[૩૪૧] બી.પી. અને સુગરના કારણે ઈફતાર

Chapter : રોઝહ

(Page : 405)

સવાલ :– એક ઓરતની ઉંમર ૬પ થી ૭૦ વર્ષ છે, અને તે બ્લડ પ્રેશર – હાર્ટ તથા ડાયાબીટીશની મરીઝ છે, તો રમઝાનમાં રોઝહ ન રાખે તો ચાલી શકે કે કેમ? એક ડોકટર મુસ્લિમ નથી પણ તેઓ હાર્ટ વગેરેના માહિર છે તેણે પણ રોઝા રાખવાનું ના કહયું છે, બીજુ કે બીમાર જાતે પણ કહે છે કે ડાયાબીટીશના લીધે વધુ ભુખુ રહી શકાતુ નથી અને આ પહેલાં બ્લડ પ્રેશર અને હાર્ટની બિમારી સાથે ગમે તે રીતે થઈ શકયા ત્યાં સુધી રોઝા રાખતા હતા અને ભુખા રહેવાથી બ્લડ પ્રેશર વધે છે તેમજ હાર્ટ પર પણ તકલીફ પડે છે તો આવા બિમાર માટે રોઝો છોડવાની રજા છે કે નહિ?

જવાબ :– રોઝો છોડવાની ઈજાઝતમાં ગેર મુસ્લિમ ડોકટરના અભિપ્રાયનો એઅતિબાર નથી. અલબત્ત, પૂછેલી સૂરતમાં જયારે બીમારને પોતે એ વાતનો જાત અનુભવ છે કે રોઝો રાખવાથી બીમારની તકલીફ વધી જાય છે તો તે પોતાના અનુભવના આધારે પણ મઝકૂર બીમારીની હાલતમાં રોઝો છોડી શકે છે, જો ભવિષ્યમાં બીમારીથી તંદુરસ્તી મળવાની આશા હોય તો છુટેલા રોઝાઓની તંદુરસ્તીની હાલતમાં કઝા કરવી ઝરૂરી છે, અને જો દિવસો જતાં કમઝોરી વધતી જ જાય છે અને હવે પછી બીમારીથી એવી તંદુરસ્તી મળવાની આશા નથી કે છુટેલા રોઝાઓની ભવિષ્યમાં કઝા કરી શકાય  તો તંદુરસ્તીની રાહ જોયા વિના છુટેલા રોઝાઓનો ફિદયો આપવો વાજિબ છે. એક રોઝાનો ફિદયો એક વ્યકિતના સદકએ ફિત્રના પ્રમાણમાં એક કિલો છસો ચાળીસ ગ્રામ ઘઉં અથવા તેટલા ઘઉંની કિંમત વાજિબ થાય છે.            (શામી – ર/૧૧૬)

Log in or Register to save this content for later.