રોઝાના ઝરૂરી મસાઈલ

Chapter : ઝકાત

(Page : 318-324)

[૧] હાર્ટની બીમારીવાળાએ જીભ નીચે ગોળી મૂકવી

               રોઝાની હાલતમાં હાર્ટની બીમારીવાળાએ જીભ નીચે ગોળી મૂકવી અને ચૂસવી જાઈઝ નથી.

[ર] જીભ નીચે ગોળી મૂકવાથી રોઝાનું ફાસિદ થવું

               જો રોઝાની હાલતમાં હાર્ટની તકલીફ થવાથી જીભ નીચે ગોળી મૂકવામાં આવશે તો થૂંક સાથે ગોળીના કણો ગળામાં જવાથી બચવું મુશ્કેલ છે, માટે રોઝો ફાસિદ થઈ જશે.

[૩] ઈન્હીલર પંપ વડે ગળા કે નાકમાં દવા છાંટવી

               શ્વાસ અને દમની તકલીફ માટે રોઝાની હાલતમાં ઈન્હીલર પંપ વડે ગળા અથવા નાકમાં દવા છાંટવી જાઈઝ નથી, ચાહે પંપ વડે પહોંચતી દવા ખૂબ જ ઓછા પ્રમાણમાં માત્ર ગળામાં અથવા શ્વાસનળીમાં પહોંચતી હોય.

[૪] મોઢામાં દવાનો છંટકાવ કરવાથી રોઝાનું ફાસિદ થવું

               જો રોઝાની હાલતમાં શ્વાસની તકલીફના કારણે ઈન્હીલર પંપથી નાક અથવા મોઢામાં દવાનો છંટકાવ કરવામાં આવશે તો રોઝો ફાસિદ થઈ જશે.

[પ] તકલીફના કારણે પંપથી દવા લેવી પડે

               જો રોઝાની હાલતમાં પંપથી દવા ન લેવાના કારણે અસહય તકલીફ થાય તો રોઝો છોડી શકાય છે અને પછી તે રોઝાની કઝા કરી લેવામાં આવે, જો કઝા કરી શકવાની આશા ન હોય તો ફિદયો આપવો પણ જાઈઝ છે.

[૬] રોઝાની હાલતમાં ઈન્જેકશન લેવું

               રોઝાની હાલતમાં ઈન્જેકશન લેવાથી રોઝો નહિ તૂટે, ચાહે ગોશ્તમાં ઈન્જેકશન લગાડવામાં આવે અથવા રગમાં લગાડવામાં આવે.

[૭] ખોરાક માટે ઈન્જેકશન લેવું

               રોઝાની હાલતમાં દવા ઈલાજ માટે ઈન્જેકશન લેવું વિના કરાહતે જાઈઝ છે અને ખાવાની ઝરૂરત પૂરી કરવા મજબૂરી વગર ઈન્જેકશન લેવું મકરૂહ છે.

[૮] બોતલ દ્રારા નસમાં દવા દાખલ કરવી

               રોઝાની હાલતમાં શરીરમાં દવા ચઢાવવા માટે નસમાં બોતલ દ્રારા દવા દાખલ કરવી જાઈઝ છે અને તેનાથી રોઝો તૂટતો નથી.

[૯] મજબૂરી વગર નસમાં ગ્લુકોઝ ચઢાવવું

               રોઝાની હાલતમાં ખોરાક આપવા નસમાં ગ્લુકોઝની બોતલ ચઢાવવાથી રોઝો તૂટતો નથી, પરંતુ મજબૂરી વગર નસમાં ગ્લુકોઝ ચઢાવવું મકરૂહ છે.

[૧૦] ઈન્જેકશન વડે નસમાંથી લોહી લેવું

               રોઝાની હાલતમાં ઈન્જેકશન વડે નસમાંથી લોહી લેવું ઈલાજ માટે જાઈઝ છે અને નસમાંથી લોહી લેવાથી રોઝો તૂટતો નથી.

[૧૧] રોઝાની હાલતમાં નસમાં લોહી ચઢાવવું

               રોઝાની હાલતમાં નસમાં નીડલ નાખી લોહી ચઢાવવું ઉપાય માટે જાઈઝ છે અને નસમાં લોહી દાખલ કરવાથી રોઝો તૂટતો નથી.

[૧ર] રોઝાની હાલતમાં ડાયાલિસીસ કરાવવું

               કીડનીના દર્દીઓ બે પ્રકારના ડાયાલિસીસ કરાવે છે : એક પેરિટોનીઅલ ડાયાલિસીસ (PERITONEAL DIALYSIS) જે પેટમાં નળી નાંખીને કરવામાં આવે છે, જો કોઈ દર્દી આ પ્રકારનું ડાયાલિસીસ રોઝાની હાલતમાં કરાવવા ચાહે તો કરાવી શકે છે અને તેનાથી રોઝો તૂટતો નથી, કારણ કે મુસ્લિમ ડોકટરોના અભિપ્રાય મુજબ આ પ્રકારના ડાયાલિસીસમાં પેટમાં દુંટીની નીચે એક નળી દ્રારા પ્રવાહી દાખલ કરવામાં આવે છે, પરંતુ તે પ્રવાહી નળી દ્રારા જઠરમાં કે આંતરડામાં જતું નથી, તેનાથી બહાર માત્ર આંતરડાની પરદી અને થેલીમાં પ્રવાહી પહોંચે છે.

