[રપ૭] ખુશીના પ્રસંગોમાં મર્દ ઓરત રિશ્તેદારોએ પરસ્પર ચુંબન કરવું

Chapter : નિકાહ

(Page : 295-296-297-298-299-300)

સવાલ :– આફ્રિકા તથા યુરોપના અમુક દેશોમાં એવા રિવાજ છે કે દરેક ખૂશીના પ્રસંગે જેમ કે શબે બરાઅત, શાદી, ઈદના પ્રસંગે તેમજ મુસાફરીમાં જતાં આવતાં મુલાકાતના મોકા ઉપર સગાં વહાલાંઓ મર્દો અને ઓરતો પરસ્પર એક બીજાને ગાલ ઉપર બોસો આપે છે. સાસુમાં પોતાના જમાઈને બોસો આપે છે. તેમજ જુવાન છોકરીઓ પોતાના કાકાઓ, કાકીઓ અને મામાઓને બોસો આપે છે. તેમજ નવજવાન છોકરાઓ પોતાના માં–બાપને પણ બોસો આપે છે, તેમજ પુરૂષો પોતાની ઓરતની બહેનને (સાળીને) પણ બોસો આપે છે. કાકા ભાઈ બહેનો અને માસી ભાઈ બહેનો પણ પરસ્પર એક બીજાને બોસો આપે છે. તો આ રિવાજ બાબત શરીઅતનો શું હુકમ છે?

જવાબ :– સામાન્ય રીતે સમાજમાં જે મર્દો અને ઓરતોને પરસ્પર એકબીજાના રિશ્તેદાર ગણવામાં અને સમજવામાં આવે છે, શરીઅતના ઘણા મસાઈલની દ્રષ્ટિએ તેમના બે પ્રકાર છે (૧) મહરમ રિશ્તેદાર (ર) ગેર મહરમ રિશ્તેદાર.

                મહરમ રિશ્તેદાર : – એવા મર્દ અને ઓરતને પરસ્પર મહરમ રિશ્તેદાર કહેવામાં આવે છે કે નસબી (વંશીય) રિશ્તેદારીના કારણે અથવા નિકાહની રિશ્તેદારીના કારણે જેઓ માટે જીંદગીભર એક બીજાથી નિકાહ કરવા નાજાઇઝ અને હરામ છે, જેમકે સવાલમાં દર્શાવેલ રિશ્તેદારોમાંથી સસરા અને વહુ, સાસુ અને જમાઈ, માં અને પુત્ર, કાકા અને ભત્રીજી, મામાં અને ભાણી, માસી અને ભાણ્યો, ફોય અને ભત્રીજો, નાની અને નવાસો, દાદી અને પૌત્ર, બાપ અને દીકરી, દાદા અને પૌત્રી, નાના અને નવાસી, ભાઈ બહેન આ બધા પરસ્પર એક બીજાના મહરમ રિશ્તેદારો છે.

                જો આ મહરમ રિશ્તેદારો પરસ્પર એક બીજાને ચુંબન કરવામાં મર્દ અને ઓરત બન્‍નેવમાંથી દરેક જ પોતાની જાત વિશે એ વાતનો પૂરો સંતોષ અને વિશ્વાસ વ્યકત કરે કે પરસ્પર બોસો આપવામાં બેમાંથી કોઈને પણ શહવત અને લઝઝતનો અનુભવ અને અસ્તિત્વ નહિં થાય તો મોઢું અને ગાલને છોડીને માત્ર એક બીજાના માથાને, પેશાનીને અથવા હાથ પગને ચુંબન કરી શકે છે અને જો એક બીજાને ચુંબન કરવામાં મહરમ રિશ્તેદાર મર્દ અને ઓરતમાંથી કોઈ એકને પણ શહવત (વાસના) અને લઝઝતનો અનુભવ અને અસ્તિત્વ થવાનો ભય અને માત્ર શંકા હોય તો મજકૂર મહરમ રિશ્તેદાર મર્દો અને ઓરતોએ પરસ્પર એક બીજાના મજકૂર અંગોને ચુંબન કરવુું પણ નાજાઇઝ અને હરામ છે અને આ મહરમ રિશ્તેદારો જો એક બીજાના મજકૂર અંગોને શહવત સાથે બોસો આપશે અને બોસો આપનાર અને લેનાર બંનેમાંથી મર્દની ઉમર કમથી કમ ૧ર વર્ષની અને ઓરતની ઉમર કમથી કમ ૯ વર્ષની  હશે તો બન્‍નેવમાં હુરમતે મુસાહરત સાબિત થઈ જશે અને તેના કારણે તે બંનેના બીજા રિશ્તેદારોના નિકાહ ઉપર પણ અસર પડશે.

