[રરપ] ખેત ઉત્પાદનની ઝકાતનો હુકમ કુર્આન – હદીષમાં

Chapter : ઝકાત

(Page : 257-258-259)

સવાલ :– શું સોના – ચાંદી, રોકડ અને વેપારના માલ–સામાનની ઝકાતની જેમ ખેતીની ઉપજ અને ઉત્પાદનમાંથી પણ ઝકાત આપવાનું વર્ણન કુર્આન અને હદીષમાં મવજૂદ છે? અને શું ખેત ઉત્પાદનમાંથી પણ ઝકાત આપવી વાજિબ છે ?  (ઈસ્લામી ફિકહ એકેડમી – દિલ્હી)

જવાબ :– સોના – ચાંદી, રોકડ રકમ અને વેપારના માલ – સામાનની ઝકાતની જેમ ખેત ઉત્પાદનમાં પણ ઝકાત વાજિબ છે અને મઝકૂર ઝકાતનો હુકમ કુર્આન મજીદ અને હદીષ શરીફમાં મવજૂદ છે.

               પહેલી આયત : અલ્લાહ તઆલા ફરમાવે છે :

યા અય્યુહલ્‌ લઝીન આમનૂ અન્ફિકૂ મિન્‌ તય્યિબાતિ મા કસબ્તુમ્‌ વમિમ્મા અખ્રજ્‌ના લકુમ્‌ મિનલ્‌ અર્દિ.

હે ઈમાનવાળાઓ ખર્ચ કરો તે પાક અને હલાલ વસ્તુઓમાંથી જે તમોએ કમાઈ છે અને તે ચીઝોમાંથી જે અમોએ તમારા લાભ માટે જમીનમાંથી બહાર કાઢી છે.           (સૂરએ બકરહ – ૪૬૭)

               આ આયતે કરીમામાં મિન્‌ તય્યિબાતિ મા કસબ્તુમ્‌ માં વેપારના માલની ઝકાતના હુકમનું વર્ણન છે અને વમિમ્મા અખ્રજ્‌ના લકુમ્‌ મિનલ્‌  અર્દિ માં ખેત ઉત્પાદનની ઝકાતના હુકમનું વર્ણન છે.

               હઝરત ઉબૈદહ (રહ.) કહે છે કે મેં અલ્લાહ તઆલાના ફરમાન વમિમ્મા અખ્રજ્‌ના લકુમ બાબત હઝરત અલી (રદિ.)થી પૂછયું તો તેઓએ ફરમાવ્યુ કે આ આયતમાં અનાજ, દરેક પ્રકારના ફળફળાદી અને દરેક ઉશ્ર (ઝકાત) વાજિબ થવા પાત્ર વસ્તુઓમાંથી ઉશ્ર કાઢવાનો અને અદા કરવાનો હુકમ છે.    (જામિઉલ્‌ બયાન તબરી ૮૧/૩)

               શેખ અબુ જઅફર તબરી (રહ.) (વફાત હિ.સ. ૩૧૦) વમિંમ્મા  અખ્રજ્‌ના લકુમ્‌ મિનલ્‌ અર્દિ” વિષે લખે છે કે અલ્લાહ જલ્લ શાનુહુની મુરાદ આ છે કે અમોએ જમીનમાંથી તમારા માટે આપેલા ઉત્પાદનમાંથી પણ ખર્ચ કરો , માટે સદકો આપો અને ખજૂર, અંગૂર, ઘઉં અને જવમાંથી અને જમીનની જે ઉપજમાં સદકો વાજિબ છે તેમાંથી ઝકાત આપો.                 (જામિઉલ્‌ બયાન તબરી ૮૧/૩

               હઝરત હસન બસરી (રહ.) આ આયતમાં ‘અન્‌ફિકૂ” નો મતલબ બયાન કરતા કહે છે કે તેનાથી (વેપારના માલની અને ખેત ઉત્પાદનની) ફર્ઝ ઝકાત મુરાદ છે અને શેખ ફખરુદ્દીન રાઝી (રહ.) અને હસન બસરી (રહ.) ના આ મંતવ્યના અનુસંધાનમાં આ આયતથી સાબિત થતા મસાઈલ લખે છે કે :

પહેલો મસ્અલહ :

               આ આયત ઈન્સાને કમાયેલા દરેક માલમાં ઝકાત વાજિબ થવાની દલીલ છે, તેમાં તિજારતી માલની ઝકાત, સોના–ચાંદીની ઝકાત અને જાનવરોની ઝકાતનો સમાવેશ છે કારણ કે આ બધી જ વસ્તુઓને ઈન્સાનની કમાણી કહી શકાય છે અને આ આયત જમીનમાં ઉગેલી દરેક વસ્તુમાં પણ ઝકાત વાજિબ થવાની દલીલ છે, જેમ કે ઈમામ અબૂ હનીફહ (રહ.)નું મંતવ્ય છે અને આ આયતમાં ઈમામ સાહેબના મંતવ્યની ખૂબ સ્પષ્ટ દલીલ છે. (તફસીરે કબીર ઈમામ રાઝી – ૬૧/૭)

               કાઝી સનાઉલ્લાહ પાનીપતી (રહ.) આ આયત વિશે લખે છે કે સહીહ મંતવ્ય આ જ છે કે આ આયત ઝકાતના બયાન માટે છે, કારણ કે આ હુકમ વાજિબને બયાન કરવા માટે છે, માટે આ આયતમાં ખેત ઉત્પાદનનો દસમો ભાગ (ઝકાત રૂપે) કાઢવાનો હુકમ છે.            (તફસીરે મઝહરી : ૩પ૧/૧)

               હઝરત મવ. મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.) લખે છે કે વમિમ્મા અખ્રજ્‌ના લકુમ્‌ મિનલ્‌ અર્દ માં અખ્રજ્‌ના શબ્દથી એ વાત તરફ ઈશારો છે કે ઉશરી જમીનમાં ઉશ્ર (ઝકાત) વાજિબ છે, આ આયતના ઉમૂમને અબૂ હનીફહ (રહ.) એ એ વાતની દલીલ ઠરાવી છે કે ઉશરી જમીનની થોડી અને વધારે દરેક પેદાવાર પર ઉશ્ર વાજિબ છે.               (મ.કુર્આન : ૬૩૯/૧)

Log in or Register to save this content for later.