[પ૧૧] હરમૈન શરીફૈનમાં વિત્ર ઈમામ સાથે પઢવી

Chapter : નમાઝ

(Page : 523-524)

સવાલ :– અહિંયા યુ.કે.થી ઘણાં  જ ભાઈઓ દર વર્ષે રમઝાનુલ મુબારકમાં ઉમરહ – ઝિયારત માટે મકકહ મુકર્રમહ, મદીનહ મુનવ્વરહ જાય છે અને તૌફીક – તાકાત પ્રમાણે ઘણા ત્યાં પુરો રમઝાનુલ મુબારકનો મહિનો ગુઝારે છે.

                હવે મકકહ મુકર્રમહ અને મદીનહ મુનવ્વરહમાં રમઝાનમાં તરાવીહ બાદ ત્રણ વિત્ર જમાઅતથી અદા થાય છે અને બન્ને જગ્યાએ ઈમામો માલિકી યા હમ્બલી મસલક પ્રમાણે ત્રણ વિત્ર અદા કરે છે, પ્રથમ બે રકઅતો પછી કઅ્‌દહ કરી સલામ ફેરવે છે અને ફરી એક રકઅત અદા કરે છે. આ વિત્ર પઢવામાં આપણા હનફી ભાઈઓમાં મતભેદ થાય છે. ઘણા તરાવીહ પછી અલગ વિત્ર પઢે છે, અમૂક ઈમામ સાહેબની સાથે જમાઅતથી પઢે છે, અલગ પઢનાર કહે છે કે આપણા હનફીઓની વિત્ર જમાઅત સાથે અદા થતી નથી, જયારે અમૂક કહે છે કે  આપણે દરેક ફર્ઝ નમાઝ – તરાવીહ ઈમામ સાહેબ સાથે પઢીએ છીએ, તો વિત્ર માટે મોટા જન સમુદાયથી અલગ થવું દુરૂસ્ત નથી, વિત્ર જમાઅતથી જ પઢી લેવી જોઈએ, અદા થઈ જાય છે, ચારેય મઝહબ બરહક છે, અને સાથે લાખોના મજમઅના ઈખ્‌તિલાફથી પણ બચી જવાય છે,  આપ સહીહ રેહબરી ફરમાવશો કે આપણા હનફી મસલક વાળા ભાઈઓએ વિત્ર જમાઅત સાથે પઢવી યા અલગ થઈ પઢવી ?

જવાબ :– જયારે હરમ શરીફના ઈમામ સાહેબ અબૂ હનીફહ (રહ.)ના મસ્લક સિવાય બીજા ઈમામના મસલક મુજબ વિત્ર બે સલામથી પઢાવતા હોય તો હનફી નમાઝીઓએ વિત્રની નમાઝ આવા ઈમામ પાછળ ન પઢવી જોઈએ, બલ્કે એકલા પઢી લેવી જોઈએ.

                બીજા મસલકના ઈમામ પાછળ પઢવાની શર્ત આ છે કે તે ઈખતિલાફી મસાઈલમાં બીજા ઈમામોની પણ રિઆયત કરે, ઈશા અને તરાવીહમાં ઈમામ હનફી મસલકના ખિલાફ કોઈ એવી વાત કરતા નથી. જેનાથી હનફી મસલક મુજબ નમાઝ સહીહ ન ગણાય, માટે તેમાં ઈકતિદા કરવી જાઈઝ છે, પરંતુ વિત્રની નમાઝ એવી રીતે નથી પઢાવતા, એટલે તેમાં ઈમામે હરમની ઈકિતદા ન કરવી જોઈએ.  (શામી –ર / ૩૦ર,૪૪૪ ઝક.)

                ચારે મઝહબ બરહક હોવાનો મતલબ એ છે કે ચાર મઝહબોમાંથી કોઈ મઝહબને યકીની તોર પર ગલત અને ભૂલભર્યો ન કહી શકાય.                                  (શામી ભાગ –૧ / ૧૩૯ ઝક.)

                દરેક ફિકહી મઝહબને બરહક માનવાનો મતલબ આ નથી કે ગમે તે મસ્અલહમાં ગમે તે ઈમામના મઝહબને અનુસરી શકાય છે, બલ્કે દરેક મસ્અલહમાં આપણે તેજ ઈમામના મસ્અલહ ઉપર અમલ કરવો જોઈએ જે ઈમામની આપણે તકલીદ કરતા હોય, જો ગમે તે બાબતમાં ગમે તે ઈમામના ફિકહની છૂટ સમજવામાં આવે તો શરીઅત રમકડું બની જાય અને સામાન્ય મુસલમાન પોતાની સગવડ અને સરળતા મુજબ મસાઈલ ઢૂંઢીંને અમલ કરવા લાગે, અને પરિણામે શરીઅતની નહિં પણ પોતાની મરજી અને ખ્વાહિશની જ પેરવી થવા લાગે.     (દર્સે તિર્મિઝી ભાગ –૧)

Log in or Register to save this content for later.