Chapter : ઝકાત
(Page : 339-343)
સવાલ :– ફકત રેડિયો પાકિસ્તાનના એલાન પર રમઝાન તેમજ ઈદ મનાવવાનો શરઈ હુકમ શું છે ? તે મુજબ ગામમાં એલાન કરી શકાય કે નહિ ? જયારે હિન્દુસ્તાન અને પાકિસ્તાનનો મતલઅ એક જ છે તેમજ પાકિસ્તાનમાં શરઈ કાનૂન અનુસાર ચાંદ કમિટી રચવામાં આવી છે અને ચાંદનું એલાન પણ શરઈ કાનૂન પ્રમાણે થાય છે તો પછી આ એલાન મોઅતબર ન હોવાનું કારણ શું છે ?
જવાબ :– પાકિસ્તાન રેડિયોનું એલાન અમો હિન્દુસ્તાનીઓ માટે મોઅતબર ન હોવાના કારણની સ્પષ્ટતા માટે અમૂક બુનિયાદી વાતોની ચોખવટ ઝરૂરી છે.
(૧) કોઈ પણ ચાંદ કમિટીનું મોઅતબર એલાન તેના એરિયા અને હુદૂદે વિલાયત સુધી જ અમલ પાત્ર અને વાજિબુલ અમલ હોય છે, જેમકે મુફતીએ આ’ઝમ હઝરત મવલાના મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.)એ પોતાના રિસાલામાં પેજ – પ૧ પર ફિકહની વિશ્વાસપાત્ર અરબી કિતાબોના આધારે એ વાતની ચોખવટ કરી છે.
હા, મુફતી નિઝામુદ્દીન સાહેબ (રહ.)એ હુદૂદે વિલાયત સાથે એલાનનું અમર્યાદિત હોવું સાબિત ફરમાવ્યું છે અને તે માટેની દલીલો રજૂ કરી છે, પરંતુ તે વિચારપાત્ર છે. (નિઝામુલ્ ફતાવા–ર૪)
(ર) હિન્દુસ્તાન અને પાકિસ્તાનનો મતલઅ ચાહે એક છે પણ એ વાત સ્પષ્ટ છે કે હિન્દુસ્તાન ફકત ચાંદના ફેસલા બાબત પણ ત્યાંની ચાંદ કમિટીની હુદૂદે વિલાયતથી બહાર છે, કારણ કે જેમ ઉપર જવાબ–૧ માં લખવામાં આવ્યું તે મુજબ હુદૂદે વિલાયતમાં દાખલ થવા માટે યા તો બાકાયદા સંમતિ આપવામાં આવે અથવા અમલી રીતે તે ચાંદ કમિટીથી ચાંદ બાબત સંપર્ક કાયમ કરવામાં આવે અને એજ કારણે અહિંયાં હિન્દુસ્તાનના અગ્રગણ્ય ઉલમાએ કિરામ અને ચાંદ કમિટીઓએ પાકિસ્તાન રેડિયોના એલાન પર કદી અમલ કર્યો હોય એવું જાણમાં નથી અને ન સ્પષ્ટ શબ્દોમાં કોઈ એવું લખાણ છે કે ત્યાંથી હાલ પ્રસારિત થતા એલાન પર અમલ કરવો જોઈએ.
અમૂક ઉલમાએ કિરામે પોતાના ઉર્દૂ રસાઈલમાં એવી સૂરત પેશ કરી છે કે જેથી અહિંયાં પણ તે એલાન અમલ લાયક થાય, પણ તે સૂરતનું અસ્તિત્વ હાલ નથી અથવા જાણમાં નથી અને અમૂક હઝરાતે ઉલમાએ કિરામે તે એલાનને શરઈ સબૂતની માન્ય સૂરતોમાંથી કોઈ એક સૂરત પર બંધ બેસાડવાની કોશિષ ફરમાવી છે, પરંતુ અરબી ફિકહમાં બતાવેલી વ્યાખ્યાથી હટીને અલગ અર્થઘટન કરેલું હોવાથી વિચારપાત્ર છે.
