુસ્તહબ છે. (શામી : ૮૩ ભા. ર)
Log in or Register to save this content for later.