Chapter : ઝકાત
(Page : 160 to 162)
સવાલ :– અમારી પાસે મદ્રસા, અંજુમન, મુસાફિરખાના જેવી કોઈ શૈક્ષણિક કે રહેઠાણ માટેની ઈમારતના બાંધકામ માટે સફીરો ચંદો લેવા માટે આવે છે, અમો તેઓની સામે લિલ્લાહ રકમ આપવાથી મઅઝૂરી દર્શાવી અમારી ઝકાતની રકમ હોવાનું જણાવીએ છીએ, તો આવનાર સફીરો અમોને જવાબ આપે છે કે ઝકાતની રકમ હશે તો પણ ચાલશે અને અમો ઝકાતની રકમ એ પ્રમાણે હીલો કરી બાંધકામમાં લઈ શકીએ છીએ કે કોઈ ગરીબને ઝકાતની રકમ આપીને કહીશું કે ફલાણા સંસ્થાકીય બાંધકામની ઝરૂરત છે તેમાં તમો પોતાના તરફથી આ રકમ આપો અથવા એ પ્રમાણે હીલો કરીશું કે ફલાણા સંસ્થાકીય બાંધકામમાં લિલ્લાહ રકમની ઝરૂરત છે તમો કોઈ સાહિબે માલ પાસેથી કર્ઝ લઈને પોતાના તરફથી લિલ્લાહ રકમ બાંધકામ માટે આપો. અમો તમારું આ કર્ઝ ચૂકવાઈ જાય તે માટેની ફિકર અને સહાય કરીશું – તે ગરીબ વ્યકિત આ વાતયીત મુજબ જયારે કર્ઝ લઈ આ સંસ્થાને લિલ્લાહ રકમ આપશે, ત્યાર પછી અમો તેને પોતાનું કર્ઝ ચૂકવવા ઝકાતની રકમ માલિકી ધોરણે આપીશું અને તે પોતાનું કર્ઝ ચૂકવી આપશે. તો સવાલ આ છે કે આ પ્રમાણે ઝકાતની રકમનો ચંદો કરનાર સફીરોને ઝકાતની રકમ આપવી અમારા માટે જાઇઝ છે કે નહિ?
જવાબ :– કોઈ સંસ્થાના બાંધકામ ખર્ચ માટે ઝકાતની રકમનો હીલો કરવાની સવાલમાં લખેલી પહેલી સૂરત દુરૂસ્ત નથી, કારણ કે રકમ આપવા સાથે જ અથવા રકમ આપતા પહેલાં એમ કહેવું કે આ રકમ લઈને તમો સંસ્થાના બાંધકામ માટે આપો તો કદાચ આ સૂરતમાં તે પોતાને રકમનો માલિક જ ન સમજે અને હકદાર જયાં સુધી ઝકાતની રકમનો માલિક ન બને ત્યાં સુધી ઝકાત અદા થતી નથી, અથવા પોતાને રકમનો માલિક તો સમજે પરંતુ શરમ અને હોદ્દાકીય દબાણથી રકમ સંસ્થામાં આપે એ પણ દુરૂસ્ત નથી, ઝકાતની અદાયગી માટે ઝકાત આપનારે અથવા તેના વકીલે (નાયબે) ઝકાત ના હકદાર સાથે ઝકાતની રકમ કોઈ જગ્યાએ આપવાની શર્ત ઠરાવ્યા વગર તેને માલિકી ધોરણે ઝકાતની રકમ આપવી ઝરૂરી છે જેમાં ઝકાતનો હકદાર પણ એમ સમજતો હોય કે આ રકમ મને માલિકી ધોરણે મળી રહી છે અને એટલા જ માટે ફુકહાએ કિરામે લખ્યું છે કે ઝકાતનો હીલો કરવા પ્રથમ ઝકાતના હકદારને માલિકી ધોરણે રકમ આપવામાં આવે અને તેના કબ્ઝામાં પહોંચી ગયા પછી તેને તરગીબ આપવામાં આવે કે ફલાણી સંસ્થામાં બાંધકામ ખર્ચની ઝરૂરત છે જો તમો પોતાના તરફથી લિલ્લાહ રકમ આપવા ચાહો તો આપી શકો છો, તરગીબ પછી તે હકદાર બધી અથવા અમુક રકમ સ્વેચ્છાએ આપે તો તે બાંધકામ ખર્ચ માટે લઈ શકાય છે, જો આ પ્રમાણે સાફ સાફ હીલો થાય તો તે દુરૂસ્ત છે અને ઝકાત અદા થઈ જશે અથવા સવાલમાં લખેલી બીજી સૂરત મુજબ હીલો થાય તો એ હીલો પણ દુરૂસ્ત અને જાઈઝ છે અને આવા સહીહ અને જાઈઝ હીલાની સૂરતમાં ઝકાત આપનારની ઝકાત અદા થઈ જશે અનેે આ પ્રમાણે સહીહ હીલો કરનાર સંસ્થાના વહીવટદાર કે સફીરને ઝકાતની રકમ આપવી જાઈઝ છે અને ઝકાત આપનારની ઝકાત અદા થઈ જશે આ વિગત અલ્લામાં શામી (રહ.) એ શામી બીજા ભાગ ના પેજ નંઃ ૬૩ પર લખેલી છે અને હકીમુલ ઉમ્મત હઝરત મવલાના થાનવી (રહ.) એ ઈ.ફતાવા ભાગ : ર પેજ ૧૪ માં અને અલ ઈલ્મુ વલ્ ઉલમાઅ્ પેજ નંબર ૩૪૪ થી ૩પરમાં, હઝરત મવલાના મુફતી મહમૂદ હસન ગંગોહી (રહ.) એ ફતાવા મહમૂદિય્યહ ભાગ : ૧૭ પેજ નંબર : ૧૩૩ માં, હઝરત મવલાના મુફતી યૂસુફ લુધયાનવી (રહ.) એ આપકે મસાઈલ ભાગ : ૩ , પેજ નંબર ૪૦૪ માં અને હઝરત મવલાના મુફતી સય્યિદ અ.રહીમ લાજપૂરી (રહ.) એ ફતાવા રહીમિય્યહ ભાગ ર પેજ નં – ૮ અને ભાગ ૮ પેજ નંબર ર૪૦ થી ર૪૪ માં આ પ્રમાણે સહીહ હીલાને જાઈઝ લખ્યો છે અને હકીમુલ ઉમ્મત હઝરત મવલાના થાનવી (રહ.) એ સંસ્થાની ઝરૂરત વખતે હીલાની બીજી સૂરતને પસંદ ફરમાવી છે.
અલબત્ત, ઝકાતની રકમ આપનાર માલદારે હકદારોને ઝકાત પહોંચાડવાની નિય્યતથી જ સફીરને આપવી જોઈએ, સંસ્થાના કોઈ બાંધકામમાં વાપરવાની નિય્યતથી ન આપવી જોઈએ અને ઝકાત વસૂલ કરનાર સફીરોએ પણ માલદારના વકીલ તરીકે ઝકાતના હકદાર ગરીબોને માલિકી ધોરણે ઝકાત પહોંચાડવાની નિય્યતથી ઝકાત વસૂલ કરવી જોઈએ.
Log in or Register to save this content for later.