[૩૧૭] બાવીસ વર્ષોના રોઝાઓનો ફિદયો

Chapter : રોઝહ

(Page : 383-384)

સવાલ :– મારા વાલિદ સાહેબનો ઈન્તેકાલ થઈ ગયો છે. તેમણે છેલ્લા બાવીસ વર્ષથી પથરીની તકલીફના કારણે રોઝા રાખ્યા ન હતા. એક મુસ્લિમ ડોકટરે કહયું હતું કે રોઝા રાખવાથી પથરીનો દુખાવો થશે જ અને એકાદ – બે વખત રોઝા રાખવાથી તકલીફ શરૂ થઈ ગઈ હતી, જેથી છેલ્લા બાવીસ વરસના રોઝા કઝા થયા છે. તો હવે એ રોઝાનો કફ્‌ફારો હું અદા કરવા માગું છું તો મારે કુલ બાવીસ વરસના  કફ્‌ફારાના કેટલા રૂપિયા અદા કરવાના રહેશે, તે આપ ખુલાસો લખવા મહેરબાની કરશો.

જવાબ :– એક રોઝાનો ફિદયો જુના અરબી તોલ–માપ મુજબ અડધો સાઅ ઘઉં છે અને અડધો સાઅ હિંદુસ્તાની જૂના તોલ–માપ પ્રમાણે  એહતિયાતી મંતવ્ય મુજબ ૮૦ તોલાવાળા શેરના હિસાબે પોણા બે શેર અને ત્રણ માશા (૧૪૦ તોલા ત્રણ માશા) ઘઉં થાય છે.

                અને નવા તોલ – માપ મુજબ એક તોલા બરાબર ૧૧ ગ્રામ અને ૬૬૪ મીલી ગ્રામ થાય છે અને આ હિસાબ મુજબ એક રોઝાનો ફિદયો ૧ કિલો, ૬૩પ ગ્રામ અને ૮૭૬ મીલી ગ્રામ ઘઉં થાય છે.

                ઉકત હિસાબ મુજબ રર વર્ષના ૬૬૦ રોઝાઓનો કુલ ફિદયો ૧૦ કવિન્ટલ ૭૯ કિલો ૬૭૮ ગ્રામ અને ૧૬૦ મીલી ગ્રામ ઘઉં થાય છે, હવે જો આ ફિદયો રોકડ રૂપિયામાં અદા કરવો હોય તો આટલા વજનના ઘઉંની જે કિંમત થતી હોય તે મુજબ હિસાબ કરી રોકડ રૂપિયાથી પણ અદા કરી શકાય છે.

Log in or Register to save this content for later.