[૩૧૦] ઓરતના ઘરેણાંની માલિકી અને વિરાસત

Chapter : નિકાહ

(Page : 362-363)

સવાલઃ– હું સારસાનો વતની છું, મારી માંનો ઈન્તિકાલ થયે લગભગ રર વર્ષ થયા છે, ત્યાર બાદ મારા વાલિદ સાહેબે પ–૬ વર્ષ બાદ બીજી શાદી કરેલ છે અને તેઓ અમારી સાથે ૧પ વર્ષ ર મહીના અને ૪ દિવસ રહેલ છે, તેઓ જયારે અમારા ઘેર આવેલ ત્યારે લગભગ ૬ – ૭ તોલા સોનું લાવેલા અને અમારી સાથે રાજીખુશીથી રહેતા હતા પણ તેમને ગરમીની બીમારી નિકળી જેના પાછળ અંદાજે ર૦ હજાર રૂા. ખર્ચવા છતાં ૩ –૬–૯૩ના રોજ ઈન્તિકાલ થઈ ગયો, હવે તેઓ જે ૭ તોલા સોનું લાવેલા, તેમાંથી બોરમાળા અને પાટલા અંદાજે ૩–૪ તોલા જે અમારા મામાને ટ્રક લાવવાની હતી તેઓ પરત લઈ ગયા અને બાકીનું સોનું (દોરો–બંગડી વિગેરે) સારસા હતું, હવે અમારી માસીનો ઈન્તિકાલ થઈ ગયેલ છે, ત્યારે તેમના પિયરવાળા એટલે મારા મામા  સારસામાં જે સોનું છે તે પરત માંગે છે, તો હમારે શરીઅતના હિસાબે તે સોનું પાછુ આપવું પડે કે અમો તેમની પાસેથી સોનું તેઓ ટ્રક લાવવા લઈ ગયા હતા તે પાછુ માંગી શકીએ? અત્યારે મારા વાલિદ સાહેબ હયાત છે, અમારી સાથે રહે છે, આ સંપૂર્ણ વિગત અલ્લાહને સાક્ષી રાખીને લખી છે. જવાબ આપવા વિનંતી.

તા.ક. – અમારા વાલિદ સા. ના કહેવા મુજબ ૬ વર્ષ પહેલા તમામ (૭ તોલા) સોનું અમારા નાના ભાઈને આપવાની વસિય્યત કરી હતી, અમારી માસીને કોઈ અવલાદ નથી, તેમનું સોનું અમારી પાસે હતું તે વેચીને ૧૧,૩૦૦ (અગિયાર હઝાર ત્રણસો) લઈને ખર્ચ કરેલ છે.

જવાબઃ– તમારી માસી મરહૂમા પાસે જે સોનું હતું તે તેઓની માલિકીનું ગણાશે, પીયરવાળા તેને પરત માંગે તે દુરસ્ત નથી. રહી વાત એ કે મજકૂર તમારી પાસે જે સોનું હતું તેઓની વફાત બાદ હવે તેનો હકદાર કોણ? તો એની વિગત એવી છે કે મર્હૂમાએ પોતાની માલિકીની જે કંઈ વસ્તુઓ છોડી છે, તેમાંથી સર્વ પ્રથમ તેઓના શિરે દવાદારૂ વિગેરેનું દેવું હોય તો તે ચૂકવવામાં આવશે અને જો મજકૂર સોનું તેઓના દવા દારૂમાં જ ખર્ચાય ગયું હોય તો હવે તેની જવાબદારી તમારા શિરે રહેતી નથી અને જો દવાદારૂનો ખર્ચ બાદ કરતાં સોનું વિ. તેઓની જે કંઈ મિલ્કત હોય તેમાંથી કંઈ વધે છે તો તેઓનું દેવું બાદ કર્યા પછી તેનો વસિય્યતથી ત્રીજો ભાગ તમારા નાના ભાઈ એટલે મરહૂમાના પતિના પૂત્રને આપવામાં આવશે. અને બચેલા બાકીના બે ભાગ મરહૂમાના વારસદારોમાં વહેંચાશે અને વારસદારોમાં તમારા વાલિદ સા. ત્રીજો ભાગ વસિય્યતમાં આપ્યા પછી બાકી રહેલ મિલ્કતના અડધા ભાગના માલિક બનશે અને બાકીની અડધી મિલ્કત પીયરવાળાઓમાંથી જો માસીના બાપ હયાત હોય તો તેઓને અને બાપ હયાત ન હોય તો મરહૂમાના ભાઈ – બહેનોને મળશે, જે સોનું મામા લઈ ગયા છે, જો  તે કર્ઝ તરીકે લઈ ગયા છે, તો તેને મરહૂમાની મિલ્કતમાં શામિલ કરી ઉપરની વિગત મુજબ અમલ કરવામાં આવશે. નાનાભાઈ માટે જે પૂરા સોનાની વાસિય્યત કરી છે તે દુરસ્ત નથી, મરનાર પોતાની પૂરી મિલ્કતના ત્રીજા ભાગની જ વસિય્યત કરી શકે છે.               (શામી–પ)

Log in or Register to save this content for later.