[૩૩૭] દત્તક સાથે હકીકી અવલાદ જેવો વ્યવહાર

Chapter : નિકાહ

(Page : 387 to 390)

સવાલ :–મારા એક ખૂબ જ અંગત નજીકના અને ખૂબ જ પ્રિય વિશ્વાસુ મિત્રના ઘરે પારણું નથી બંધાયુ. એટલે કે તેમને અવલાદ નથી. ઘણી દવાઓ અને રૂહાની ઉપચાર પછી પણ કોઈ પરિણામ નથી, તેમની દિલી તમન્ના અને ઉત્કંઠા પછી પણ કોઈ સચોટ ઈલાજ મળ્યો નથી. તેમના અમારી સાથે ખૂબ જ નિકટના, દિલના સંબંધો છે, તેમની બાળક પ્રત્યેની અપાર પ્રેમ – માયા જોઈ કયારેક અમારું દિલ પણ તડપી ઉઠે છે. મારા ઘરે અલ્હમ્દુ લિલ્લાહ બે બાળકો છે, મારા બાળકો પ્રત્યે તેઓ (મિત્ર અને તેમના પત્નિ) ખૂબ જ હેત રાખે છે. અમારા સંબંધો ખૂબ જૂના છે. તેમની આવી પરિસ્થિતિ જોઈ મેં અને મારી પત્નિએ એવું નકકી કર્યું કે અમારું હવે પછીનું આવનાર બાળક અમે ખુશીથી, દિલથી તેમને – મારા મિત્રને દત્તક આપી દઈશું, જે માટે અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને તેઓ પણ તૈયાર છે. અમે એવું નકકી કર્યું છે કે આ વાતની ખબર (એટલે કે મારું બાળક મેં તેમને આપ્યું છે) તે મારા રિશ્તેદારોને પણ નહિ જણાવવી અને તેમના અન્ય રિશ્તેદારોને પણ નહિ, જેથી ભવિષ્યમાં કોઈ સંકટ ન થાય.

          હવે હું શરઈ માર્ગદર્શન ચાહું છું કે શું આ રીતે બાળક આપી કે લઈ શકાય ખરું? બીજું, જો હું બાળક આપું તો તેની પાછળ કોનું નામ લખવું? દત્તક પિતાનું જ નામ લખવામાં આવે શરઈ રીતે કેવું ગણાશે? ભવિષ્યમાં બાળક જયારે યુવાન થાય પછી તેને આ વાતની જાણ ન જ થાય તેની અમે પૂરેપૂરી તકેદારી રાખીએ અને બાળકને લગીરે આ વાત ખબર જ ન પડે તો કોઈ નુકશાન કે ગુનાહિત કૃત્ય કહેવાય?

          અમારી ફકત અને ફકત એટલી દિલી લાગણી છે કે તેમની બાળકની તમન્ના પૂરી થાય અને તેમના દિલ પણ સુકૂન લઈ શકે. કાનૂની જે કાર્યવાહી છે તે તો અમે પરિપૂર્ણ કરીશું જ, ઈન્શાઅલ્લાહ. આપ હઝરતથી યોગ્ય શરઈ માર્ગદર્શન અને આપના સલાહ સૂચનની રાહ જોઈશ.

જવાબ :– સવાલમાં લખેલી વિગત મુજબ કોઈએ પોતાનું બાળક બીજાને દત્તક આપવું કે બીજાનું બાળક દત્તક લેવું જાઈઝ નથી.

          દત્તક બાળક સાથે દત્તક બાપનું નામ લગાડવું અને દત્તક બાપે તેને પોતાના પુત્ર તરીકે સંબોધવું અને ત્રીજી વ્યકિતએ તેને દત્તક નામ સાથે સંબોધવું નાજાઈઝ અને હરામ છે અને આ રીતે દત્તક બાપના પુત્ર તરીકે તેને બોલાવવાની પ્રથા ઈસ્લામ પૂર્વે જહાલતના યુગમાં પ્રચલિત હતી, તો કુર્આન શરીફમાં એ રીતે બોલાવવાની સાફ શબ્દોમાં મનાઈ કરવામાં આવી છે અને તેના હકીકી અને નસબી બાપના નામ સાથે બોલાવવાનો હુકમ કરવામાં આવ્યો છે. (અહ.કુર્આન થાનવી–૩/ર૯૧)

          કુર્આન મજીદમાં છે કે ”ઉદ્‌ઉહુમ લિ આબાઈહિમ હુવ અક્‌સતુ ઈન્દલ્લાહ” તમે દત્તક પુત્રોને (દત્તક લેનારના પુત્રો ના કહો) બલકે તેમના હકીકી બાપો તરફ નિસબત કરીને બોલાવો, આ રીતે બોલાવવું અલ્લાહ તઆલાના નઝદીક સંપૂર્ણ ન્યાયની વાત છે. (અહ્‌ઝાબ આ. નં–પ)

