Chapter : ઝકાત
(Page : 149-150)
સવાલ :– એક વ્યકિત મૃત્યુ પામી છે. તેની પાછળ વારસદારોમાં તેની વાલિદહ તેની વિધવા અને તેના નાબાલિગ યતીમ પાંચ બચ્ચાઓ છે, જે વ્યકિત વફાત પામી તેને સરકારી નોકરી હતી. જેથી તેના કપાત ફંડના ૩ર,૦૦૦/– (બત્રીસ હજાર) રૂપિયા આવેલ છે. ઉપરાંત ગામ વાળાઓએ ફાળો કરી રૂપિયા પ,૦૦૦/– (પાંચ હજાર) કરી આપેલ છે, આમ કુલ રૂપિયા ૩૭,૦૦૦/– જમા છે. હવે સદરહુ રકમને એક વર્ષ પૂરૂં થયેલ નથી. ફકત એક જ માસ થયેલ છે. તો સદરહુ સંયુકત કુટુંબના કોઈ સભ્યને ઝકાત આપી શકાય કે નહિ ? કારણ કે મર્હુમની આવેલ રકમમાંથી બધાને થોડો ઘણો હિસ્સો મળ્વાનો જ છે અને દરેક વ્યકિતને સાડા બાવન તોલા ચાંદીની કિંમતથી વધારે રકમ હિસ્સામાં આવશે જ, પરંતુ હજુ હિસ્સાઓ પડેલ નથી, બધા સાથે જ રહે છે. તો હવે તેઓને ઝકાત આપી શકાય કે નહિ? અને વર્ષ પૂરૂં થતા સુધી આ રકમ આવી હાલતમાં જમા રહી તો નાબાલિગ બચ્ચાઓ સિવાય મઝકૂર સંયુકત કુટુંબના બધા બાલિગ સભ્યોએ પોતાના ભાગે આવતી રકમની ઝકાત કાઢવી પડશે કે કેમ ?
જવાબ :– સવાલમાં દર્શાવેલા સંયુકત કુટુંબની માલિકીની સંયુકત રકમમાંથી જયારે દરેક સભ્યના ભાગે એટલી રકમ આવતી હોય કે જે સાડા બાવન તોલા ચાંદીની કિંમતના બરાબર અથવા તેથી વધુ પ્રમાણમાં હોય અને તેઓમાંથી કોઈના શિરે એટલુ દેવું પણ ન હોય કે તે બાદ કરતા તે સાહિબે નિસાબ ન રહે તો તે સંયુકત કુટંબમાંથી દરેક શરઈ દ્રષ્ટિએ માલદાર ગણાશે, માટે તેમાંથી કોઈ સભ્યને પણ ઝકાત આપવી જાઈઝ નથી, ચાહે તેઓ બાલિગ હોય કે નાબાલિગ હોય અને જે વ્યકિતઓ બાલિગ અને માલદાર છે તેઓની મૂડી ઉપર જયારે એક ઈસ્લામી વર્ષ વીતી જાય તો તેઓએ પોતાના ભાગની મૂડીની અને પોતાની અંગત માલિકીમાં હોય તેવા બીજા ઝકાત પાત્ર માલની ઝકાત આપવી પણ ઝરૂરી છે. (શામી ભાગ : ર)
Log in or Register to save this content for later.