[ર૩૦] જે પેદાવારમાં ઉશ્ર વાજિબ છ

Chapter : ઝકાત

(Page : 267-272)

સવાલ :– (પ) ૧– શું ઉશ્રનું વાજિબ હોવું ખેતીની પેદાશ પર છે કે પછી તેના માટે કોઈ નિસાબનો એઅતિબાર કરવામાં આવશે? અને જો નિસાબનો એઅતિબાર કરવામાં આવતો હોય તો તે નિસાબ શું છે?

               ર– શું જમીનથી પેદા થતી દરેક વસ્તુ પર ઉશ્ર વાજિબ થાય છે? જેમકે ઘાસ, વાંસ, ઝાડ તેમજ જાનવરો માટે ઉગાવવામાં આવતો ચારો વગેરે કે પછી પેદાવારમાંથી અમુક વસ્તુ બાકાત છે? પાણીથી થતી વસ્તુઓ જેમકે (લીલીના બીજ) મુખાના અને (સિંગોળા) સિંઘાળા વગેરેમાં પણ ઉશ્ર વાજિબ છે કે નહિ?

               ૩– આજકાલ સામાન્ય રીતે ખેતીવાડીની જમીન ઉપર તળાવ બનાવી દેવામાં આવે છે અને તેમાં માછલીઓ ઉછેરવામાં આવે છે, અને તેને ઘણોજ નફાકારક કારોબાર સમજવામાં આવે છે. ખેડૂતો એવું વિચારે છે કે જો જમીનોમાં ઘઉં, ડાંગર વગેરે વાવવામાં આવે તો તેમાં ખર્ચ અને મહેનત વધારે છે અને તેનાથી લાભ ઓછો થાય છે, આ કારણે આ જમીનોને માછલીના ઉછેર માટે તળાવ બનાવી વાપરે છે.  આ તળાવોમાં કયારેક તો કુદરતી પાણી ભેગું થાય છે તો કયારેક બોરિંગ અથવા બીજા સાધનો વડે તેમાં પાણી પહોંચાડવામાં આવે છે, હવે સવાલ એ છે કે આ માછલીના ઉછેરને ખેતીમાં ગણી તેની ઉપર ઉશ્રના હુકમો લાગુ કરવામાં આવશે કે પછી તેમાં માલની ઝકાતનો હુકમ લાગુ પડશે?

               ૪– રેશમના કીડાના ઉછેર માટે શેતુરના ઝાડ ઉગાવવામાં આવે છે, આ વૃક્ષોથી કોઈ ગણના પાત્ર ફાયદો થતો નથી, પરંતુ રેશમના આ ઉછેરથી ખેડૂતોને ઘણો નફો મળે છે. હવે સવાલ એ છે કે રેશમના ઉછેર પર ઉશ્ર વાજિબ થશે કે નહિ? આ બાબત શરઈ હુકમ શું છે?

               પ– વૃક્ષો બે જાતના હોય છે, એક તો વાડીના રૂપમાં હોય છે જેનાથી ફળો પ્રાપ્ત થાય છે અને બીજા તે વૃક્ષો જેનાથી ફળો મકસૂદ હોતા નથી,  બલ્કે બળતણ અથવા ઈમારતી ફર્નિચર વગેરેમાં વાપરવામાં આવતા લાકડા મકસૂદ હોય છે એવા વૃક્ષોનો શું હુકમ છે?

               ૬– શાકભાજી જે લાંબા સમય સુધી બાકી નથી રહેતી અને તેની પેદાવાર બરાબર ચાલુ રહે છે, એક બાજુ ફળો તોડવામાં આવે છે કે થોડા જ સમયમાં બીજા ફળો નીકળી આવે છે. આ પ્રમાણેની ખેતીઓની  બે સૂરતો છે, એક એ કે જેનો હેતુ વેપાર હોય છે અને બીજી એ કે લોકો પોતાના ઘર આંગણે પડતર જમીનમાં અથવા મકાનની છતો ઉપર શાકભાજી ઉગાવી લે છે. બન્ને સૂરતોમાં ઉશ્ર વાજિબ થવાનો શું હુકમ છે?

               ૭– વકફ જમીનોની પેદાવારમાં ઉશ્ર વાજિબ છે કે નહિ? ખાસ કરી અવલાદ પર વકફ કરેલી જમીનોમાં વાજિબ છે કે નહિ?

