[૮પ] ફિકસ ખાતામાં જમા થયેલ સરકારી સહાય ઉપર ઝકાત

Chapter : ઝકાત

(Page : 123-124-125)

સવાલ :– અમારા કુટૂંબના એક માણસનો આકસ્મિક ઈન્તિકાલ થઈ ગયો છે, તેમને સ્કૂલમાં ભણતા ત્રણ નાના છોકરાઓ છે. મારા ભાભીને પોતાની માલિકીનું મકાન નથી. અત્યારે તેઓ ગીરો રાખેલા મકાનમાં રહે છે અને એક વર્ષ પહેલાં તેમને સરકાર તરફથી, વીમા કંપની તરફથી બે લાખ રૂપિયા મળ્યા છે, તેનું વ્યાજ મહિને ૧૮૦૦ રૂપિયા મળે છે, મઝકૂર બહેનને સાસરી પક્ષ તરફથી કોઈ મદદ મળતી નથી, પિયરવાળાની આર્થિક સ્થિતિ પણ સારી નથી, તો શરીઅતની રૂએ તેમને ઝકાત અને સદકએ ફિત્ર આપી શકાય કે નહિ? ઘરનો નિભાવ ખર્ચ સહાયક સંસ્થાની સહાયથી ચાલે છે. તેમની સોના ચાંદીની જણસો તેમના શોહરે વેચી દીધી હતી એટલે તેમની પાસે સોના ચાંદી કે રોકડ રકમ હાથ ઉપર નથી.

જવાબ :– જો બે લાખ રૂપિયા સરકાર તરફથી અને સરકારી વીમા કંપની તરફથી મંજુર થયા હોય, પરંતુ તે રોકડા ન મળ્યા હોય, બલ્કે સરકાર કે કંપની તરફથી બેંકના ફિકસ ખાતામાં જમા થઈ ગયા હોય અથવા બે લાખના બોન્ડઝ મળ્યા હોય, તો તે બે લાખ ફિકસમાં જમા થવાથી અથવા બોન્ડઝ રૂપે મળવાથી મઝકૂર ઓરત અને તેના છોકરાઓ માલદાર નહિ ગણાય, પરંતુ ગીરો મકાન પેટે આપેલી રકમ માલદારીના નિસાબમાં ગણાશે અને તે રકમ માં અને દીકરાઓની સંયુકત હોય અને દરેકના ભાગે આવતી રકમ નિસાબના પ્રમાણમાં હોય તો તેના કારણે માં–દીકરાઓ માટે ઝકાત અને સદકએ ફિત્રની રકમ લેવી જાઈઝ નહિ ગણાય. અલબત્ત, જો ગીરો પેટે આપેલી રકમ યતીમ છોકરાઓની ન હોય, બલ્કે વિધવાની અંગત અને આગવી  માલિકીની હોય તો યતીમ છોકરાઓના ઉપયોગ માટે ગરીબોને ઝકાત આપવી જાઈઝ છે.

               જો સરકાર અને વીમા કંપની તરફથી વિધવા અને યતીમોને બે લાખ રૂપિયા રોકડા મળ્યા હોય અને તેમણે સ્વેચ્છાએ ફિકસ ખાતામાં મઝકૂર રકમ જમા કરાવી હોય તો મઝકૂર બે લાખ રૂપિયા પણ ભાગે પડતા દરેકના માલદારીના નિસાબમાં ગણાશે અને તેમના માટે ઝકાત લેવી જાઈઝ નહિ ગણાય અને અત્રે આ વાત પણ જાણવી જોઈએ કે ઘર ગીરો રૂપે લઈ તેમાં રહેવું જાઈઝ નથી, બલ્કે ગીરોનો મામલો ખતમ કરી ભાડેથી મકાન લઈ રહેવું જોઈએ. (શામી  ભાગ :ર /૪)

Log in or Register to save this content for later.