[૩રર] વલીમહ કયારે થઈ શકે?

Chapter : નિકાહ

(Page : 372 to 374)

સવાલઃ– વલીમહ કયારે થઈ શકે ?

          અહીંયા સાઉથ આફ્રિકામાં વલીમહ વિશે એક આમ રિવાજ થઈ ગયો છે કે બપોરના નિકાહ હોય સવારના ૧૧ થી ઝોહર સુધી અથવા અસરથી લઈ મગરીબ નમાઝ પછી, ત્યારે દુલ્હા દુલ્હન અગાઉથી નકકી થઈ ગયેલા પ્લાન મુજબ કોઈ એક મકાન અથવા હોટલમાં ૩૦ મીનીટથી લઈ ૬૦ મીનીટ જેટલો ટાઈમ એકાંતમાં પસાર કરે છે, ત્યાર બાદ દુલ્હા દુલ્હન રાતનું ખાવાનું શરૂ કરવામાં આવે છે, ઘણી વખત એટલું મોડું આવે છે કે લોકો ભુખના કારણે ઘણો જ શોર કરે છે. ખાવાનું તો તૈયાર હોય છે જયારે દુલ્હા દુલ્હન આવે છે ત્યાર બાદ જ ખાવાનું શરૂ કરવામાં આવે છે.

          આ ખાવાનું જે ખવડાવવામાં આવે છે બપોરનું અથવા સાંજનું તેમાં અડધો ભાગ છોકરાવાળા તરફથી રહે છે અને કહેવામાં આવે છે કે વલીમહનું ખવડાવ્યું (વલીમહ કર્યો). છોકરીવાળા જેને દઅવત આપે છે તેને શાદીમાં શામેલ થવાની ખાવાની દઅવત આપે છે જયારે છોકરાવાળા એજ શાદીની દાવતને વલીમહની દાવત (વલીમહનું) નામ આપે છે.

          તો આ પ્રમાણે વલીમહ કરવાથી વલીમહ અદા થશે? વલીમહ સહીહ ગણાશે? આ પ્રમાણે કરવું સહીહ છે? અગર સહીહ હોય તો હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના ટાઈમથી લઈ અથવા સહાબાએ આ પ્રમાણે કર્યું હોય તો જણાવવા મહેરબાની કરશો. અગર સહીહ ન હોય તો ઈસ્લામી કાનૂનમાં મસ્અ લામાં દખલગીરી કરવા માટે બિદઅત તો નહીં ગણાય?

જવાબ :– વલીમહની દઅવતમાં અફઝલ અને બેહતર તો એ જ છે કે જયારે ઓરતથી તેણીના પતિને ત્યાં રૂખ્સતી થઈ જાય અને બન્નેઅવની એકાંતમાં મુલાકાત થઈ જાય ત્યાર પછી કરવામાં આવે, હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) અઝવાજે મુતહહરાતની રૂખસતી પછી વલીમાની દઅવત ફરમાવતા હતા, જો કે ફુકહાએ કિરામ (રહ.)ના અમુક મંતવ્યો મુજબ નિકાહ વખતે અને નિકાહ પછી રૂખ્સતીથી પહેલાં વલીમાની દઅવતને જાઈઝ ઠરાવેલ છે.

          સામાન્ય રીતે વલીમહની દઅવત નિકાહ કરનાર દુલ્હો અથવા તેના વાલી કરે છે, પરંતુ જો બીજી કોઈ વ્યકિત પોતાની રાજી ખુશીથી દઅવતમાં મદદરૂપ થવા અને ખૂશીમાં શરીક થવા ચાહે તો થઈ શકે છે, દાખલા તરીકે છોકરીવાળા કોઈ પૂર્વ શરત વગર પોતાની રાજી ખૂશીથી છોકરાના વલીમાની દઅવતમાં ભાગ લે તો એ જાઈઝ છે, બલ્કે ઉલમાએ કિરામ વલીમાની દઅવતમાં મદદરૂપ થવાને મુસ્તહબ લખે છે.

          ગઝવએ ખયબરથી વાપસીમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ હઝરત સફિય્યહ બિન્તે હુયય (રદિ.)થી નિકાહ પઢયા, હઝરત ઉમ્મે સુલૈમ (રદિ.)એ હઝરત સફિય્યહ (રદિ.)ની હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના તંબુમાં રાત્રે રૂખ્સતી કરી. હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ દુલ્હા તરીકે સવાર ફરમાવી અને હાજર સહાબા (રદિ.)થી ફરમાવ્યું કે જેની પાસે કોઈ (ખાવાની) વસ્તુ હોય તે લઈ આવે અને દસ્તરખ્વાન પાથરવામાં આવ્યું કોઈ સહાબી પનીર લઈને આવ્યા, કોઈ ખજૂર લઈને આવવા લાગ્યા અને કોઈ ઘી લઈને આવવા લાગ્યા અને પછી બધાએ  મળી હૈસ નામી હલવો પકાવ્યો (અને પછી બધાએ મળીને તે હલવો ખાધો) અને આ પ્રમાણે તે ખાણું હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ના નિકાહની વલીમાની દઅવત ગણવામાં આવી.

          આ હદીસની શરહમાં લખવામાં આવ્યું છે કે દુલ્હાના સાથીઓ અને પાડોશીઓ માટે વલીમાની દઅવતમાં પોતાના ખાણાથી શરીક થવું અને મદદરૂપ થવું પોતાની રાજી ખૂશીથી મુસ્તહબ છે અને વલીમહની દઅવત રૂખ્સતી પછી હોવી જોઈએ. (આલમગીરી પ / ૩૪૩ – મુસ્લિમ શરીફ કમ નવવી ૧ / ૪પ૯, ફતહુલમુલહિમ ભા. ૩ / ૪૯૧)

Log in or Register to save this content for later.