જવાબ :–(પ) ૧– જો પેદાવાર અડધા સાઅથી વધુ હોય તો તેની ઉપર ઉશ્ર વાજિબ છે, ભલેને તે અડધા સાઅથી ગમે તેટલી વધારે હોય. ઈમામ અબૂ હનીફહ (રહ.)ના મંતવ્ય પ્રમાણે જમીનની પેદાવારની ઝકાત માટે કુર્આન–હદીષથી કોઈ પણ નિસાબ શરત નથી.  (શામી–ર)

               ર– જમીનથી પેદા થતી દરેક વસ્તુમાં ઉશ્ર વાજિબ નથી બલ્કે ખેતીની જે પેદાવાર વડે જમીનથી આવક પ્રાપ્ત કરવાનો હેતુ હોય, તેવી પેદાવારમાં ઉશ્ર વાજિબ થાય છે, માટે વાવણી વગર આપોઆપ ઉગતી ઘાસ અને એવા ઉગતા ઝાડોમાં ઉશ્ર વાજિબ નથી. હા, કોઈ વ્યકિત ઘાસ, વાંસ અને જાતે ઉગતી ઘાસ તેમજ વૃક્ષોને આવક માટે પોતે વાવે તો તેમાં પણ ઉશ્ર વાજિબ થશે.                (શામી–ર/પ૦)

               (લીલીના બીજ) મુખાના અને (સિંગોળા) સિંઘાળા જેવી વસ્તુઓ જમીનની જ પેદાવાર ગણાય છે, જો કે તેની ખેતી માટે વધુ પડતા પાણીની જરૂરત પડતી હોય છે, પરંતુ તેની જળો તો જમીનમાં જ હોય છે અને જમીનના આવકપાત્ર મુખ્ય ઉત્પાદનમાં ઉશ્ર વાજિબ થાય છે, જેથી (લીલીના બીજ) મુખાના અને (સિંગોળા) સિંઘાળા જેવી પેદાવારમાં પણ ઉશ્ર વાજિબ થશે, જયારે કે હેતુ પૂર્વક તેની ખેતી કરવામાં આવી હોય.              (શામી–ર)

૩– માછલીના ઉછેરમાં ઉશ્ર વાજિબ નથી કારણકે માછલી જમીનની પેદાવારમાંથી ગણાતી નથી અને જમીનની પેદાવારથી પોષણ પણ પામતી નથી. જો કોઈ માણસ આર.સી.સી.થી બનાવેલ પાકી હોઝમાં માછલીનો ઉછેર કરવા ચાહે તો પણ કરી શકે છે અને ઉશ્રના વાજિબ થવા માટે અસલ એ છે કે તે સીધેસીધી જમીનની પેદાવાર હોવી જોઈએ અથવા જમીનની પેદાવારથી પોષણ પામતી વસ્તુ હોવી જોઈએ.                     (શામી–ર/પ૩)

               હા, જો આ પ્રમાણેના તળાવમાં માછલીઓ કે તેના બીજ ખરીદીને વેપારની નિય્યતથી નાખવામાં આવ્યા હોય તો તેની ઉપર માલની ઝકાત ફરજ ગણાશે.           (અહસનુલ ફતાવા–૪/૩૧૦)

               ૪– જે વસ્તુ સામાન્ય રીતે ખેતી કરવામાં મૂળ મકસદ ન હોય અને મૂળ મકસદ બનાવી તેની ખેતી ન કરવામાં આવી હોય તો તેમાં પણ ઉશ્ર વાજિબ નહિ થાય. એવી જ રીતે ખેતીના હેતુ વિહોણી વસ્તુઓ દ્રારા ઉછેર પામનાર વસ્તુમાં પણ ઉશ્ર વાજિબ નથી, જેમકે હનફી કિતાબોમાં તેને વિગતથી વર્ણવવામાં આવી છે, પરંતુ જો ખેતીના હેતુ વગરની આવી વસ્તુઓને ખેતીનો હેતુ બનાવી ખેતી કરવામાં આવે તો તેમાં ઉશ્ર વાજિબ થશે, જેમકે કોઈ વ્યકિત ફળ વિનાના કે વાંસના વૃક્ષો વાવે કે જેનાથી બળતણ અને ફર્નિચર માટે લાકડુ મળી રહે તો આ સૂરતમાં તેમાં ઉશ્ર વાજિબ ગણાશે. એવી જ રીતે કોઈ વ્યકિત રેશમ પ્રાપ્ત કરવા માટે શેતૂરના પાંદડાઓને હેતુ બનાવી શેતુરની આખી વાડી બનાવે અને તેના સિવાય અન્ય કોઈ વસ્તુની તેમાં ખેતી કરવામાં ન આવતી હોય તો આ પાંદડાઓની ખેતીમાં પણ ઉશ્ર વાજિબ થશે.

