[૩૪૯] ઓરતને રમઝાનમાં આદતથી વધુ લોહી વહે

Chapter : રોઝહ

(Page : 411-412)

સવાલ :– એક ઓરતને સાત દિવસ હૈઝ આવવાની આદત હતી, આ ઓરતને રમઝાન મુબારકમાં તેની નિયમિત આદત વિરૂધ્ધ સાત દિવસ પછી પણ લોહી વહેવાનું ચાલુ રહયું તો આ ઓરત સાત દિવસ પછી દસ દિવસ પૂરા થતાં સુધી રોઝહ રાખશે કે નહિ? અને જો મઝકૂર ઓરતને દસ દિવસો પછી પણ લોહી વહેતું રહયું તો આ સૂરતમાં દસ દિવસો પછી લોહી વહેવાની હાલતમાં તે રોઝહ રાખે કે નહિ?

જવાબ :– મઝકૂર ઓરતે તેની હૈઝની આદતના સાત દિવસ પૂરા થયા પછી લોહી વહેવાના દસ દિવસો પૂરા થતાં સુધી રોઝા નહિ રાખવા પડે, કારણ કે એ વાતની સંભાવના છે કે તેની આદત બદલાઈ ગઈ હોય અને ૮,૯,૧૦મો દિવસ પણ હૈઝના જ દિવસો હોય. અલબત્ત, જો આવી હાલતવાળી ઓરતને લોહી વહેવાના દસ દિવસો પૂરા થયા પછી પણ લોહી વહેવાનું ચાલુ રહયું તો તે ઓરતે લોહી વહેવાના અગિયારમાં દિવસથી રમઝાનના રોઝહ રાખવાનું શરૂ કરવું પડશે, કારણ કે આ સૂરતમાં એ વાત જાહેર થઈ ગઈ કે તેની આદતના સાત દિવસો પછી વહેનાર લોહી બીમારીનું હતું, હૈઝનું ન હતું અને આ સૂરતમાં મઝકૂર ઓરતે સાત દિવસ પછીના ત્રણ દિવસોના રોઝાઓની પણ રમઝાનુલ મુબારક પછી સાત દિવસોના રોઝાઓની જેમ કઝા કરવી પડશે. કારણ કે હૈઝવાળી ઓરતે રમઝાનના છૂટી ગયેલા બધા રોઝાઓની કઝા કરવી ઝરૂરી અને લાઝિમ છે.

(અલ્‌ મુહીતુલ બુરહાની–૧/૪૩૪,રસા. ઈબ્ને આબિદીન ભા.૧/૧૧૦)

Log in or Register to save this content for later.