Chapter : નમાઝ
(Page : 143-144)
સવાલ :– ફજરની ફર્ઝ નમાઝમાં ઈમામ સાહેબે કિયામની હાલતમાં સૂરએ ફાતિહા પઢી, પછી તરત જ રુકૂઅમાં ચાલ્યા ગયા અને સૂરએ ફાતિહા સાથે કોઈ સૂરત ન મીલાવી, પછી સજદએ સહવ કર્યો હતો તો શું નમાઝ થઈ જાય કે લોટાવવી પડે?
ઈમામ સાહેબનું કહેવું છે કે નમાઝ થઈ જાય. ત્યારે નમાઝીઓએ જમાઅતખાનાની બહાર સહનમાં ફરી જમાઅત ઉભી કરી નમાઝ પઢી તો એનો શું હુકમ છે? અને આ બીજી જમાઅતમાં પાછળથી આવેલ ચાર–પાંચ નમાઝીઓ શામિલ થયા હતા. જેમને ઉપરોકત મસ્અલાની ખબર ન હતી, તો પાછળથી શામેલ થયેલ નમાઝીઓની નમાઝ થઈ જશે કે નમાઝ દોહરાવવી પડશે.
જવાબ :– ઈમામ સાહેબ ફર્ઝ નમાઝની જે રકઅતમાં સૂરએ ફાતિહા પછી સૂરત પઢવી વાજિબ છે તે પઢવાનું ભૂલી ગયા અને રુકૂઅમાં ચાલ્યા ગયા અને રુકૂઅમાં અથવા કવ્મહમાં યાદ આવ્યું તો તેઓએ કિયામમાં જઈ હાથ બાંધીને સૂરત પઢી લેવી જોઈએ અને રુકૂઅ કવમહ ફરીથી કરવો જોઈએ અને સજદએ સહવ પણ કરવો જોઈએ. જો સજદહમાં અથવા તે પછી યાદ આવે તો ત્રીજી રકઅતમાં સૂરએ ફાતિહા પછી સૂરત પઢી લે, જહરી નમાઝ હોય તો સૂરએ ફાતિહા અને સૂરત બન્ને ત્રીજી રકઅતમાં અવાજથી પઢે અને સિર્રી નમાઝ હોય તો બન્નેવ આહિસ્તા પઢે અને આ સૂરતમાં પણ સજદએ સહવ કરે, આ પ્રમાણે સૂરત પઢી લેવી મુસ્તહબ છે. જો ઉપર પ્રમાણે યાદ આવવા છતાં સૂરત ન પઢી અને ભૂલથી સૂરએ ફાતિહા પછી સૂરત છૂટી જવા બદલ સજદએ સહવ કરી લીધો તો પણ નમાઝ દુરૂસ્ત થઈ ગઈ, હવે તે નમાઝ દોહરાવવાની જરૂરત નથી.
(શામી –૧/૩૬૦, ઈ.ફતાવા –૧/ર૬૧)
જો સૂરતનું છૂટવું તે જ રકઅતના રુકૂઅ અથવા કવમહમાં યાદ આવી જાય તો અમુક મુફતી સાહેબો કિયામ તરફ લોટીને સૂરત પઢવાને વાજિબ કહે છે. અને મજકૂર હાલતમાં યાદ આવવા છતાં ન પઢે તો ચાહે સજદએ સહવ કરે તે છતાં નમાઝ દોહરાવવાને વાજિબ કહે છે. પૂછેલી સૂરતમાં ઈમામ સાહેબને રુકૂઅ અથવા કવ્મહમાં સૂરત છૂટવાનું યાદ આવી ગયું હતું તે છતાં સૂરત ન પઢી અને ફકત સજદએ સહવ કરી લીધો. તો આ બીજા મંતવ્ય મુજબ જે લોકોએ નમાઝ લોટાવી તેમાં પણ વાંધો નથી. પરંતુ તે બીજી જમાઅતમાં જે નવા નમાઝીઓ શરીક થયા, તેઓની ફર્ઝ નમાઝ અદા થઈ નથી. તેઓએ ફર્ઝ નમાઝ ફરીથી પઢવી પઢશે.
(શામી –૧/ ૩૦૭, તહતાવી, અહ.ફતાવા– ૩/ર૩, ફ.મહમૂદિય્યહ–ર/૧૭, ઈ.ફતાવા–૧)
Log in or Register to save this content for later.