          વાસ્તવિક અને હકીકી નસબ એ અલ્લાહ તઆલાની એક નેઅમત છે, તેને છુપાવવાનો ઉપાય કરવો અને હકીકી નસબ છુપાવીને બનાવટી નસબ જાહેર કરવો અને દત્તક લેનારને પોતાનો બાપ બતાવવો એ પણ નાજાઈઝ અને કબીરહ ગુનાહ છે, હદીષ શરીફમાં એવી કાર્યવાહી વિશે સખત વઈદ આવેલી છે. (અહ.કુર્આન થાનવી – ૩/ર૯ર)

          હઝરત અબૂ હુરૈરહ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નુ ફરમાન નકલ કરે છે કે તમારા હકીકી બાપો તરફ પોતાની નિસ્બત કરવાનો ત્યાગ ન કરો, જે માણસે પોતાના વાસ્તવિક અને હકીકી બાપ તરફ પોતાની નિસ્બત કરવાનો ત્યાગ કર્યો તો એ કુફ્ર છે.         (મુસ્લિમ શરીફ – ૧, હદીષ નં ૧૧૩)

          હઝરત સઅદ બિન વક્‌કાસ (રદિ.) એ ફરમાવ્યું કે મારા બન્નેે કાનોએ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને ફરમાવતાં સાંભળ્યા અને મારા દિલે તે યાદ કરી લીધું કે જેણે ઈસ્લામની હાલતમાં પોતાના હકીકી બાપને છોડીને બીજાને પોતાના બાપ બતાવ્યો, હાલાંકે તે જાણે છે કે તે બીજો તેનો હકીકી બાપ નથી, તો તેના માટે જન્નદત હરામ છે.          (મુસ્લિમ શરીફ – ૧, હદીષ નં ૧૧૩)

          હકીકી અને નસબી બાળક જેવો વર્તાવ અને વ્યવહાર સાથે બાળક દત્તક આપવું અને લેવું એટલે કે તેના નામ સાથે બાપ તરીકે દત્તક લેનારનું નામ લખાય, પરદો કરવા લાયક થાય તો તેના ગેર મહરમ હોવા છતાં પરદાની દષ્ટિએ તેને મહરમ સમજવામાં આવે અને દત્તક લેનારની પત્ની (દત્તક માતા) તે પુત્ર હોય તો તેનાથી પરદો ન કરે અને તે પુત્રી હોય તો દત્તક લેનાર બાપથી તે પરદો ન કરે અને દત્તક લેનાર પતિ – પત્નીના અન્ય રિશ્તેદારો પણ પરદાની દ્રષ્ટિએ તેનાથી તેમના હકીકી બાળકની જેમ વ્યવહાર કરે અને તે છોકરો મોટો થઈને શાદી કરે અને તેની ઓરત દત્તક લેનારને પોતાના સસરા સમજી તેમનાથી પરદો ન કરે અને દત્તક છોકરી હોય અને તેની શાદી થઈ ગયા પછી દત્તક લેનારની પત્ની તેના પતિને પોતાનો દામાદ સમજીને તેનાથી પરદો ન કરે  અને દત્તક લેનાર પતિ – પત્ની તેના પતિની વફાત પછી તેમના પુત્ર તરીકે તેમની મિલકતનો વારસદાર ગણવામાં આવે અને કદાચ દત્તક લેનાર પતિ–પત્નીથી પહેલાં દત્તક બાળક મૃત્યુ પામે તો દત્તક માતા – પિતાને તેની મિલકતના વારસદાર ગણવામાં આવે, આ બધી વાતો નાજાઈઝ, હરામ અને કુર્આન હદીષના સ્પષ્ટ હુકમના વિરુધ્ધ છે.

          અલબત્ત, બાળક પ્રત્યેના હેતપ્રેમને સંતોષવા, બાળ ઉછેરની ભાવના પૂરી કરવાના અને બાળક મોટું થાય તો તેના તરફથી ઉત્સાહપૂર્વક પોતાને ખિદમત અને સેવા ચાકરી મળવાના હેતુથી બીજાનું બાળક એ રીતે દત્તક લેવું કે મજકૂર હુકમોમાં તેની સાથે હકીકી અને પોતીકા પુત્ર–પુત્રી તરીકેનો વ્યવહાર ન રાખવામાં આવે, એ જાઈઝ છે.

Log in or Register to save this content for later.