[૧૧૭] ઝકાતની રકમથી ઈનામ અને મહેમાની

Chapter : ઝકાત

(Page : 155-156)

સવાલ :– અમારે ત્યાં છેલ્લા એક વર્ષથી એજયુકેશન કમિટી શરૂ થઈ છે. આ કમિટી દ્રારા વર્ષના અંતે દીની અને દુન્યવી તા’લીમ લેતા વિદ્યાર્થીઓમાંથી પરીક્ષામાં સારા ગુણ મેળવનારને ઈનામ આપવામાં આવે છે અને જલ્સામાં આવનાર દરેક મહેમાનને ચા–પાણી આપવામાં આવે છે અને આ ટોટલ ખર્ચ લિલ્લાહ તથા ઝકાત રૂપે મળેલી રકમમાંથી કરવામાં આવે છે, તો સવાલ એ છે કે આવી રકમથી સાહિબે નિસાબ માલદાર માણસોના બચ્ચાઓને પણ ઈનામો આપવામાં આવે છે અને જલ્સામાં આવનાર મહેમાનોમાં પણ ઘણા સાહિબે નિસાબ માલદારો હોય છે, વળી ઈમામ સાહેબ જે સય્યિદ છે તેઓને આ રકમમાંથી રૂપિયા સો પગાર પેટે આપવામાં આવે છે, તો ઝકાત રૂપે મળેલી રકમમાંથી ઉપરોકત ખર્ચ કરવો જાઈઝ છે કે નહિ?

જવાબ :– લિલ્લાહ રકમ આપનાર ભાઈઓની જાણ અને રાજીખૂશીથી લિલ્લાહ રકમમાંથી સવાલમાં દર્શાવેલ બધા ખર્ચાઓ કરવા જાઈઝ છે, પરંતુ ઝકાતની રકમમાંથી માલદાર કે ગરીબ મહેમાનોને ચા–પાણી કરાવવું, માલદાર સાહિબે નિસાબ મુસ્લિમોના નાબાલિગ બાળકોને તે રકમમાંથી ઈનામ આપવું અને સય્યિદ કે ગેર સય્યિદ ઈમામને તેમાંથી પગાર આપવો આ બધી વાતો જાઈઝ નથી, કારણ કે ઝકાત રોકડ રકમ કે અન્ય કોઈ માલ – સામાન ઝકાતના હકદાર મુસ્લિમોને માલિકી ધોરણે આપવો ઝકાતની સહીહ અદાયગી માટે ઝરૂરી છે અને ગરીબને ચા–પાણી કરાવવાથી ઝકાત માલિકી ધોરણે આપેલી નહિ ગણાય અને માલદારની અવલાદ પણ માલદારના હુકમમાં ગણાય છે અને સય્યિદ ઝકાતના હકદાર નથી અને ઝકાતની રકમ ઝકાતના હકદાર મુસ્લિમ ગરીબને પણ પગાર પેટે આપવી જાઈઝ નથી. ઝકાતની રકમ હકદાર માણસને ઝકાતના બદલામાં તેનાથી કોઈ મેહનત – મજૂરી પ્રાપ્ત કર્યા વિના પોતાના  માલી ફર્ઝની અદાગયીની નિય્યતથી મફત આપવી ઝરૂરી છે.                (શામીઃ ર)

Log in or Register to save this content for later.