[૩૪૮] રમઝાનમાં ઓપરેશન

Chapter : રોઝહ

(Page : 410-411)

સવાલઃ–  અમારા ગામમાં પોલિયોનો મફત ઓપરેશન કેમ્પ રાખેલો છે અને મારે ઓપરેશન કરાવવું છે. આગળ રમઝાન માસ આવે છે તો મારે રોઝા, નમાઝનું શું કરવું ? અને રમઝાનની ઈબાદતોનું શું ? આ ઓપરેશન માટે ડોકટર વિશાખાપટ્ટનમથી આવવાના છે, ઓપરેશન મફત છે, પછી મારાથી વિશાખા પટ્ટનમ જઈ ઓપરેશન કરાવી શકાય તેવા સંજોગો નથી. કારણ કે ત્યાં જઈ ઓપરેશન કરાવવા ખર્ચ માટે મોટી રકમની ઝરૂર પડે.

જવાબઃ– રમઝાન મુબારકમાં પણ ઓપરેશન પછી તાત્કાલિક ફર્ઝ, વાજિબ નમાઝો ઉભા રહીને ન પઢી શકાય તો તે બેસીને અથવા સૂઈને પઢવી પણ જાઈઝ છે અને રુકૂઅ, સજદહ ન થઈ શકે તો ઈશારહથી રુકૂઅ, સજદહ કરવો પણ જાઈઝ છે અને પલંગ પર વુઝૂ ન થઈ શકતું હોય તો એક ઈંટ ઉપર તયમ્મુમ કરીને નમાઝ પઢવી જાઈઝ છે, અને દવા ખાવા પીવાની ઝરૂરતના કારણે રોઝો રાખવો મુશ્કેલ હોય તો હાલ રોઝાઓ છોડવા જાઈઝ છે અને પાછળથી કઝા કરવી વાજિબ છે.     (શામી : ૧/ર)

                રહી વાત રમઝાન મુબારકની નફલી ઈબાદતોની તો ઘણી નફલી ઈબાદતો તો બેસવા અને સૂવાની હાલતમાં પણ થઈ શકે છે અને જે નફલી ઈબાદતો ઓપરેશન પહેલાં અદા થતી હતી અને ઓપરેશનના કારણે અદા નહિ થાય તો અલ્લાહ તઆલાની પાક ઝાતથી ઉમ્મીદ છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ બીમાર માટે આપેલી ખૂશખબરી મુજબ એવી નફલી ઈબાદતોનો સવાબ બીમારને તંદુરસ્તી પામતા સુધી મળતો રહેશે.

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે જયારે કોઈ બંદો બીમાર થાય છે અથવા સફર કરે છે તો તેણે પોતાના વતનમાં અને તંદુરસ્તીની હાલતમાં કરેલા અમલોની જેમ તેનો સવાબ લખવામાં આવે છે.         (બુખારી – મિશ્કાત ૧૩પ)

Log in or Register to save this content for later.