Chapter : નમાઝ
(Page : 169-170)
સવાલ :– ઘણાં લોકો હજના દિવસોમાં મિના, અરફાત, મુઝદલિફહમાં મુકીમ હોવા છતાં કસર નમાઝ પઢે છે અને તે લોકો કહે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી તેમજ ખુલફાએ રાશિદીન (રદિ.)થી મિના, અરફાતના મેદાનોમાં કસર નમાઝ પઢવી સાબિત છે, માટે કુર્આન–હદીસની રોશનીમાં જવાબ આપશો.
જવાબ :– જે લોકો બીજા દેશોમાંથી અથવા સઉદીમાંથી શરઈ મસાફત (૭૮ કિ. મી.)નો સફર કરીને હજ માટે મક્કહ શરીફ જાય અને હજના દિવસોમાં મક્કહ, મિના, અરફાત મુઝદલિફહના રોકાણ દરમ્યાન લગાતાર ૧પ દિવસ ત્યાં રહેવાની તેમની નિય્યત હોય તો તેઓ હજના દિવસોમાં મુકીમ ગણાશે અને તેમણે ઉપરોકત દરેક સ્થળે ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝ પૂરી પઢવી પડશે.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તથા ખુલફાએ રાશિદીન (રદિ.) મુદ્દતે ઈકામત (૧પ દિવસો) સુધી મક્કહ મુકર્રમહમાં રોકાવાની નિય્યત ન હોવાના કારણે અને તે સમયે મિના, મુઝદલિફહ આબાદીની દષ્ટિએ મક્કહની હુદૂદમાં શામેલ ન હોવાના કારણે તેમના મુસાફિર બાકી રહેવાના કારણે તેઓ કસર નમાઝ પઢતા હતા. તે સમયમાં મિના, મુઝદલિફહની હાલત એવી ન હતી જેવી હાલના સમયમાં છે. મજકૂર જગ્યાઓ તે સમયે મક્કહની આબાદીની હદથી બહાર હતી અને હાલ તે જગ્યાઓ મક્કહ મુકર્રમહની આબાદીની હદમાં શામેલ થઈ ચૂકી છે. હાલ ત્યાં આબાદીનો જે રીતે દૂર દૂર સુધી વિકાસ અને ફેલાવો થયો છે, આથી પહેલાં ત્યાં મક્કહ શરીફની આબાદી આટલી વિકસિત અને ફેલાયેલી ન હતી, માટે હાલના સંજોગોમાં ત્યાં મુકીમ હોવા છતાં કસર નમાઝ પઢવા માટે હઝરત રસૂલુલ્લાહ (સલ.) અને હઝરાતે ખુલફાઅ (રદિ.)ના અમલથી દલીલ રજૂ કરવી એ દુરૂસ્ત નથી, કારણ કે તેઓ મિના–મુઝદલિફહમાં મુસાફિર બની રહેતા હતા અને અમે મુકીમ બની રહીએ છીએ.
હઝરત ઉસ્માન (રદિ.) પોતાના ખિલાફતકાળની શરૂમાં મુસાફિર હોવાના કારણે મિનામાં કસર નમાઝ પઢતા હતા, પરંતુ પછી તેમણે મક્કહમાં શાદી કરી મુકીમ બની જવાથી મિનામાં પૂરી નમાઝ પઢતા હતા. (કબીરી પ૩૮)
Log in or Register to save this content for later.