[ર૯૮] પતિનું વીર્ય ઈન્જેકશનથી દાખલ કરવું

Chapter : નિકાહ

(Page : 341-342-343)

સવાલ :– અહીં એક યુગલની ૪ વર્ષ પહેલા શાદી થયેલ, પણ હજુ સુધી એમને બાળક પેદા થયેલ નથી, એ બાબતે એમણે બે વર્ષ પહેલાં ડોકટરની સલાહ લીધેલ, તે પછી અનેક પ્રકારની દવા ઈસ્તેઅમાલ કરી અને છેલ્લે ડોકટરની સલાહ એ છે કે પુરુષ પોતાના હાથથી વિર્ય કાઢે અને તે વિર્ય તેની પત્નીના અંગમાં ડોકટર ઈન્જેકશન વડે દાખલ કરે તો શરઈ રીતે હલાલ ખરું ? અહીં જાણ ખાતર બન્‍નેની ચકાસણી કરતાં પત્નીમાં કોઈક આંતરિક ખરાબી (ખામી) છે એમ એક ડોકટરનું કહેવું છે, ડોકટરથી મતલબ અહીં લેડી ડોકટર છે.

જવાબઃ– બાળક હાસિલ કરવા માટે સવાલમાં લખેલી વિગત મુજબ ઉપાય કરવો જાઈઝ નથી, કારણ કે મજકૂર ઉપાયમાં અનેક નાજાઈઝ અને હરામ કામો કરવા પડે છે. અને બાળક પ્રાપ્તિ એ કોઈ એવી મજબૂરી નથી કે તેના કારણે આવા નાજાઈઝ અને હરામ કામો કરવાની શરીઅતમાં ઈજાઝત હોય શકે અને ખાસ મર્દ માટે તો શરીઅતી હદમાં રહીને પણ બીજા જાઈઝ ઉપાયો થઈ શકે છે.

                શરીઅત માન્ય મજબૂરી વગર મર્દે પોતાના હાથથી વિર્ય કાઢવું ના જાઈઝ છે, હદીસ શરીફમાં હાથથી વિર્ય કાઢનાર માટે વઈદ આવેલી છે. આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે પોતાના હાથથી શહવત પૂરી કરનાર લઅનત પાત્ર છે.               (શામી–ર/૧૦૦)

                હદીસ શરીફથી એ હકીકત પણ સાબિત છે કે સામાન્ય રીતે બાળક પેદા થવા માટે માત્ર મર્દનું વિર્ય જ પૂરતુ નથી, બલ્કે ઓરતની રહમદાનીમાં પુરુષ અને ઓરત બન્‍નેનું વિર્ય ભેગુ થવાથી ઓરત હામિલા બને છે અને બાળક પેદા થાય છે.

                એક યહૂદીએ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને (નર–નારી) બાળક પેદા થવા વિશે પૂછયું તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે મર્દનું વિર્ય સફેદ હોય છે અને ઓરતનું વિર્ય પીળું હોય છે, જયારે બન્‍ને વિર્યો ભેગા થાય અને મર્દનું વિર્ય ઓરતના વિર્ય ઉપર ગાલિબ આવી જાય તો અલ્લાહ તઆલાના હુકમથી નર બાળક પેદા થાય છે. અને જયારે ઓરતનું વિર્ય મર્દના વિર્ય ઉપર ગાલિબ આવી જાય તો અલ્લાહ તઆલાના હુકમથી નારી બાળક પેદા થાય છે, યહૂદીએ અરજ કરી કે આપે સત્ય હકીકત બતાવી અને આપ ખરેખર નબી છો.

 (મુસ્લિમ શરીફ : ૧૪૬ – ભા.૧)

                અને તબીબો તથા ડોકટરો પણ ઓરતને ગર્ભાધાન થવા માટે મર્દ અને ઓરત બન્‍નેના વીર્યનું રહમદાનીમાં એકત્રિત થવું જરૂરી માને છે.

                હવે પૂછેલી સૂરતમાં જયારે મર્દનું વિર્ય હસ્ત ક્રિયાથી પ્રાપ્ત કરી ઈન્જેકશન વડે તેની ઓરતની રહમદાનીમાં પહોંચાડવામાં આવશે તો ગર્ભાધાન માટે તે જ સમયે ઓરતનું વિર્ય પણ રહમદાનીમાં પહોંચાડવા માટેનો ઉપાય કરવામાં આવશે. અને જાહેર છે કે તે માટે ઓરતની શહવત (કામેચ્છા)ને ઉત્તેજિત કરવા માટે ઓરતના પતિ સિવાય બીજો કોઈ લેડી ડોકટર કે પુરૂષ ડોકટર કોઈ યુકિત જરૂર અપનાવશે અને એ પ્રમાણે પોતાની ઓરત સાથે કોઈ ઓરત કે પરાયા પુરુષ ડોકટરનું શહવત (ઉત્તેજના) માટેની ક્રિયા એ સ્પષ્ટ રીતે હરામ અને શરમજનક કૃત્ય છે.

                વધુમાં એ વાતનો પણ સંદેહ છે કે પુરુષના વિર્ય સાથે કોઈ બીજા પુરુષનું કે ઓરતનું વીર્ય મિશ્રણ કરવામાં આવે, કારણ કે આજકાલ કૃત્રિમ અને પરાયા વિર્યને પ્રાપ્ત કરી ગર્ભાધાન કરવા – કરાવવાનો ઉપાય પણ બિન મઝહબી લોકોમાં પ્રચલિત છે.

                ખુલાસો એ કે હમલ અને બાળક માટેનો શરીઅત અને ફિતરત (પ્રકૃતિ) મુજબનો તરીકો છોડીને ઈન્જેકશનનો તરીકો અપનાવવો હરામ અને નાજાઈઝ છે.

Log in or Register to save this content for later.