Chapter : રોઝહ
(Page : 368-369-370)
સવાલઃ– હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ.)ના સમયમાં વાતાવરણમાં પ્રદુષણ ન હતું, વાતાવરણ પ્રદુષણ મુકત હોવાથી ચાંદ જોવાની સરળતા હતી. આજે વાતાવરણમાં ધૂળના રજકણો, ફેકટરીઓના ધૂમાડા વગેરેથી પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ ફેલાયેલું છે, માટે નરી આંખે ચાંદ જોવામાં તકલીફ રહે છે તો આ તકલીફના લઈ મારો મશવરો એ છે કે દરેક દારૂલ ઉલૂમે ટેલીસ્કોપ નામનું યંત્ર (દૂરબીન) ચાંદ જોવા માટે વસાવવું જોઈએ. આ યંત્ર જે દુકાનમાં સ્કૂલના સાધનો વેચાતા હોય ત્યાં મળે છે અને તેનાથી દૂરની વસ્તુ ઘણી જ નજીક દેખાય છે. જો દારૂલ ઉલૂમો આ ટેલીસ્કોપ યંત્ર વસાવી લે તો ચાંદ જોવાનું સરળ થઈ જાય. કારણ કે ર૯નો ચાંદ એટલો બારીક હોય છે કે જે અમુકને દેખાય અને અમુક માણસોને ન પણ દેખાય.
બીજુ કે સામાન્ય રીતે રમઝાન મુબારક અને બન્ને ઈદોનો ચાંદ જોવામાં ઘણું મોડું થાય છે, રમઝાનનો ચાંદ આમ તોર પર મગરિબની ફર્ઝ નમાઝ અને સુન્નતોથી ફારિગ થઈને જોવામાં આવે છે, અને ઈદનો ચાંદ જોવામાં તો એથી પણ વધુ મોડું થાય છે, કારણ કે સામાન્ય રીતે સૂરજ ડૂબી ગયા પછી લગભગ ચાર – પાંચ મિનિટ બાદ ઈફતારીનું સાયરન વાગે અને ઈફતારીનું સાયરન વાગ્યા પછી ઓછામાં ઓછી સાત કે તેથી વધુ મિનિટ પછી મગરિબની અઝાન થાય, અઝાનની ૩ થી ૪ મિનિટ પછી ફર્ઝ નમાઝની જમાઅતની ૬ થી ૭ મિનિટ થાય ત્યાર બાદ સુન્નત નમાઝ પઢવામાં પાંચ મિનિટ લાગે અને ત્યાર પછી આપણે ચાંદ જોવા કોઈ ઊંચી જગ્યાએ ચઢીએ અને ચાંદ જોવાનો વખત તો સૂરજ આથમ્યા પછી તુરત શરૂ થઈ જાય છે, એટલે ચાંદ જોવાનો સમય શરૂ થયા પછી સામાન્ય રીતે રપ થી ૩૦ મિનિટ પછી ચાંદ જોવાની કોશિષ કરવામાં આવે છે અને આટલા લાંબા ગાળામાં ચાંદ જોવામાં ઘણાં અવરોધો ઉપસ્થિત થઈ શકે છે અને દૂર પણ થઈ શકે છે, માટે લોકોને ચાંદ જોવાના દિવસે સૂરજ ડૂબી ગયા પછી જલ્દી ચાંદ જોવાની કોશિષ કરવાનું દરેક મસ્જિદમાં એલાન કરવામાં આવે, તાકે મોડું કરવાથી પોતાના સ્થળ ઉપર ચાંદ જોવાની શકયતા ખતમ ન થઈ જાય.
જવાબઃ– શરઈ દ્રષ્ટિએ ચાંદ જોવાની સરળતા માટે દૂરદર્શક યંત્ર (ટેલિસ્કોપ) વસાવવામાં અને ચાંદ જોવામાં તેનો ઉપયોગ કરવામાં વાંધો નથી, દૂરબીનથી ચાંદ જોવું પણ મોઅતબર છે, પરંતુ મૂળ ઝરૂરત ઈસ્લામી તારીખની હિફાઝત માટે સમયસર ચાંદ જોવાની ફિકર રાખવાની અને ચાંદને જોવાની કોશિષ કરવાની છે, કારણ કે ઈસ્લામી તારીખની હિફાઝત, રમઝાનની શરૂઆત, ઈદના, હજના અને મસનૂન રોઝાઓના દિવસો નક્કી કરવા માટે ચાંદ જોવાનો અમલ ફર્ઝે કિફાયહ છે. ધીરે ધીરે ચાંદ જોનારા લોકો ઓછા થતા જાય છે, અને ફોન, ટી. વી., રેડીઓ અને સમાચાર પત્રોથી ચાંદની તહકીક કરવાનો, જાણકારી મેળવવાનો માહોલ બનતો જાય છે. દરેક આબાદીના મુસ્લિમો મોટી સંખ્યામાં ઉત્સાહ પૂર્વક ફર્ઝે કિફાયહની અદાયગીનો સવાબ પ્રાપ્ત કરવાની નિય્યતથી વેળાસર ચાંદ જોવાની કોશિષ કરે, અનુભવી લોકોને પૂછી ચાંદ જોવાની જગ્યાએ ચાંદ જુએ તો જો મતલઅ સાફ હશે, વાદળો, ધૂળ, ધૂમાડો વગેરે મતલઅ ઉપર છવાયેલો નહિ હોય તો સ્થાનિક રૂયત જ કાફી થઈ જશે. (શામી ભા. ર)
અને ચાંદ જોવાની કોશિષમાં આપની આ વાત પણ દુરસ્ત છે કે સામાન્ય રીતે ચાંદ જોવામાં ઘણું મોડું થઈ જાય છે, એટલે કે દરેક આબાદીમાં મસ્જિદના બ્લેક બોર્ડ ઉપર પહેલેથી વેળાસર જલ્દી ચાંદ જોવાનું એલાન લખી આપવામાં આવે. ઘણા દારૂલ ઉલૂમોમાં આ પ્રકારનું એલાન લખવામાં આવે છે અને ચાંદ જોવાનો એહતિમામ પણ કરવામાં આવે છે.
Log in or Register to save this content for later.