               બીજું હિમો ડાયાલિસીસ (HEMO DIALYSIS) જે સામાન્ય રીતે હાથની નસોમાં બે નીડલ નાંખીને કરવામાં આવે છે, ડોકટરોના બતાવવા મુજબ એક સોયથી શરીરમાંથી લોહી નીકળે છે અને ડાયાલાઈઝરમાં સાફ થઈ બીજી સોયથી લોહી પાછુ શરીરમાં દાખલ થાય છે. રોઝાની હાલતમાં આ પ્રકારનું ડાયાલિસીસ પણ કરાવી શકાય છે અને રોઝાની હાલતમાં આ પ્રકારના ડાયાલિસીસથી પણ રોઝો તૂટતો નથી, કારણ કે આ પ્રકારના ડાયાલિસીસમાં પણ ગળામાં, જઠરમાં કે આંતરડામાં કોઈ વસ્તુ જતી નથી હંગામી ડાયાલિસીસ ગળા પાસેની રગોમાં અથવા રાન ઉપરની રગમાં કરવામાં આવે છે, તેનાથી પણ રોઝો તૂટતો નથી અને રોઝાની હાલતમાં કરાવી શકાય છે.

[૧૩] રોઝાની હાલતમાં નાકથી દવા સુંઘવી

               રોઝાની હાલતમાં સળેખમ કે માથાના દુખાવાની તકલીફના કારણે કોઈ એવી દવા નાકથી સુંઘવી કે જેના સુંઘવાથી દવાના કણો નાકમાં ન જાય એ જાઈઝ છે અને તેને સુંઘવાથી રોઝો નહિ તૂટે અને જો તેને સુંઘવાથી દવાના કણો નાકમાં જતા હોય તો રોઝાની હાલતમાં તેવી દવા સુંઘવાથી રોઝો તૂટી જશે, માટે રોઝાની હાલતમાં એવી દવા ન સુંઘવી જોઈએ.

[૧૪] નાકના કિનારા પર બામ જેવી કોઈ દવા લગાડવી

               કોઈ તકલીફના કારણે નાકના કિનારા પર બામ જેવી કોઈ દવા લગાડવાથી કે જેના તત્વો નાકમાં ન પહોંચે, રોઝો નહિ તૂટે અને બામ કે વીકસ જેવી કોઈ દવા નાકની અંદર રોઝાદારે ન લગાડવી જોઈએ કારણ કે દવાના કણો અંદર સુધી પહોંચવાથી રોઝો તૂટી જાય છે.

[૧પ] ગરમ પાણીમાં બામ નાખી નાશ લેવો

               રોઝાની હાલતમાં ગરમ પાણીમાં બામ વગેરે નાખીને નાશ લેવાથી રોઝો તૂટી જાય છે, જેમાં નાક અને મોઢામાં દવા વાળા પાણીની વરાળ લેવામાં આવે છે.

[૧૬] દાંતો પર મંજન અથવા ટુથ પેશ્ટ લગાડવી

               રોઝાની હાલતમાં દાંતો પર મંજન અથવા ટુથ પેશ્ટ લગાડવી મકરૂહ છે, જો તેને લગાડવાથી તેનો કોઈ ભાગ ગળામાં નહિ જાય તો રોઝો નહિ તૂટે અને તેનો કોઈ ભાગ ગળામાં જશે તો રોઝો તૂટી જશે, માટે રોઝાની હાલતમાં તેના ઉપયોગથી બચવું જોઈએ.

[૧૭] રોઝાની હાલતમાં દાંતો પર દવા લગાડવી

               રોઝાની હાલતમાં દાંતોની તકલીફના કારણે જો દાંતો પર દવા લગાડવામાં આવે અને તે દવા અને તેનો સ્વાદ ગળામાં ન પહોંચે તો રોઝો નહિ તૂટે અને જો તે દવાનો સ્વાદ ગળામાં પહોંચશે તો રોઝો તૂટી જશે અને તેની કઝા કરવી પડશે.

[૧૮] પાણીમાં કોઈ દવા નાખીને કોગળા કરવા

               રોઝાની હાલતમાં દાંત કે મોઢાની તકલીફના કારણે પાણીમાં કોઈ દવા નાખીને કોગળા કરવાથી બચવું જોઈએ, જો કોઈ દવાવાળા પાણીથી કોગળા કરે અને સ્વાદ ગળામાં ન પહોંચે તો રોઝો નહિ તૂટે અને સ્વાદ ગળામાં પહોંચશે તો રોઝો તૂટી જશે, માટે મજબૂરીમાં કોગળા કરે તો ગરગરો કરવાથી બચવું જોઈએ.

