Chapter : નમાઝ
(Page : 161-162-163)
સવાલ :– એક શાફઈ અથવા માલિકી આલિમ પોતાના દેશમાંથી સફર કરી મહેમાન તરીકે બીજા દેશમાં જાય અને તે બીજા દેશના અનેક શહેરોની મુસાફરી કરે અને પોતાના પૂરા સફરમાં હનફી ફિકહ મુજબ મુસાફિર જ રહે તો શું એવા આલિમ પોતાની આ સફરમાં જે પોતાના ઈમામના ફિકહ મુજબ પોતાને મુકીમ માનતા હોય, ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝમાં હનફી મુકીમ મુકતદીઓની ઈમામત કરાવી શકે છે ? અને શું શાફઈ અને માલિકી ફિકહ મુજબ મુકીમ બનવા માટેની મુદ્દત હનફી ફિકહ કરતાં જુદી છે ? તેનો પણ ખુલાસો કરશો.
હવે જો એવા ઈમામ પાછળ હનફી મુકતદીઓએ ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝ પઢી લીધી તો દુરૂસ્ત થશે કે નહિ ? કે મુકતદીઓએ ફરી નમાઝ પઢવી પડશે ? અને બીજા ઈમામના અનુયાયી આલિમને ઈમામ બનાવવા કેવું છે ?
જવાબ :– પ્રથમ અમુક બુનિયાદી મસાઈલ સમજી લેવા જોઈએ.
(૧)શાફઈ અને માલિકી ફિકહ મુજબ કોઈ મુસાફિર માણસ જયારે કોઈ જગ્યાએ ચાર દિવસ રોકાવાની નિય્યત કરી રોકાય છે તો મુકીમ બની જાય છે અને હનફી ફિકહ મુજબ જયાં સુધી મુસાફિર સફરમાં કોઈ જગ્યાએ પંદર દિવસ રોકાવાની નિય્યત કરી રોકાય નહિ ત્યાં સુધી તે મુકીમ બનતો નથી.
(‘બિદાયતુલ્ મુજતહિદ ૧/૧૬૯,
‘અલ્ ફિકહ અલલ્ મઝાહિબિલ્ અર્બઅહ ર/૪૭૮)
(ર)જયારે ઈમામ અને મુકતદી અલગ અલગ ઈમામની તકલીદ કરતા હોય તો ઈમામતના દુરૂસ્ત થવા માટે ઈમામની નમાઝ મુકતદીઓના ઈમામના ફિકહ પ્રમાણે દુરૂસ્ત હોવી ઝરૂરી છે અને ઈમામની નમાઝને મુકતદીની માન્યતા મુજબ મોઅતબર માનવામાં આવશે.
(‘શામી ૧/૩૭૮,૪૪૯, ‘અલ્ ફિકહ અલલ્ મઝાહિબ ર/૪૧૪)
(૩)મુકીમ માણસ મુસાફિર ઈમામ પાછળ નમાઝ પઢી શકે છે પણ ઈમામે બે રકઆત પર પોતાની નમાઝ પૂરી થઈ જવાથી સલામ ફેરવવી વાજિબ છે અને મુકતદી પોતાની નમાઝ લાહિકની જેમ વગર કિરાઅતે પૂરી કરી લેશે. પરંતુ જો મુસાફિર ઈમામ ચાર રકઆત નમાઝ પૂરી પઢાવશે અને મુકીમ મુકતદીઓ તે ઈમામની પાછળ પોતાની નમાઝ પૂરી કરશે તો મુકતદીઓની નમાઝ ફાસિદ થઈ જશે, કારણ કે પાછલી બે રકઆતો ઈમામની નફલ નમાઝ છે અને મુકતદીઓની ફર્ઝ છે. (‘શામી ૧/પ૩૧)
ઉપરોકત ફિકહી મસાઈલના આધારે મજકૂર આલિમ ઈમામ મુસાફિર જ માનવામાં આવશે. ચાહે તે પોતાના ઈમામના ફિકહ મુજબ પોતાને મુકીમ ગણતા હોય. અને મુસાફિર હોવા છતાં પણ એમની ઈમામત દુરૂસ્ત હતી પરંતુ જયારે તેઓએ કસર કર્યા વગર પૂરી નમાઝ પઢાવી તો હવે હનફી મુકીમ મુકતદીઓની નમાઝ ફાસિદ થઈ ગઈ છે. માટે તેઓએ આવી ચાર રકઆતવાળી પઢેલી નમાઝ ફરી પઢવી ઝરૂરી છે. વખત હોય તો અદા પઢે નહિ તો કઝા પઢે.
અને એ વાત પણ યાદ રાખવી ઝરૂરી છે કે જયારે હનફી મુકતદીઓને હનફી ઈમામ મળી શકતો હોય તો તેની ઈમામતમાં નમાઝ પઢવી જ અફઝલ છે, ચાહે બીજા ઈમામના ફિકહને માનનાર ઈમામ મતભેદવાળી વાતોમાં મુકતદીઓના ઈમામના ફિકહની રિઆયત પણ કરતા હોય. (‘શામી ૧/૩૭૮)
Log in or Register to save this content for later.