(૩) એવી જ રીતે ત્યાંની ચાંદ કમિટીમાં કેટલી અને કોણ કોણ વ્યકિતઓ છે તે પણ કોઈ માણસ ચોકકસ પણે અહિંયાં જાણતો કે બતાવી શકતો નથી, ન રેડિયો પર એલાન કરનારની અદાલત (દીનદારી)નો પરિચય હોય છે. એ વાત પણ ભૂલવા જેવી નથી કે પાકિસ્તાનમાં અનેક ફિર્કાઓ અને જમાઅતો છે અને થઈ શકે છે કે ત્યાંની ચાંદ કમિટીમાં દરેક જમાઅતને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું હોય અને એ પણ શકય છે કે કમિટીમાં કોઈ વિશ્વાસહીન જમાઅતનું પ્રભુત્વ હોય.
(૪) જો માની પણ લઈએ કે ત્યાંની ચાંદ કમિટીના બધા સભ્યો દીનદાર અને અહિંયાંના લોકો માટે વિશ્વાસપાત્ર છે અને એ’લાન કરનારને પણ આદિલ માની લઈએ (જો કે વાસ્તવમાં તો ફકત આટલી શોહરત જ છે કે ત્યાં બા કાયદા ચાંદ કમિટી છે સભ્યો અને મુઅલિન વિષેની ઉપર મુજબ માહિતી તો મુશકેલ છે.) તો પણ બન્નેવ ઈદો માટે તો ફકત પાકિસ્તાન રેડિયોનું પ્રસારણ અહિંયાંના લોકો માટે પૂરતુ નથી જ, કારણ કે હિન્દુસ્તાનના હુદૂદે વિલાયતથી બહાર હોવાના લઈ ગવાહીની ઝરૂરત છે અને રેડિયોના એલાનને કોઈ રીતે ગવાહી ન કહી શકાય, જેમકે રસાઈલે મુતઅલ્લકહથી સ્પષ્ટ છે.
હા ! રમઝાન માટે જયારે મતલઅ સાફ ન હોય તો અથવા અહિંયાં મતલઅ સાફ હોય, પરંતુ બહારથી એવી જગ્યાથી એક માણસના ચાંદ જોયાની મોઅતબર ખબર આવે કે જયાં ચાંદ દેખાવાની શકયતા વધારે છે, જેમકે મોટું ખુલ્લુ મેદાન અને ઉંચી જગ્યા, તો એક માણસના ચાંદ જોવાની ખબરથી પણ જયારે કે ખબર કબૂલની શર્તો મુજબ હોય તો રોઝો રાખવો અને રોઝા રાખવાનું એલાન કરી શકાય છે.
મઝકૂર તમહીદ પછી જોઈએ કે પાકિસ્તાન રેડિયો પર ચાંદ કમિટી તરફથી રમઝાનના ચાંદની જાહેરાત, ચાહે ત્યાંના લોકો માટે એ’લાન ગણાશે, પરંતુ અહિંયાંના લોકો માટે જે હુદૂદે વિલાયતથી બહાર છે, ખબર ગણવામાં આવશે. કારણ કે ફિકહના એલાન સંબંધિત મસાઈલથી એ પણ સાબિત થાય છે કે એલાનમાં ખબરની હેસિયત પણ હોય છે, માટે દીની બાબતના એ’લાનમાં મુઅલિનનું આદિલ હોવું તે એ’લાનના મોઅતબર હોવા માટે ઝરૂરી છે, જેમકે અઝાન એ મખસૂસ (નિશ્ચિશ્વત) શબ્દોમાં નમાઝના વખતના શરૂ થવાનું એલાન છે અને એ એ’લાનને વખતની શરૂઆતમાં મોઅતબર માનવા માટે મોઅઝિ્ઝનનું આદિલ હોવું ઝરૂરી છે. જો ફાસિક અઝાન આપશે તો શિઆરે ઈસ્લામની અદાયગીની હદ સુધી તો તેની અઝાનથી શિઆર ત્યાગનો ગુનોહ લાગુ નહિ પડે, પણ વખતની શરૂઆત બાબત તેની અઝાનનો એઅતિબાર કરવામાં નહિ આવે, કારણ કે ફાસિકની ખબર દીની વાતોમાં વિશ્વાસ અને કબૂલિયત પાત્ર ગણાતી નથી. અલ્લામા શામી (રહ.)એ ફાસિકની અઝાનમાં આ પ્રમાણેની બહસ કરેલ છે. (શામી–૧) અને એ જ કારણે ચાંદની જાહેરાતમાં રેડિયોના મુઅલિનનું દીનદાર વિશ્વાસપાત્ર મુસ્લિમ હોવું ઉલમાએ કિરામે ઝરૂરી લખ્યું છે.
