Chapter : નિકાહ
(Page : 332-333-334)
સવાલ :– ગુજરાત સમાચાર પેપરના નવમા પાના પર ”મુસ્લિમ દંપતિઓને બે બાળકોના જન્મ વચ્ચે ત્રણ વર્ષનો ગાળો રાખવા અનુરોધ” આ હેડિંગ હેઠળ ડો. નૂરબાનું બાકીએ એક સ્ટેટમેન્ટ આપ્યું છે, તે સ્ટેટમેન્ટને શબ્દો સાથે નકલ કરું છું. શું આ યોગ્ય છે ?
”મુસ્લિમ સમાજની સામાજિક અને આર્થિક ઉન્નતી માટે મુસ્લિમ દંપતીઓએ બે બાળકોના જન્મ વચ્ચે ત્રણ વર્ષનો ગાળો રાખવો જોઈએ. જો આમ કરવામાં આવે તો મુસ્લિમ સ્ત્રીઓનું આરોગ્ય જળવાઈ રહેશે અને મુસ્લિમોની આર્થિક સમસ્યાઓ પણ સાથે સાથે હળવી બનશે. જો મુસ્લિમો આ વલણ નહીં અપનાવે તો આવતા દસ વર્ષ પછી આપણા સંતાનો મુસ્લિમ સમાજની સમસ્યાઓ વિશે ચર્ચા કરતા રહેશે, પરંતુ તેનો કોઈ ઉકેલ આવશે નહીં.
જવાબ :– ઓરતના બે બાળકો વચ્ચે ત્રણ વર્ષનું અંતર રાખવા માટે ગર્ભ નિરોધક હંગામી ઉપાયો જેમકે નિરોધ, આંકડી, ગોળીઓ વિગેરેનો ઉપયોગ કરવો ન દરેક વ્યકિત માટે ગમે તે હાલતમાં જાઈઝ છે અને ન દરેક વ્યકિત માટે ગમે તે હાલતમાં નાજાઇઝ છે, બલ્કે ગર્ભ અવરોધવાના વિવિધ હેતુઓ હોય છે, તેમાંથી અમુક હેતુઓ માટે ખાસ ખાસ ઓરતો માટે ગર્ભ નિરોધક હંગામી ઉપાયો જાઈઝ છે અને બીજા અમુક હેતુઓ અને કારણોના આધારે હંગામી ઉપાયો પણ જાઈઝ નથી. માટે ગર્ભ નિરોધક હંગામી ઉપાયો વડે બે બાળકોના જન્મ વચ્ચે ત્રણ વર્ષના ગાળા રાખાવાને સામૂહિક અને સામાન્ય નિયમ બનાવવો અને તેનો પ્રચાર પ્રસાર કરવો એ નાજાઈઝ છે, કારણ કે ઈસ્લામમાં નિકાહનો મુખ્ય હેતુ બાળક પ્રાપ્તિને બતાવવામાં આવ્યો છે અને બાળકોના વધુ જન્મ માટે સમાજને પ્રોત્સાહિત કરવામાં આવ્યો છે.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે તમો વધુ પ્રેમાળુ અને વધુ બાળકો જણનારી ઓરત સાથે નિકાહ કરો, કારણ કે હું તમારી મોટી સંખ્યાથી બીજી ઉમ્મતોના મુકાબલામાં ફઝીલત પ્રાપ્ત કરીશ. (મિશ્કાત શરીફ)
બીજી હદીષ શરીફમાં છે કે તમો નિકાહ કરો અને નસલ વધારો હું તમારા કારણે ઉમ્મતોના મુકાબલામાં મારી ઉમ્મતની મોટી સંખ્યા બતાવી શકીશ. (ફ.કદીર–ર)
વધુ બાળકોના કારણે આર્થિક નબળાઈનો સામનો કરવો પડશે અને આર્થિક પ્રગતિ રૂંધાશે એવી માન્યતાથી કુટુંબને મર્યાદિત રાખવાના હેતુથી અથવા સગવડીયા જીવન માટે વધુ બાળકોની દેખભાળની ફિકર અને મહેનતથી મુકિત મેળવવાના હેતુથી ગર્ભનિરોધક હંગામી ઉપાય કરવો પણ નાજાઈઝ છે.
અલબત્ત, જે ઓરતને ટૂંકાગાળે વારંવાર પ્રસૃતિ થવાથી તેની અથવા દૂધ પીતા બાળકની તંદુરસ્તી ખરેખર જોખમાતી હોય અથવા કોઈ એવી બીમારી હોય કે જેમાં ગર્ભધારણ કરવાથી બીમારી વધી જવાનો ભય હોય તો આવી ખાસ ખાસ ઓરતો માટે અનિવાર્ય સંજોગોમાં ગર્ભ નિરોધક હંગામી ઉપાય કરી બે બાળકોના જન્મ વચ્ચે ત્રણ વર્ષનું અંતર રાખવું એ વિના કરાહતે જાઈઝ છે. (શામી–ર)
Log in or Register to save this content for later.