Chapter : નમાઝ
(Page : 507-508)
સવાલ : હિ.સ. ૧૪૦પ ના માહે રબીઉલ અવ્વલના ‘દારુલ ઉલૂમ માસિકમાં પેજ નં. ૩૧ ઉપર સુનનુલ હુદાના હવાલા સાથે વિત્રની નમાઝ પછીના સજદહ વિશે જે કથન અપાયેલ છે તે વાંચવામાં આવેલ. અમોં અહિંયા (શ્રી વર્ધન મહારાષ્ટ્ર)ના ઈલાકામાં શાફઈ મસલક અપનાવીએ છીએ. શાફઈ મસલકમાં વિત્ર પછી અમો કોઈ સજદહ કે નફલ નમાઝ પઢતા નથી પરંતુ હફનીઓને હંમેશા જોઈએ છીએ કે વિત્ર બાદ બે રકાત નફલ બેસીને અદા કરતા હોય છે; તેમજ ઘણાં જમાઅતે તબ્લીગમાં નીકળેલા ભાઈઓ ઈશાની નમાઝ બાદ વિત્ર પઢયા પછી સલાતુલ હાજત, સલાતુત્તસબીહ વિગેરે નમાઝ અદા કરતા હોય છે તો તે ઉપર અમલ કરવો અથવા નહિ ?
જવાબ : મજકૂર કથન વિત્ર બાદ સજદહ કરવા બાબત નકલ કરવામાં આવ્યું છે. આ કથનમાં નફલ નમાઝનું કોઈ વર્ણન નથી અને માત્ર સજદહની જેમ વિત્ર પછી નફલ નમાઝ મકરૂહ કે નાજાઈઝ નથી. વિત્ર પછી બે રકાત નફલ નમાઝ પઢવી મુસ્તહબ છે, અને એ બે રકાત નફલ નમાઝ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)થી સાબિત છે. તિરમિઝી શરીફ, સુનને ઈબ્ને માજહ અને મુસનદે અહમદમાં રિવાયત છે કે,
હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વિત્ર બાદ બે રકાત નમાઝ બેસીને પઢતા હતા.
એવી જ રીતે સલાતુલ હાજત, સલાતુત્તસબીહ, સલાતુત્તવબહ પઢવી પણ હદીસ શરીફથી સાબિત છે અને આ નફલ નમાઝો વિત્ર બાદ પણ પઢી શકાય છે. જો કે આ નમાઝો વિત્ર બાદ જ પઢવી એમ તેનો સમય નકકી નથી બીજા કોઈ ગેર મકરૂહ વખતમાં પણ પઢી શકાય છે.(‘કબીરી ૪ર૪, ‘તહતાવી અલલ મરાકી)
Log in or Register to save this content for later.