Chapter : ઝકાત
(Page : 111-112)
સવાલ :– હું ભાડૂતી મકાનમાં રહું છું, મેં મકાન માલિકને અઢાર હજાર રૂપિયા ડિપોઝિટ પેટે આપેલ છે, જયારે હું મકાન ખાલી કરું ત્યારે આ ડિપોઝિટ મને પાછી મળી શકે છે, તો આ રકમ ઉપર ઝકાત લાગુ પડે કે નહિ? મારા પર બે હજાર રૂપિયા કર્ઝ છે અને બેંકમાં દસ હજાર જેટલી બચત છે, દર મહિને નિયમિત સારી આવક છે, રૂપિયા આઠ હજારનું વાહન છે, આરામથી ઘરખર્ચ નીકળી જાય છે, ચાર તોલા સોનું છે, તો આ સૂરતમાં મારે કઈ ચીઝોની ઝકાત કેવી રીતે આપવી પડે ? અને કુરબાની તથા સદકએ ફિત્ર વાજિબ થશે કે નહિ? અમો પતિ–પત્ની બન્નેવ છીએ, તો અમો બન્નેવ ઉપર કુરબાની વાજિબ થશે?
જવાબ :– જે રકમ તમોએ મકાન ભાડાની ડિપોઝિટ પેટે આપેલી છે તે રકમ શરઈ દ્રષ્ટિએ મકાન માલિકને ભાડાની સુરક્ષા માટે ભાડા તરીકે આપેલી ગણાશે અને તે રકમ જયાં સુધી પરત વસૂલ ન થાય ત્યાં સુધી તમારે તેની ઝકાત નહિ આપવી પડે અને વસૂલ થયા પછી પણ તે રકમની પાછલા વર્ષોની ઝકાત આપવી વાજિબ નથી, પરંતુ જો મકાન માલિક ડીપોઝીટની રકમ કર્ઝ રૂપે વાપરતો હોય તો તમારે તે રકમની ઝકાત આપવી પડશે. (શામી : ર/૭)
તમારી પાસે હાથ પર અને બેંકમાં પોતાની અંગત માલિકીની જેટલી રકમ જમા હોય તેમાંથી બે હજાર રૂપિયા કર્ઝ બાદ કરીને બાકીની રકમની દર સો રૂપિયામાંથી અઢી રૂપિયાના હિસાબથી ઝકાત આપવી પડશે અને સોનાના આજના બજાર ભાવથી ચાર તોલા સોનાની કિંમત આંકી અઢી ટકા લેખે તેની ઝકાત આપવી પડશે. પોતાના ઉપયોગ માટે ખરીદેલા વાહન ઉપર કોઈ ઝકાત લાગું નહિ પડે અને સવાલમાં તમારી મિલકતની લખેલી વિગત મુજબ તમારા ઉપર કુરબાની કરવી અને સદકએ ફિત્ર આપવો પણ વાજિબ છે.
જો તમારી ઓરતની પોતાની અંગત માલિકીમાં શરઈ દ્રષ્ટિએ માલદાર થવા પાત્ર સોનુ, ચાંદી, રોકડ રકમ વગેરે વસ્તુઓ નિસાબના પ્રમાણમાં હોય તો તેઓની ઉપર પણ ઝકાત, સદકએ ફિત્ર અને કુરબાની વાજિબ ગણાશે અને જો તે શરઈ દ્રષ્ટિએ માલદાર ન હોય તો તેઓને મઝકૂર હુકમ લાગુ નહિ પડે.
Log in or Register to save this content for later.