[ર૩૧] જમીનથી પેદા થતી ખેતીની ઝકાત

Chapter : ઝકાત

(Page : 272-274)

સવાલ :–  (૧) હિન્દુસ્તાનની જમીનો ઉશ્રી છે કે ખિરાજી, અને બન્ને સૂરતોમાં ઝકાતની અદાયગી કઈ રીતે કરવી?

               (ર) જો કોઈ વ્યકિત ખેતર ભાડે લઈ ખેતી કરતો હોય તો પેદાવારની ઝકાતનો હિસાબ ભાડૂ બાદ કર્યા પછી કરવો કે બાદ કર્યા વગર કરવો?

               (૩) જો કોઈ વ્યકિત અડધા – અડધા ભાગે (જેમકે એકની જમીન બીજાની મહેનત અને બી, પેદાવારમાં બન્નેના સરખા ભાગ હોય) ખેતી કરે તો ઝકાત કોના માથે લાગુ પડશે?

               (૪) જો કોઈ વર્ષે ખેતી ખરાબ થઈ જાય અને ખેતી ખર્ચ જેટલી અથવા તેનાથી ઓછી વધતી પેદાવાર થાય તો ઝકાતનો શું હુકમ છે?

               (પ) માલની ઝકાતની જેમ અનાજમાં મુસ્તહિકોને માલિક બનાવી આપવું જરૂરી છે કે પછી નફલ સદકહના મસ્રફ મસ્જિદ, મદ્રસાની તઅમીર, મકાતિબના મુદર્રિસોના પગાર વગેરેમાં આપી શકાય છે?

(નોમાન બુક ડેપો, પૂરાની સબ્ઝી મંડી, મું, હરડા, જિઃહરદા, એમ.પી.)

જવાબ :–   (૧) હિન્દુસ્તાનની જે જમીનો મુસલમાનોની માલિકીમાં છે અને કોઈ કાફિરનું તે જમીનોનો ભૂતકાળમાં માલિક હોવું સાબિત ન હોય તો આવી જમીનો ઉશ્રી ગણાશે અને તેનો ઉશ્ર કે ઉશ્રનો અડધો ભાગ ઝકાતના મુસ્તહિકોને અદા કરવાનો રહેશે. જો તે જમીનની પેદાવાર વરસાદ, ઝરણા કે મોટી નહેરના પાણીથી કરવામાં આવી હોય તો ઉશ્ર અદા કરવો પડશે અને જો કુવો કે નહેરથી ખરીદેલા પાણીથી કરવામાં આવી હોય તો ઉશ્રનો અડધો ભાગ (પાંચ ટકા એટલે કે વીસમો ભાગ) અદા કરવાનો રહેશે. અને મુસલમાનોની તે જમીન જેનો ભૂતકાળમાં કોઈ કાફિર માલિક રહી ચૂકયો હોય તે ખિરાજી છે. ખિરાજ બે પ્રકારના હોય છે એક ખિરાજે મુકાસમા જેમાં પેદાવારનો પાંચમો ભાગ (ખુમ્સ) તેના મુસ્તહિકોને આપવાનો રહેશે. આ પ્રકાર ગુજરાત અને રાજપૂતાનાની ખિરાજી જમીનો પર લાગુ પડે છે. બીજો પ્રકાર ખિરાજે મુવઝ્‌ઝફ છે જે અનાજ, કપાસ જેવી સામાન્ય પેદાવારવાળી ખિરાજી જમીનોમાં વીઘા દીઠ એક દિરહમ ચાંદી અને એક સાઅ એટલે કે આશરે ત્રણ કિલો બસો એંસી ગ્રામ ઘઉં અથવા જે કંઈ પણ તે જમીનોમાં વાવવામાં આવ્યું હોય. શાકભાજી વાળી જમીનોમાં વીઘા દીઠ પાંચ દિરહમ અને દ્રાક્ષ કે ખજૂરના ભેગા વૃક્ષોવાળી વાડીમાં વીઘા દીઠ દસ દિરહમ ચાંદી આપવાની રહેશે. ખિરાજ દીની મદારિસની તઅમીર, મુદર્રિસોના પગારો, મસ્જિદોના ઈમામો, મુઅઝિઝનોના પગારમાં તેમજ મસ્જિદ કે મુસાફિરખાનાની તઅમીર અને ઈસ્લામી અદાલતોના ખર્ચાઓમાં આપી શકાય છે.

     (શામી–ર, ઈસ્લામકા નિઝામે અરાઝી)

               (ર) ખેડૂત ખેતરનું ભાડુ બાદ કર્યા વગર કુલ પેદાવારનો દસમો ભાગ અદા કરશે.             (શામી–ર/પ૧)

               (૩) માલિક અને ખેડૂતને નકકી કર્યા મુજબ જેટલો ભાગ મળે તેના પ્રમાણમાં બન્નેવે ઉશ્ર અદા કરવાનું રહેશે, જો બન્નેવે અડધો અડધો કે વધતો ઓછો ભાગ નકકી કર્યો હોય તો દરેકે પોતાના પૂરા ભાગમાંથી દસમો ભાગ ઉશ્ર પેટે આપવાનો રહેશે. (શામી–ર/પ૬, જવાહિરુલ ફિકહ–ર/ર૭૩)

               (૪) ખેત પેદાવાર બરાબર ન થવાની સૂરતમાં જયારે પેદાવાર ખેતી ખર્ચ જેટલી અથવા તેનાથી થોડી ઓછી વધતી થઈ તો સાહિબૈન (રહ.) અને જમહૂર અઈમ્મએ કિરામ (રહ.)ના મસ્લક પ્રમાણે જો પાંચ વસક એટલે કે છ કવિન્ટલ પ૩ કિલો ગ્રામથી ઓછી પેદાવાર થાય તો તેની ઉપર ઉશ્ર વાજિબ નહિ થાય. અહિંયા સુધી કે સંપૂર્ણ પેદાવાર ખેતી કરનાર પોતે વાપરી લેશે તો પણ જાઈઝ છે.

               (પ) ઉશ્ર (ખેતીની ઝકાત) પણ ઝકાતના મુસ્તહિકોની જેમ માલિક બનાવી આપવી જરૂરી છે, લિલ્લાહ રકમના મસ્રફમાં જેમકે મસ્જિદ મદ્રસાની તઅમીર અને મકતબના ઉસ્તાદોના પગારમાં આપવી જાઈઝ નથી.      (શામી–ર)

Log in or Register to save this content for later.