[૧૧૬] ઝકાતની રકમથી મકાનો બાંધી આપવા

Chapter : ઝકાત

(Page : 152 to 154)

સવાલ :– એક જમાઅતનું એક ટ્રસ્ટ છે તે ટ્રસ્ટ પાસે પોતાની માલિકીની એક જમીન છે, મઝકૂર ટ્રસ્ટના વ્યવસ્થાપક ટ્રસ્ટી મઝકૂર જમીનમાં ઝકાતની રકમથી મકાનો બનાવીને તેને ઝકાતના હકદાર લોકોને માલિકી ધોરણે આપવા ચાહે છે અને દરેક મકાન મેળવનાર ઝકાતની હકદાર વ્યકિતને તે મકાનનો સંપૂર્ણ માલિકી હક આપવા ચાહે છે, તાકે મકાન માલિકને મઝકૂર મકાનમાં જે કંઈ ફેરફાર કરવો હોય તે કરી શકે અને બીજાને વેચવું હોય તો વેચી પણ શકે, તો સવાલ એ છે કે જમાઅતના ટ્રસ્ટની માલિકીની જમીનમાં ટ્રસ્ટી અને જમાઅતની રજા અને રાજીખુશીથી આ પ્રમાણે ઝકાતની રકમથી મકાનો બનાવીને ઝકાતના હકદાર લોકોને તે મકાનો ઝકાત પેટે માલિકી ધોરણે આપવા જાઈઝ છે કે નહિ?

જવાબ :– પૂછેલી સૂરતમાં જે જમીન જમાઅતે ગરીબોને રહેઠાણની સહાય કરવાના હેતુથી ખરીદી હોય તે જમીનમાં જમાઅત અને ટ્રસ્ટીની રાજીખૂશીથી ઝકાતની રકમથી મકાનો બાંધવાની અને ઝકાતના હકદારોને તે મકાનો માલિકી હકથી આપવાની બે સૂરતો છે.

(૧) પ્રથમ ઝકાતની રકમથી મકાનોનું બાંધકામ કરી લેવામાં આવે અને મકાનો તૈયાર થઈ ગયા પછી જે મકાન જેટલી  રકમથી તૈયાર થયું હોય તેટલી રકમ ઝકાત પેટે અદા કરવાની નિય્યતથી તે મકાન ઝકાતના હકદાર ગરીબ માણસને માલિકી ધોરણે આપી કબઝો સોંપી દેવામાં આવે. અલબત્ત, મકાનની પડતર કિંમતનો હિસાબ કરવામાં મકાનના પ્લોટ (જમીન) ની કિંમત  શામિલ ન કરવામાં આવે. કારણ કે મકાનનો પ્લોટ ઝકાતની રકમથી ખરીદ કરવામાં નથી આવ્યો, સવાલની વિગત મુજબ મકાનની જમીન તો જમાઅતના ટ્રસ્ટ તરફથી સહાયરૂપે મળેલી ગણાશે.

(ર) જમાઅતનું ટ્રસ્ટ જે તે ઝકાતના હકદાર ગરીબ માણસ માટે ટ્રસ્ટની મઝકૂર જમીનમાં મકાન બનાવી દેવા ઈચ્છતુ હોય, પ્રથમ તેવા ગરીબને માલદારીના નિસાબથી કંઈક ઓછા પ્રમાણમાં એટલે કે સાડાબાવન તોલા ચાંદીની કિમંતથી ઓછા પ્રમાણમાં ઝકાતની રોકડ રકમ માલિકી ધોરણે આપવામાં આવે, રકમ તેના કબ્ઝામાં પહોંચી ગયા પછી તેની રાજીખૂશીથી તેનું મકાન બાંધવા માટે તેની પાસેથી તે રકમ પરત લેવામાં આવે અને મઝકૂર ટ્રસ્ટની જમીનમાંથી મકાનનો પ્લોટ તેને માલિકી ધોરણે આપીને તેમાં તેની માલિકીની મઝકૂર રકમથી બાંધકામની કાર્યવાહી શરૂ કરવામાં આવે. જયારે તે રકમ બાંધકામમાં ખર્ચ થઈ જાય તો હવે તે ગરીબને પહેલી વારની જેમ ઝકાતની રકમમાંથી માલદારીના નિસાબથી ઓછા પ્રમાણમાં માલિકી ધોરણે બીજીવાર ઝકાત આપવામાં આવે અને તેની રાજીખુશીથી તેના મકાનના બાંધકામ માટે પરત લેવામાં આવે અને તેના મકાનનું બાંધકામ પૂરૂં થતાં સુધી જયારે જયારે રકમ પૂરી થઈ જાય તો આ જ પ્રમાણે તેને થોડી થોડી રકમ આપવામાં આવે અને તેની રાજીખૂશીથી પરત લઈ તેના મકાનનું બાંધકામ પૂરું કરવામાં  આવે. ગરીબો માટે ઝકાતની રકમથી મકાનો બાંધી આપવાની આ બીજી સૂરત પણ વિના કરાહતે જાઈઝ છે અને આ સૂરતમાં અનેક હપ્તાઓ કરીને નિસાબથી ઓછા પ્રમાણમાં થોડી થોડી ઝકાતની રકમ આપવાનું કારણ આ છે કે એક ગરીબને એક સાથે નિસાબના પ્રમાણમાં ઝકાત આપવાને ફુકહાએ કિરામ (રહ.) મકરૂહ બતાવે છે. કારણ કે ઝકાતની રકમ મળતાંની સાથે જ તે માલદાર બની જશે. અલબત્ત, જો તે ગરીબ પહેલેથી જ દેવાદાર હોય અથવા તેના મકાન બાંધકામની વ્યવસ્થા કરનારે તેની મંજૂરી લઈ તેના મકાન માટે ઉધાર સામાન ખરીદવાથી તે ગરીબ દેવાદાર થઈ ગયો હોય તો આ સૂરતમાં નિસાબથી વધુ પ્રમાણમાં તેને ઝકાતની રકમ એક સાથે એટલી વધુ પણ આપી શકાય છે કે જો તે રકમમાંથી તેનું દેવું ચૂકવવામાં આવે તો તેની પાસે તેનું દેવું ચૂકવ્યા પછી ઝકાતની રકમ નિસાબના પ્રમાણમાં બાકી ન રહે.                               (શામી ૬૮, ભાગઃર)

Log in or Register to save this content for later.