               જેમકે ”તન્કીહુલ ફતાવા અલ હામિદિય્યહ” માં છે :

               ”શેતૂરના પાંદડાઓ વિષે સવાલ પૂછવામાં આવ્યો કે શું તેમાં ઉશ્ર વાજિબ થશે કે નહિ? તો તેના જવાબમાં ફરમાવ્યું કે થઈ શકે છે કે શેતૂરના પાંદડાઓ અને વૃક્ષોને ખેતીના હેતુ સાથે મેળવી દેવામાં આવ્યા હોય, કારણ કે ખવારિઝિમ અને ખુરાસાન જેવા દેશોમાં તેને આવક પ્રાપ્ત કરવા ઉછેરવામાં આવે છે. ‘કિતાબુલ ફિકહ’માં તેને સ્પષ્ટ કરતા વર્ણવવામાં આવ્યું છે કે શેતૂરના પાંદડાઓ અને બોરડીના વૃક્ષોમાં ઉશ્ર વાજિબ થશે.”

(અલ ઉકૂદુદુર્રિય્યહ મિન તન્કીહિલ ફતાવા અલ હામિદિય્યહ–૧/૧૧)

               અને જયારે શેતૂરના પાંદડાઓને હેતુ બનાવી તેનાથી રેશમના કીડા ઉછેરનો અને તેનાથી રેશમનું ઉત્પાદન પ્રાપ્ત કરવાનો હેતુ હોય તો આવા રેશમમાં પણ ઉશ્ર વાજિબ થશે. જેમકે હનફી ઉલમાએ કિરામના મંતવ્ય મુજબ ઉશ્રી જમીનમાં પેદા થતા મઘમાં ઉશ્ર વાજિબ થાય છે.                                          (ફતહુલ કદીર–ર)

               પ– ફળોના વૃક્ષોની વાડીમાં જમીનની હાલત જોઈ તેમાં ઉશ્ર કે ખિરાજ વાજિબ થાય છે અને અન્ય ફળદાર કે ફળ વિનાના વૃક્ષોની ખેતી જો બળતણ કે ફર્નિચરના લાકડા માટે કરવામાં આવે અને તે સિવાય અન્ય કોઈ વસ્તુની ખેતી તેમાં ન કરવામાં આવે અને તે જમીન ઉશ્રી હોય તો તેમાં ઉશ્ર વાજિબ છે.

(રદ્દુલ મુહતાર –ર/૭પ૦, ૩/ર૬૧, અલ ઉકૂદુદુર્રિય્યહ–૧/૯)

               ૬– ઉશ્રી જમીનોની શાકભાજીની ખેતીમાં પાણીના પ્રકારને જોઈ તેમાં ઉશ્ર કે નિસ્ફુલ ઉશ્ર (ઉશ્રનો અડતો ભાગ) વાજિબ થાય છે અને ઘર આંગણે પડતર જમીનમાં કે મકાનના ઘાબા ઉપર વાવવામાં આવતી શાકભાજીમાં ઉશ્ર–ખિરાજ વાજિબ થતુ નથી, કારણ કે તે ઉશ્રી જમીન નથી. (રદ્દુલ મુહતાર– ર/૪૯,પ૩ અલ ખાન્યતુ મઅલ્‌ હિન્દિય્યહ –૧/ર૭૭)

               ૭– વકફ જમીનો જો ઉશ્રી હોય તો તેની પેદાવારમાં પણ ઉશ્ર વાજિબ થાય છે.  (રદ્દુલ્‌ મુહતાર–ર/૪૯, ૩/રપપ)

Log in or Register to save this content for later.