[ર૩૮] કઈ વસ્તુનો સદકહ અફઝલ

Chapter : ઝકાત

(Page : 279-280)

સવાલ :– સદકહ રૂપે વિવિધ વસ્તુઓ આપી શકાય છે, પરંતુ સદકહમાં કઈ વસ્તુ સૌથી અફઝલ છે? મને એક સાહેબથી એવું જાણવા મળ્યું છે કે સામાન્ય તકલીફમાં નાના સદકહ માટે કોઈ જાનવરનું  લોહી ન વહાવવું જોઈએ, બલ્કે અનાજ અથવા રોકડ રકમ આપવી જોઈએ અને સદકહરૂપે જાનવર તો ત્યારે જ ઝબહ કરવું જોઈએ જયારે કોઈ મોટી તકલીફ હોય, જેમકે કોઈ માણસ સખત બીમાર થઈ જાય અથવા સકરાત જેવી હાલત હોય. મારો એક સાથી છે જે નાની નાની તકલીફમાં જેવી રીતે કે છોકરા બીમાર થઈ જાય અથવા પોતે બીમાર થઈ જાય અથવા ઓરત બિમાર થઈ જાય તો મોટું જાનવર ઝબહ કરાવી આજુબાજુ ચાલતા મદ્રસાઓમાં મોકલે છે, માટે યોગ્ય રેહબરી કરશો.

જવાબ :– બીમારી વગેરે ગમે તે પ્રકારની તકલીફમાં કોઈ માલી સદકહ કરવો એ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની તા’લીમ છે અને ફઝીલત તથા ખૂબીની વાત છે. સદકહથી આવેલી અને આવનાર બલાઓ અને મુસીબતો દૂર થાય છે અને સદકહરૂપે ગમે તે વસ્તુ આપી શકાય છે, પરંતુ ગમે તે પ્રકારની તકલીફમાં સદકહરૂપે આપવામાં આવતી વસ્તુઓમાં રોકડ રકમનો સદકહ કરવો એ સૌથી અફઝલ અને બેહતર છે, કારણકે સદકહમાં એવી વસ્તુ આપવી જેનાથી ગરીબની હાજત સારી રીતે પૂરી થઈ શકે એ અફઝલ છે અને જાહેર વાત છે કે ગરીબ પોતાની જે કંઈ ઝરૂરત હોય, રોકડ રકમથી સામાન ખરીદીને પોતાની ઝરૂરત આસાનીથી પૂરી કરી શકે છે અને જાનવર ઝબહ કરી ગોશ્તનો સદકહ કરવામાં આવે તો સામાન્ય રીતે તેનાથી ખાવાની ઝરૂરત પૂરી થઈ શકે છે અને શકય છે કે જે ગરીબને ગોશ્તનો સદકહ કરવામાં આવે તેની પાસે ખાવા–પીવાનો સામાન તો પૂરતા પ્રમાણમાં હોય અને ખાવા–પીવા સિવાય તેને અન્ય વસ્તુઓની ઝરૂરત હોય, જેને ખરીદવા તેને રોકડ રકમની ઝરૂરત હોય.   (શામી –ર / ૭૭)

               કોઈ ખાસ પ્રકારની તકલીફમાં કોઈ ખાસ વસ્તુના સદકહનું અફઝલ હોવું કુર્આન અને હદીષથી સાબિત નથી અને નાની મુસીબતમાં રોકડ રકમનો સદકહ કરવો અને મોટી મુસીબતમાં જાનવર ઝબહ કરી ગોશ્તનો સદકહ કરવો એની પણ કોઈ સાબિતી નથી.

Log in or Register to save this content for later.