[ર૭૯] બીજા દેશની રૂયતનો હુકમ

Chapter : ઝકાત

(Page : 343-345)

સવાલ :– અમો અફ્રિકાના રૂઆન્ડા કીંગાલી શહેરમાં રહીએ છીએ. અહિંયાં બધી વસ્તી શાફઈ ભાઈઓની છે, હવે દર રમઝાન અને ઇદ વખતે પ્રોબલમ થાય છે, એ લોકો ચાંદ જોવાની કોશિષ કરતા નથી, તેમ ચાંદનો ફેસલો કરતા નથી, ફકત સઉદી રેડિયો અથવા કોઈ પણ અરબ કન્ટ્રીના રેડિયો ઉપર જ આધાર રાખે છે અને એ હિસાબે ઘણીવાર ચાંદથી એક બે દિવસ આગળ ઈદ થાય છે અને અહિંયાં અમો હનફી તો ફકત ત્રીસેક જ છીએ. તો અમો દર વખતે એ લોકો સાથે રમઝાન તેમજ ઈદ કરતા નથી, ચાંદને જ ફોલો કરીએ છીએ અથવા ઘણીવાર પડોશી દેશ તાન્જાનિયા અથવા કેનિયાને ફોલો કરીએ છીએ, પરંતુ આમ કરવાથી અહિંયાંના મુસ્લિમ કાઝી તેમજ મુસ્લિમ પબ્લિકનું દિલ દુભાય છે અને ગેર સમજ પણ ઉભી થાય છે તો આપણામાંથી અમુક ભાઈઓ એમ કહે છે કે આખી જમાઅત જે દિવસે ઈદ કરે તે દિવસે ઈદ કરી લેવાની અને પછી પાછળથી રોઝા રાખી લેવાના. તો શું આવું કરીએ તો ચાલે કે નહિ ? અને અમો જે ઈદ જુદી કરીએ છે તે બરાબર છે કે નહિ ?

જવાબ :– પોતાના સ્થળે ચાંદ જોઈ શકાતો હોય તો ર૯મી શાબાન અને ર૯ રમઝાનની સાંજે પોતાના સ્થળે ચાંદ જોવો વાજિબ અને ઝરૂરી છે અને બીજા સ્થળના લોકો ઉપર મીટ માંડીને બેસી રહેવું જાઈઝ નથી કારણ કે બધા જ આ પ્રમાણે કરશે તો પછી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના ફરમાન કે ”ચાંદ જોઈને રોઝો રાખો અને ચાંદ જોઈને ઈફતાર કરો જો (ર૯મી શાબાને) ચાંદ નજર ન આવે તો શાબાનના ત્રીસ દિવસ પૂરા કરો”  આ ફરમાને નબવી ઉપર અમલ કોણ કરશે છેવટે જંતરીઓનો સહારો લેવો પડશે જે જાઈઝ નથી.

               અલબત્ત, કોશિષ કરવા છતાં પોતાના સ્થળે ચાંદ નજર ન આવે અને વિશ્વાસપાત્ર સાધનો દ્વારા એ વાતની સાબિતી થાય કે ફલાણા સ્થળે ચાંદ જોવાયો છે અને તે સ્થળના ચાંદના હિસાબે રમઝાન અથવા ઈદ કરવામાં આવે તો મહિનો ર૭ કે ર૮ દિવસનો અથવા ૩૧ કે ૩ર દિવસનો ન થતો હોય તો આવી સૂરતમાં બીજા સ્થળના ચાંદ મુજબ પણ અમલ કરી શકાય છે.

               અને જો તે બીજું સ્થળ પોતાના શહેરથી એટલું દૂર હોય કે ત્યાંના હિસાબે રમઝાન અને ઈદ કરવાથી શાબાન અથવા રમઝાનનો મહિનો ર૯ દિવસથી પણ (ટૂંકો) નાનો થઈ જાય અથવા ત્રીસ દિવસથી લાંબો થઈ જાય તો આવી સૂરતમાં બીજા સ્થળની ખબર ચાહે વિશ્વાસપાત્ર સાધનોથી મળી હોય તો પણ અમલ માન્ય નથી કારણ કે આ અમલ હદીષ શરીફના વિરૂધ્ધ પરિણામે છે કારણ કે હદીષ શરીફથી મહિનાનું ર૯ દિવસનું હોવું કે ત્રીસ દિવસનું હોવું સાબિત છે.

               માટે આપને ત્યાં જે ભાઈઓ સઉદિયા વગેરે એવા દૂરના માત્ર રેડિયાની ખબર ઉપર રમઝાન અને ઈદ કરે છે જયાંના ચાંદના હિસાબે પોતાના સ્થળ ઉપર રમઝાન ઈદ કરવાથી મહિનો ર૯ દિવસથી ટૂંકો અથવા ૩૦ દિવસથી લાંબો થઈ જતો હોય તો એ પ્રમાણે ઈદ અને રમઝાન કરવી હદીષ વિરૂધ્ધ અને ના જાઈઝ છે.(શામી–ર, ફતહુલ મુલહિમ–૩)

               શાફઈ ભાઈઓ માટે હઝરત ઈમામ શાફઈ (રહ.)નો સહીહ મઝહબ તેઓની કિતાબોમાં એ જ લખવામાં આવ્યો છે કે એટલા દૂરના સ્થળના ચાંદનો એઅતિબાર કરી શકાય છે કે તે સ્થળ આપણા સ્થળથી મુસાફરીના અંતર એટલે ૮૦ કિલોમીટરની અંદર હોય, ૮૦ કિલો મીટર અથવા તેથી વધુ અંતરે આવેલા સ્થળના ચાંદનો એઅતિબાર નહિ કરવામાં આવે.    (મુસ્લિમ શરીફ શર્હે નવવી સાથે – ૧/૩૪૮)

               આપ જે પ્રમાણે અમલ કરો છો એ મસ્અલા મુજબ છે. બીજા હનફી ભાઈઓ અને શાફઈ ભાઈઓને ઉપર મુજબ સમજૂતી આપવી જોઈએ, જો તે છતાં ન માને તો દરેક જમાઅતે બીજી જમાઅતથી અણગમો ન વ્યકત કરવો જોઈએ અને વિવાદ અને ઝગડાનું રૂપ ન આપવું જોઈએ, પરસ્પર મળી મસ્અલા મુજબ અમલ કરવા એક બીજાને સમજૂત કરવા જોઈએ.

Log in or Register to save this content for later.