Chapter : ઝકાત
(Page : 330-332)
સવાલઃ– અમારી વસ્તીમાં ર૯મી શાબાનના ચાંદ જોવાયો નથી. પરંતુ મોડી રાત્રે લગભગ ૧૦ વાગ્યાના શુમારે એકાએક દિલ્હી ઓલ ઈન્ડિયા રેડીયો ઉપરથી ઈમામ બુખારી તરફથી ચાંદની ખબરનું એલાન થયું. જેથી અમારી વસ્તીમાં દરેકે તરાવીહ પણ પઢી. અને બીજા દિવસે રમઝાનનો રોઝો પણ રાખ્યો તો આ પ્રમાણે રેડિયોની ખબરને મોઅતબર ગણવી અને રમઝાનનો રોઝો રાખવો કેવું છે ? અને અત્યારે જે ચાંદની ખબરો રેડિયો પરથી આપવામાં આવે છે તે અમલના કાબિલ છે કે નહિ તે ખાસ જણાવશો.
ર૯મી ના ચાંદના હિસાબે બીજા દિવસે લોકોને રોઝો હતો અને રેડિયોની ખબરને મોઅતબર ગણી રમઝાનની જ નિય્યતથી રોઝો રાખ્યો હતો પછી લગભગ દિવસના ૧૧વાગ્યાના શુમારે અમારા ગામના મોલ્વી સાહેબે એલાન કર્યું કે હું કંથારીયા દારૂલ ઉલૂમમાંથી આવું છું ત્યાં મેં આલિમોથી ચાંદ બાબત તહકીક કરી તો તેમણે જણાવ્યું કે કોઈ જગ્યાએથી ચાંદની ખબર નથી. મે કહયું અમારી વસ્તીમાં લોકોએ રેડિયોની ખબરથી રોઝો રાખ્યો છે તેનું શું ? જવાબ આપ્યો કે ચાંદની મોઅતબર ખબર નથી એટલે રોઝો સહીહ નથી. તમો વસ્તીમાં જઈ એલાન કરો કે આપણે ખરેખર મસ્અલા પર અમલ કર્યો છે કે જયારે ર૯મી શાબાનના ચાંદ ન દેખાય તો (યવ્મુશ્શક) સમજી ખાવું પીવું બંધ રાખો. જો કયાંકથી મોઅતબર ખબર આવી જાય તો પછી રમઝાનની નિય્યતથી રોઝો પૂરો કરો, નહિ તો રોઝો ઈફતાર કરો. અને સાથે ઐલાનમાં આ પણ કહયું કે રમઝાનનો રોઝો સમજી રોઝો રાખશો તો ગુનેહગાર થશો, જેથી મજબૂરીએ વસ્તીમાં લોકોએ રોઝો તોડી નાખ્યો. તો શું આમાં કોઈ ગુન્હો તો નથી ? આ એલાન સાંભળી વસ્તીના અમૂક લોકોએ રોઝો તોડયો નથી અને રમઝાનની નિય્યતથી જ રોઝો પૂરો કર્યો છે તો આ અમલ એ લોકોનો સહીહ છે ?
જવાબ :– દિલ્હી ઓલ ઈન્ડિયા રેડિયોની હાલ પ્રસારિત થતી ખબર રમઝાન કે ઈદના સુબૂત માટે મોઅતબર નથી, કારણ કે રેડિયોની ખબરને મોઅતબર માનવા માટે હિંદુસ્તાનના અગ્રગણ્ય અકાબિરે ઉલમાએ (જેમાં દારૂલ ઈફતા – દારૂલ ઉલૂમ દેવબંદના હઝ. મુફતી નિઝામુદ્દીન સાહેબ (રહ.), હઝ.મૌલાના મુફતી કિફાયતુલ્લાહ સાહેબ (રહ.), શૈખુલ ઈસ્લામ હઝ. મૌલાના હુસેન અહમદ મદની સાહેબ (રહ.), મઝાહિરૂલ ઉલૂમ સહારનપૂરના મુફતીએ આઝમ મૌલાના સઈદ અહમદ સાહેબ. (રહ.), હઝ. મૌલાના મુહમ્મદમીયાં સાહેબ (રહ.), મુફતીએ આઝમ પાકિસ્તાન મૌલાના મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.) અને નદવતુલ ઉલમાના આલિમોનો પણ સમાવેશ થાય છે. ફિકહ અને કુર્આન – હદીસની રોશનીમાં જે શરતો લખી છે તે શરતો મુજબ રેડિયોની ખબર હોતી નથી. માટે ચાંદ વિષે હાલ પ્રસારિત થતી રેડિયોની ખબર કાબિલે અમલ અને મોઅતબર નથી. ખાસ આજ વિષય પર હિંદુસ્તાન – પાકિસ્તાનના ઘણા આલિમોએ પુસ્તિકાઓ લખી છે. જેનો અભ્યાસ કરવાથી શર્તો જાણી શકાય છે. (નિઝામુલ ફતાવા, રૂયતે હિલાલે રમઝાન વ ઈદ કે મસાઈલો દલાઈલ / રૂયતે હિલાલ) જયારે ઓલ ઈન્ડિયા રેડિયોની ખબર મોઅતબર નથી અને પોતાના સ્થળ પર ચાંદ જોવાયો નથી, તો ૩૦ શાબાનનો દિવસ ”યવમુશ્શક” રહેશે અને શંકાસ્પદ દિવસે રમઝાનની નિય્યતથી રોઝો રાખવો મકરૂહે તહરીમી, નાજાઈઝ અને ગુનાહનું કામ છે. હઝરત અમ્માર (રદિ.) ફરમાવે છે કે જે માણસે શંકાસ્પદ દિવસે રોઝો રાખ્યો તેણે અબૂલ કાસિમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નાફરમાની કરી છે. (દુર્રે મુખ્તાર ,શામી –ર/૮૮)
યવમુશ્શકનો રમઝાનની નિય્યતથી રાખેલો રોઝો મકરૂહે તહરીમી અને નાજાઈઝ હોવાના લઈ જે લોકોએ તોડી નાખ્યો છે તે ગુનેહગાર નહિ થાય, કારણ કે એવો રોઝો તોડી નાખવો જાઈઝ છે. (હિદાયહ ૧૯૩/ફ.દારૂલ ઉલૂમ–૬/૪૦૧)
Log in or Register to save this content for later.