Chapter : ઝકાત
(Page : 163-164)
સવાલ :– કેવો મુસ્લિમ શરઈ દ્રષ્ટિએ ગરીબ મુસલમાન ગણાશે ?
જવાબ :– જે મુસલમાન પાસે દેવા મુકત ફકત સાડા સાત તોલા (૮૭ ગ્રામ ૪૮૦ મી.ગ્રા.) સોનું ન હોય, જેની પાસે દેવા મુકત ફકત સાડા બાવન તોલા (૬૧ર ગ્રામ, ૩૬૦ મી.ગ્રા) ચાંદી પણ ન હોય, જેની પાસે ૬૧ર ગ્રામ ૩૬૦ મી.ગ્રા. ચાંદીની કિંમત બરાબર દેવા મુકત રોકડ રકમ પણ ન હોય, જેની પાસે મઝકૂર પ્રમાણમાં ચાંદીની કિંમત બરાબર દેવા મુકત વેપારનો માલ પણ ન હોય, જેની પાસે ખાવા, પીવા માટે, પહેરવા ઓઢવા, રહેવા માટે, ધંધા કારોબાર માટે, ઉપયોગી ચીઝ વસ્તુઓથી વધારે અને ફાઝલ પડેલી જંગમ અને સ્થાવર મિલ્કત અને માલસામાન દા.ત, વધારાનું મકાન, ગભાણ, નાના મોટા વાસણો, કપડા, ફર્નિચર, ૬૧ર ગ્રામ અને ૩૬૦ મી.ગ્રા. ચાંદીની કિંમત બરાબર દેવા મુકત હાલતમાં ન હોય, જેની પાસે સોનું, ચાંદી, રોકડ રકમ, વેપારનો માલ–સામાન અને પોતાની ઝરૂરતોથી વધારે જંગમ અથવા સ્થાવર માલ–મિલકત એમ આ પાંચ પ્રકારની વસ્તુઓ મળીને ૬૧ર ગ્રામ અને ૩૬૦ મી.ગ્રા. ચાંદીની કિંમત બરાબર દેવા મુકત હાલતમાં ન હોય, જેની પાસે આ પાંચ પ્રકારની વસ્તુઓમાંથી કોઈ પણ ચાર, કોઈ પણ ત્રણ, કોઈ પણ બે મળીને ૬૧ર ગ્રામ અને ૩૬૦ મી.ગ્રા. ચાંદીની કિંમત બરાબર દેવા મુકત હાલતમાં ન હોય, તો આવો મુસલમાન શરઈ દ્રષ્ટિએ ગરીબ મુસલમાન ગણાશે અને તે સય્યિદ ન હોય તો ઝકાત લેવાનો હકદાર ગણાશે. યાદ રહે કે ઔદ્યોગિક કંપનીઓના શેરો વેપારના માલ તરીકે ગણવામાં આવશે.
ઉપરોકત જેટલી સૂરતો લખવામાં આવી છે તેમાંથી કોઈ એક સૂરત મુજબ પણ તેની આર્થિક સ્થિતિ ન હોય તો તે શરઈ દ્રષ્ટિએ ગરીબ ગણાશે અને ઉપર લખેલી સૂરતો પૈકી કોઈ એક સૂરત મુજબ પણ તેની આર્થિક સ્થિતિ હશે તો તે શરઈ દ્રષ્ટિએ માલદાર ગણાશે અને તેને ઝકાત આપવી અને તેણે ઝકાત લેવી જાઈઝ અને હલાલ નહિ ગણાય (શામી : ર)
Log in or Register to save this content for later.