[પ૩૩] ઝબહથી પહેલાં કલોરોફોર્મ પીવડાવવું અથવા સુંઘાડવું

Chapter : ઇસ્લામી ઝબાઇહ

(Page : 578-579)

સવાલ :– અન્ય ધર્મોની માફક ઈસ્લામ પણ જીવદયાને મૂલ્ય તરીકે સ્વીકારે છે, જેમકે સવારીની સહુલત માટે ઉંટની ખૂંધ કાપી નાખવાથી ઈસ્લામે અરબોને અટકાવેલા, એવી જ રીતે એક જીવને અન્ય જીવોને દેખતા ઝબહ કરવું મકરૂહ છે, ઝબહ કરવામાં ધારદાર તીક્ષ્ણ સાધન વાપરવાની તરફેણ કરવા જેવી બાબતોમાં જાનવરને ઓછામાં ઓછી તકલીફ પડે તેવો જીવદયાનો અભિગમ અભિપ્રેત છે.

                હવે ઈસ્લામના જ આ અભિગમને આગળ લાવતાં વૈજ્ઞાનિક પધ્ધતિઓના ઉપયોગ વડે પ્રાણીને ઝબહ દરમ્યાન બિલકુલ દર્દ ન થાય તેવા ઉપાયો કરવામાં આવે તે ચાલે ખરૂં ? જેમ કે વિજ્ઞાન શાખાના વિર્ધાર્થીઓ દેડકાના ડિસેકશન માટે માત્ર બે – ચાર ટીપાં કલોરોફોર્મ વડે અનેક દેડકાંને બેહોશ કરી દે છે તેમ ઝબહ માટેના પ્રાણીને બેહોશ કરવું ખાસ મુશ્કેલ નથી. વળી, આવી પધ્ધતી પ્રચલિત બને તો કસાઈઓ પણ પ્રાણીનું દર્દ નિવારી શકે, ઈસ્લામના જીવદયાના સિધ્ધાંત મુજબ આવા દર્દનિવારક ઉપાયો અપનાવી શકાય. આવી પધ્ધતીથી ઝબહ કરેલા જાનવરનું માંસ ખાવું જાઈઝ છે? હું પોતે જ આવા જીવદયાના કારણસર મરઘી ખાય શકતો નથી, જો છૂટ મળે તો ઘરે થોડું પ્રવાહી કલોરોફોર્મ રાખી હું મરઘીની બેહોશી બાદ ઝબહ કરાવી શકું.

જવાબ :– જો પ્રવાહી કલોરોફોર્મ મરઘી કે મોટા જાનવરને ઝબહની આસાની માટે પીવડાવવામાં આવે તો માણસની જેમ જાનવરને પણ નશીલી વસ્તુ પીવડાવવી જાઈઝ નથી. અને જો કલોરોફોર્મ જાનવરને પીવડાવવામાં ન આવે, બલ્કે ઝબહની આસાની અને જાનવરને તકલીફથી બચવા માટે તેને સૂંઘાડવામાં આવે તો ઝબહ માટે જાનવરને બેભાન કરવું એ ઝબહના સુન્‍નત તરીકા વિરુધ્ધ અને ઝબહથી  શરીઅતના હેતુ – હિકમત વિરૂધ્ધ છે. કારણ કે ઝબહનો હેતુ જાનવરના શરીરમાંથી શકય તેટલી હદે વહેતુ લોહી બહાર કાઢવાનો છે અને જાનવરમાં જેટલી શકિત અને હરકત વધુ હોય એટલા વધુ પ્રમાણમાં લોહી બહાર નીકળે છે અને જાનવરને બેભાન કરવાથી તેના શરીરની હરકત ઓછી થઈ જશે અને કમઝોર થઈ જશે એટલે બેભાન હાલતમાં સભાન હાલત કરતાં લોહી ઓછું નીકળશે અને ઘણું વહેતું લોહી તેના શરીરમાં રહી જશે. વળી, દવા સૂંઘાડી બેભાન કરવાથી નાના જાનવરના મરી જવાની સંભાવના પણ રહે છે. એટલે કલોરોફોર્મ જેવી નશીલી દવા સૂંઘાડવી પણ દુરસ્ત નથી. અલબત્ત, તે છતાં જો કોઈ મુસલમાને કલોરોફોર્મ સૂંઘાડીને જાનવરને બેભાન કરી જીવંત હાલતમાં શરીઅતે નકકી કરેલ ઝબહની શર્તો મુજબ ઝબહ કર્યું તો ઝરૂરી શર્તોની પાબંદી સાથે ઝબહ કરવાથી તે જાનવરનો ગોશ્ત હલાલ ગણાશે. અને તેનું ખાવું  જાઈઝ અને હલાલ ગણાશે. (ફ.મહમૂદિય્યહ ર૪૭ ભા.૧૭/ઈમ. ફતાવા ૬૦૭ ભા.૩)

Log in or Register to save this content for later.