[૩૦૧] અવલાદ માટે અન્ય વ્યકિતનું વીર્ય લેવું

Chapter : નિકાહ

(Page : 347-348)

સવાલ :– એક વ્યકિતને શાદી કર્યાને ૬ વર્ષ થયા છે, ઘણી દવાઓ કરી છતાં અવલાદ નથી. ડોકટરી રિપોર્ટ એમ કહે છે કે મર્દના વિર્યમાં અવલાદ પેદા કરવાના જંતુ નથી, ઓરતમાં કોઈ ખામી નથી. તાવીઝાત પણ ઘણા કર્યા છતાં કોઈ ફાયદો નથી. તેમના માં–બાપ બન્‍ને ઘરડા છે અને છોકરો પણ એક નો એક છે. આવા સંજોગોમાં ડોકટરનું કહેવું એમ છે કે તમે પરાયા મર્દના વિર્યનું ઈન્જેકશન તમારી ઓરતને મુકાવો તો અવલાદ થશે, કારણ કે ઓરતમાં કોઈ ખામી નથી, તો પરાયા મર્દના વિર્યનું ઈન્જેકશન લઈને અવલાદ પૈદા કરી શકાય કે નહિ? શરઈ રૂએ જાઈઝ છે કે નહિ? માં–બાપનો એકનો એક છોકરો હોવાથી ના છુટકે પરાયા મર્દના વિર્યનું ઈન્જેકશન લેવાનું છે. તેમને પાંચ છોકરીઓ એક જ છોકરો છે.

જવાબ :– પુરૂષ પતિના વિર્યમાં જન્મશકિતના શુકાણુંઓ ન હોવાથી અવલાદ પ્રાપ્ત કરવા માટે બીજા કોઈ પુરૂષનું વીર્ય તેની પત્નિના ગર્ભાશયમાં ઈન્જેકશન વડે દાખલ કરવું નાજાઈઝ અને હરામ છે.

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે જે માણસનું અલ્લાહ તઆલા અને આખિરતના દિવસ પર ઈમાન હોય તેના માટે હલાલ નથી કે પોતાનું પાણી (વીર્ય) બીજાની ખેતી (ઓરત)ને પીવડાવે.

                   (અબૂદાઉદ, તિર્મિઝી)

                ખામી યુકત પુરૂષમાં બાળજન્મના જંતુઓ માટે અંગ્રેજી – યુનાની ઉપાયો કરવા જોઈએ, જો અલ્લાહ તઆલાને મંજૂર હશે તો સફળતા મળશે, અલ્લાહ તઆલાથી દુઆ પણ કરવી જોઈએ, નિરાશ અને હતાશ થવાની જરૂર નથી, બાકી અવલાદ માટે ગેર શરઈ અને ગેર ફિતરી તરીકો અપનાવવો જાઈઝ અને હલાલ નથી.       (જદીદ મેડીકલ)

Log in or Register to save this content for later.