[૩૭૩] માતા–પિતાના અધિકારો સંતાનો પર

Chapter : નિકાહ

(Page : 432-433)

સવાલઃ–(૧) એક ઓરત જેના શોહર અલ્લાહની રહમતમાં પહોંચી ગયા હોય ત્યારે તેની એક તલાક શુદા જવાન લળકીને (માજુર) સાથે લઈ ઘરની અવલાદ (વહુ, તેમજ પૌત્ર, પૌત્રી વગેરે)થી જુદા પોતાના પિયરમાં જુદુ મકાન ભાડે લઈ એકલી રહી શકે છે? જયારે તે ઓરતને ગામના લોકો સવાલ કરે છે કેમ અહીં એકલા રહેવા આવ્યા? તો તે કહે છે.”અમોને ઘરમાંથી કાઢી મુકયા” આવી વાહીયાત જુઠી વાત કરે છે.

જવાબ :–(૧) ઈસ્લામમાં મા – બાપના હુકૂકનું ઘણું મહત્વ છે, અલ્લાહ તઆલાએ કુર્આન શરીફમાં માં –બાપ સાથે સદવર્તન કરવાના હુકમને પોતાની તવહીદ અને ઈબાદતના હુકમ સાથે બયાન ફરમાવ્યું છે ફરમાવે છે : ”આપના પરવરદિગારે હુકમ કર્યો કે તેની જ ઈબાદત કરો અને માં –બાપ સાથે ભલાઈ કરો.”(સૂ. બની ઈસ્રાઈલ) અને ફરમાવ્યું કે ”મારી આપેલ નેઅમતો પર શુક્ર અદા કરવાના સાથે માં – બાપનો શુક્ર અદા કરો”(સૂ.લુકમાન) તે ઉપરાંત  આ વિશે ઘણી હદીસો પણ મન્કૂલ છે, જેમાંથી બે–ત્રણ હદીસો અહિંયા લખીએ છીએ, એક આદમીએ સવાલ કર્યો કે એ અલ્લાહના રસૂલ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અવલાદ પર માં – બાપનો શું હક છે? તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે એ બન્ને વ તારી જન્નનત અને તારી દોઝખ છે. (ઈબ્ને માજહ) બીજી એક હદીસમાં છે કે ”બધા જ ગુનાહો અલ્લાહ તઆલા એમાંથી જેને ચાહશે તેને માફ કરી દેશે સિવાય મા–બાપની નાફરમાની કે એની સજા મરતાં પહેલાં દુનિયામાં જ આપી દેવામાં આવે છે. (મિશ્કાત) બીજી એક હદીસમાં છે કે પરવરદિગારની રઝામંદી મા–બાપની રઝામંદીમાં છે અને પરવરદિગારની નારાજગી મા–બાપની નારાજગીમાં છે.          (મિશ્કાત)

          મિશ્કાતની શરહ મિરકાતમાં માં – બાપ સાથે સદવર્તનની તફસીરમાં લખે છે કે આ આયતથી બધીજ  હરામ વાતોથી બચવું અને સારી વાતો અને સારા કામો કરવા એટલે કે માં – બાપ સાથે નમ્રતાથી વર્તવું એમની ખિદમત કરવી અને એમના પર ખર્ચ કરવું અને એમના માટે દુઆ કરવી બધી વાતો સાબિત થાય છે. (મિરકાત) માટે અવલાદને જોઈએ કે માં–બાપની ખિદમત અને ફરમાબરદારી કરે અને સાથે જ માં–બાપે પણ જોઈએ કે જયારે અવલાદ એમની ખિદમત કરવા અને સાથે રાખવા માટે તૈયાર છે તો ઈન્કાર અને જીદ ન કરે અને જુઠ બોલીને એમને બદનામ ન કરે.

Log in or Register to save this content for later.