Chapter : નમાઝ
(Page : 171-172)
સવાલ :– હું ચાલુ વર્ષે ટૂરમાં હજ પઢવા ગયો હતો, અમને ટૂરવાળાએ મક્કહ મુકર્રમહ અને મિના વચ્ચે અઝીઝિય્યહ જુનૂબિય્યહ નામના સ્થળે રાખ્યા હતા. ટૂર ઓપરેટરે અમને કહ્યું કે મક્કહના મુફતિયાને કિરામે ફતવો બહાર પાડયો છે કે હવેથી અઝીઝિય્યહ, મિના અને મુઝદલિફહ મક્કહ શહેરની હદમાં ગણાશે, માટે હિન્દુસ્તાનથી આવનાર હાજીઓ જો અઝીઝિય્યહ, મિના, મુઝદલિફહ અને મક્કહમાં કુલ ૧પ દિવસ કે તેથી વધુ દિવસો રહેવાના હોય તો તેઓ અહિંયા મુકીમ ગણાશે, મુસાફિર નહિં ગણાય અને મિનાના પાંચ દિવસો પણ પંદર દિવસની ગણતરીમાં લેવામાં આવશે અને મિનામાં જતાં સુધી એટલે કે માત્ર આઠ ઝુલહજ સુધીના દિવસો જ નહિં ગણાય, જેથી હવે અઝીઝિય્યહ, મિના, મુઝદલિફહ અને અરફાતમાં ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝો દરેક હાલતમાં પૂરી પઢવાની રહેશે, કસર પઢવામાં નહિં આવે. તો આ બાબતમાં આપણા હિન્દુસ્તાનના મુફતી સાહેબોનું શું મંતવ્ય છે ? ઉપરોકત જગ્યાઓમાં હાજીએ નમાઝ પૂરી પઢવી કે કસર પઢવી ? જ્યારે કે મિના જવા સુધી પંદર દિવસ પૂરા થતા ન હોય. વિગતવાર જવાબ આપશો. ઈ. અ. બીજીવાર હજ પઢવા માટે જઈશું તો તમારા ફતવા મુજબ અમલ કરીશું.
જવાબ :– જે હાજીની નિય્યત મક્કહ મુકર્રમહ પહોંચીને ત્યાંથી જિદ્દહ અથવા મદીનહ મુનવ્વરહ જતાં સુધી મક્કહ, મિના, અરફાત અને મુઝદલિફહમાં થઈને લગાતાર કુલ પંદર દિવસ રહેવાની હોય તે હાજી આ બધી જગ્યાઓમાં મુકીમ ગણાશે અને તેણે ફર્ઝ નમાઝો પૂરી પઢવાની રહેશે અને મિનાના દિવસોમાં જો જુમ્અહનો દિવસ આવશે તો જુમ્અહની નમાઝ અદા કરવામાં આવશે અને જે હાજી કુરબાની વાજિબ થવા પાત્ર નિસાબનો માલિક અને માલદાર હશે તો તેણે ઈદુલ અદહાની વાજિબ કુરબાની પણ કરવી પડશે, ચાહે તે કુરબાની મિનામાં કરવામાં આવે કે પોતાના વતન હિન્દુસ્તાનમાં કરવામાં આવે, બન્નેવ ઠેકાણે કરવી જાઈઝ છે. ટૂર ઓપરેટરે તમને આ બાબત ફતવાની જે માહિતી આપી છે તે સહીહ છે અને હિન્દુસ્તાનના મુફતી હઝરાત પણ આ મસ્અલહથી સહમત છે અને તેમની પણ આ મસ્અલહમાં આ જ તહકીક છે.
(બહર ભા. ર/૧૪ર, બદાઈઅ ભા. ૧,નિદાએ શાહી ‘માસિક ડિસે. ર૦૦૪)
Log in or Register to save this content for later.