[૧૯] થૂંક સાથે લોહીનું ગળામાં જવું

               રોઝાની હાલતમાં અસહય તકલીફ વગર દાંત, દાઢ ન કઢાવવી જોઈએ, જો અસહય તકલીફના કારણે દાંત – દાઢ કઢાવે તો લોહી અથવા દવા ગળામાં ન જવા દેવું જોઈએ. જો દવાનો સ્વાદ ગળામાં જશે તો રોઝો તૂટી જશે અને થૂંક સાથે લોહી ગળામાં જશે અને લોહી થૂંકથી વધારે કે બરાબર હશે તો પણ રોઝો તૂટી જશે અને લોહી થૂંકથી ઓછું હશે તો રોઝો નહિ તૂટે.

[ર૦] પેઢયા (મસોળા)માં ઈન્જેકશન લગાડવું

               દાંત, દાઢ કાઢવા માટે જે ઈન્જેકશન પેઢયા (મસોળા)માં લગાડવામાં આવે છે, તેનાથી રોઝો નહિ તૂટે.

[ર૧] રોઝાની હાલતમાં આંખમાં દવા નાખવી

               રોઝાની હાલતમાં આંખમાં દવા નાખવાથી રોઝો તૂટતો નથી, ચાહે આંખમાં નાંખેલી દવાનો અસર ગળામાં માલૂમ પડે.

[રર] રોઝાની હાલતમાં કાનમાં દવા નાખવી

               તબીબો અને અંગ શાસ્ત્રીઓના અભિપ્રાય મુજબ તહકીકકાર માહિર મુફતિયાને કિરામના ફતવા મુજબ રોઝાની હાલતમાં કાનમાં દવા નાખવાથી રોઝો તૂટતો નથી. અલબત્ત રોઝાની હાલતમાં કાનમાં દવા નાંખવાથી બચવું બેહતર છે.

[ર૩] મુકીમનો સુર્યોદય પછી સફરનો ઈરાદો હોય

               જે માણસ રમઝાન મુબારકમાં સહરી વખતે મુકીમ હોય અને સુર્યોદય પછી તે વ્યકિતનો શરઈ સફર કરવાનો પાકો ઈરાદો હોય તો પણ તેના માટે તે દિવસનો રોઝો છોડવો જાઈઝ નથી.

[ર૪] સફરના કારણે કઝા કરવાની નિય્યતથી રોઝો તોડવો

               જે વ્યકિતએ મુકીમ કે મુસાફિર હોવાની હાલતમાં રમઝાનનો રોઝો રાખ્યો તો હવે માત્ર સફરના કારણે કઝા કરવાની નિય્યતથી તે રોઝો તોડવો જાઈઝ નથી.

[રપ] જે દિવસે મુકીમ બનવાનો ઈરાદો હોય

               જે વ્યકિત રમઝાન મુબારકમાં સહરી વખતે શરઈ મુસાફિર હોય અને તે જ દિવસે સફરથી પાછા ફરી તેનો મુકીમ બનવાનો પાકો ઈરાદો હોય તો પણ તેના માટે કઝાની નિય્યતથી રોઝો છોડવો જાઈઝ છે.

[ર૬] હૈઝની હાલતમાં રોઝો રાખવો

               જે ઓરત રમઝાન મુબારકમાં સહરી વખતે હૈઝની હાલતમાં હોય તેણે રોઝો રાખવો જાઈઝ નથી, રમઝાન પછી તે દિવસનો કઝા રોઝો રાખવો ઝરૂરી છે.

[ર૭] સહરી પછી હૈઝ શરૂ થાય

               જો ઓરતને સહરી પછી હૈઝ શરૂ થાય તો તે દિવસનો રોઝો છોડી આપવો અને રમઝાન પછી કઝા કરવી ઝરૂરી છે.

[ર૮] જે દિવસે હૈઝ બંધ થવાની આશા હોય

               જે ઓરત સહરી વખતે હૈઝમાં હોય, પરંતુ તે દિવસે હૈઝ બંધ થઈ જવાની અને પાક થવાની પોતાની આદત મુજબ પાકી આશા હોય તો પણ તે દિવસનો રોઝો રાખવો જાઈઝ નથી અને તે દિવસનો કઝા રોઝો રાખવો ઝરૂરી છે.

[ર૯] ઈસ્તિહાઝહના લોહીનો હુકમ

               ઈસ્તિહાઝહની બીમારીમાં લોહીની હાલતમાં ઓરતે રોઝો છોડવો અને નમાઝ છોડવી જાઈઝ નથી.

[૩૦] ઈસ્તિહાઝહની બીમારીવાળી ઓરત મઅઝૂર હોય

               જો ઈસ્તિહાઝહની બીમારીવાળી ઓરત મઅઝૂર હશે તો તેણે દરેક નમાઝના સમય માટે વુઝૂ કરવું પડશે અને લોહી વહેવા છતાં તે નમાઝ પઢી શકશે અને રોઝો રાખી શકશે.

[૩૧] રોઝાની હાલતમાં ઓકિસઝન ચઢાવવું

               રોઝાની હાલતમાં ઓકિસઝન ચઢાવવાથી રોઝો તૂટશે નહિ.

Log in or Register to save this content for later.