Chapter : ઝકાત
(Page : 198-199)
સવાલ :– અમારી સોસાયટી (ધી.પરીએજ મુ. વે. સો.) ગામમાં લોકહિતના કામો કરે છે. જેમકે ગામના ગરીબ દર્દીઓને તબીબી સેવા આપવી, ગરીબ બાળકોને નોટબુકો આપવી, લાઈબ્રેરીની સગવડ આપવી, ગામની ગરીબ છોકરીઓને શાદી માટે મદદ કરવી, કબ્રસ્તાનની હિફાઝત જેવા ગામના વિકાસના દરેક કામો કરે છે. અમને ગામલોકો તરફથી મળતી ઝકાતની રકમમાંથી અમે ગામના ગરીબ દર્દીઓની દવાના નાણાં સીધા ડોકટરને અથવા મેડીકલ સ્ટોર વાળાને ચૂકવીએ છીએે. દર્દીના હાથમાં પૈસા આપતા નથી જે બાબતે આપના ઝરૂરી માર્ગદર્શનની ઝરૂર હોય અમારા નીચે પ્રમાણેના સવાલોના જવાબ આપશો.
અમારી સોસાયટી ઝકાતના નાણાં સ્વીકારી શકે કે નહિ? અને ઝકાતના પૈસા ગરીબ દર્દીઓને હાથમાં આપવા ઝરૂરી છે? અથવા બારોબાર ડોકટરને અથવા મેડીકલ સ્ટોર વાળાને ચૂકવીએ છીએ તે ચાલી શકે છે ? અથવા ઝકાતના પૈસા દર્દીઓના હાથમાં આપવા ઝરૂરી છે કે નહિ?
જવાબ :– દર્દીઓ ડોકટરની ફીસ પોતાના નામે ઉધાર રાખે અને સોસાયટીના વ્યવસ્થાપક જવાબદાર વ્યકિતઓ પાસે આવીને ડોકટરની પોતાને નામે બાકી પડતી ફીસ ચૂકવી આપવા (એટલે પોતાનું દેવું ચૂકવી આપવા) રજૂઆત કરે તો આ સૂરતમાં ઝકાતની રકમથી દર્દીના કહેવા મુજબ દર્દીનું દેવું ચૂકવી આપવું જાઈઝ છે અને આ પ્રમાણે ઝકાતની રકમ ઉપયોગ કરવાથી ઝકાત આપનારની ઝકાત અદા થઈ જશે. દર્દીના હાથમાં આપવી ઝરૂરી નથી. દર્દીના કહેવા મુજબ ડોકટરને આપવાથી દર્દીને આપ્યા ગણાશે. જો સોસયટીના વ્યસ્થાપક દર્દીને એમ કહે કે તુ ફલાણા ડોકટર પાસે ઈલાજ કરાવી લે, તપાસ ફી અમો ડોકટરને આપી દઈશું અને ડોકટર સોસાયટીના નામે તપાસ ફી બાકી લખે ગણે તો આ સૂરતમાં ઝકાતની રકમથી ફીસ આપવી દુરૂસ્ત નથી .
અલબત્ત, તપાસ ફીસ ઉપરાંત દવાની કિંમત સાથે ચાહે ડોકટરની બાકી હોય કે સ્ટોરની બાકી હોય અને ચાહે તે દર્દીના નામે ઉધાર હોય કે સોસાયટીના નામે ઉધાર હોય (સોસાયટીએ ગામ લોકો સમક્ષ જાહેર કરેલા હેતુઓ મુજબ) બંને સૂરતોમાં દર્દીના દવા લીધા પછી ઝકાતની રકમથી દવાની કિંમતનું બાકી બીલ ચૂકવવું જાઈઝ છે. (શામી – ર)
Log in or Register to save this content for later.