જો રમઝાનના ચાંદનો પ્રસંગ હોય અને સંજોગો એવા હોય કે એક આદિલ માણસની ખબર ચાંદ માટે પૂરતી થઈ શકે તો આવી સૂરતમાં પાકિસ્તાન રેડિયોનું એ’લાન મુઅલિનના મુસ્લિમ દીનદાર હોવાના પરિચયની શર્તે જો આ શબ્દોમાં હોય કે મેં પોતે ચાંદ જોયો છે તો વિના શંકાએ એ’લાન અમલ લાયક, બલ્કે વાજિબુલ અમલ છે અને અમૂક સૂરતોમાં એની પણ ઝરૂરત રહેશે કે તે મતલઅ સાફ ન હોવાની પણ ખબર આપે.
રહી વાત પ્રસારિત થતી પાક. ચાંદ કમિટીના પાક. રેડિયો પર જાહેરાત કે જેમાં ચાંદ કમિટીએ ગવાહી લઈ ફેસલો કર્યાનું એલાન કરવામાં આવે છે તો મુઅલિનના દીનદાર મુસ્લિમ હોવાના પરિચયની શર્તે તે કાઝીના (ચાંદ કમિટીના) ફેસલાની એક આદિલ માણસ તરફથી ખબર ગણાશે અને રમઝાન બાબત ફેસલાની એક આદિલની ખબરનો હુકમ (યોગ્ય સંજોગોમાં) વિશ્વાસ પાત્ર ફિકહી કિતાબોમાં નજરે પડયો નથી કે તેવી ખબર પણ પોતે ચાંદ જોયાની ખબરની જેમ અમલ લાયક માની શકાય છે.
પરંતુ રમઝાનના ચાંદ માટે યોગ્ય સંજોગોમાં આવી ખબરને ‘ખબર અનિલ્ કઝા’ માની (‘શહાદત અલલ્ કઝા’ની જેમ) ચાંદનો ફેસલો કરવાની ગુંજાઈશ કવાઈદથી જાણવા મળે છે, પરંતુ આ સૂરતમાં ઝરૂરી છે (શર્ત છે) કે પાક. ચાંદ કમિટીના સભ્યોની ઓળખાણ દીનદારી અને તેઓના શરઈ કવાઈદ હેઠળ બરાબર કાળજી પૂર્વક ફેસલો કરવાનો વિશ્વાસ હોય અને એલાન કરનાર કમિટીનો દીનદાર પ્રતિનિધિ અને પરિચિત હોય કારણ કે ફુકહાએ કિરામે આ ખબરને રિવાયતે અખબાર સાથે સરખાવી છે.
આ સવિસ્તાર હકીકતથી પાકિસ્તાન રેડિયોનું એ’લાન મોઅતબર ન હોવાના કારણો સરળતાથી સમજી શકાય છે.
Log in or Register to save this content for later.