                મહરમ મર્દ અને ઓરતે એક બીજાના મોઢા અથવા ગાલ ઉપર બોસો આપવાના હુકમની વિગત આ પ્રમાણે છે કે જો છોકરો ૧ર વર્ષની નાની ઉંમરનો હોય અથવા છોકરી ૯ વર્ષથી નાની ઉમરની હોય, મતલબ કે પરસ્પર બોસાની આપ–લે કરનાર બન્‍ને મહરમ રિશ્તેદારોમાંથી કોઈ એક શહવતની મજકૂર ઉંમરે ન પહોંચ્યું હોય, ચાહે બીજો પક્ષ પહોંચી ચુકયો હોય અને બોસો આપવામાં શહવતપાત્ર પક્ષને શહવત પેદા થવાનો ભય અને શંકા ન હોય તો આ સૂરતમાં શહવત સાથે બોસાની આપ – લે થવાથી હુરમતે મુસાહરત તો સાબિત નહિ થાય, પરંતુ બન્‍નેમાંથી શહવતપાત્ર પક્ષ માટે આવી હાલતમાં બીજાને બોસો આપવો જાઈઝ નથી.

                જો બોસાની આપ–લે કરનાર બન્‍નેવ મહરમ રિશ્તેદારોમાંથી મર્દની ઉમર ૧ર વર્ષ કે તેથી વધુ હોય અને ઓરતની ઉમર ૯ વર્ષ કે તેથી વધુ હોય તો આવી સૂરતમાં એક બીજાના મોઢા અથવા ગાલ ઉપર બોસો આપવા મુતલક નાજાઇઝ છે, કારણકે આવી સૂરતમાં મહરમ રિશ્તેદારોમાંથી મર્દ અને ઓરતે એક બીજાને મુતલક બોસો આપવાને ફુકહાએ કિરામે હુરમતે મુસાહરત સાબિત થઈ જવાનું કારણ બતાવ્યું છે અને આવા બોસાને શહવતી બોસો હોવાનો હુકમ આપ્યો છે. (શામી–ર/ર૮ર)

                ઉપરની વિગતથી માલૂમ પડયું કે જો સસરા પોતાની પુત્રવધુને ગાલ અથવા મોઢા ઉપર બોસો આપશે તો વહુ પોતાના પતિ માટે હંમેશા માટે હરામ થઈ જશે. સાસુ પોતાના જમાઈને ગાલ અથવા મોઢા ઉપર બોસો આપશે તો તેની પુત્રી જમાઈ માટે હંમેશા માટે હરામ થઈ જશે. જુવાન છોકરીઓ પોતાના કાકાઓ અને મામાઓને ગાલ ઉપર બોસો આપશે તો કાકા, મામાના છોકરાઓ માટે તે છોકરીઓ હંમેશા માટે હરામ થઈ જશે. નવજુવાન છોકરાઓ પોતાની માસીઓ અને ફોઈઓને ગાલ ઉપર બોસો આપશે તો માસીઓ અને ફોઈઓની છોકરીઓ તે છોકરાઓ માટે હંમેશા માટે હરામ થઈ જશે.

                ખુલાસો એ કે મહરમ મર્દ અને ઓરત રિશ્તેદારોએ આ પ્રમાણે ગાલ અથવા મોઢા ઉપર એક બીજાને બોસો આપવો નાજાઈઝ છે અને તેનાથી બચવું ખૂબ જરૂરી છે. હઝરત મવલાના થાનવી (રહ.) લખે છે કે ”માટે પતિએ પત્નીના નારી ઉસૂલ (પત્નીની માં, દાદી, નાની) અને પત્નીના નારી ફુરૂઅ (પત્નીની છોકરી, પોત્રી, નવાસી)થી અને પત્નીએ પતિના નર ઉસૂલ (પતિના બાપ, દાદા, નાના) અને પતિના નર ફુરૂઅ (પતિના પુત્ર, પૌત્ર, નવાસા)થી સખત બચવું જરૂરી છે. કારણ કે તેઓને શહવત સાથે હાથ લગાડવા વગેરે કૃત્યોમાં સખત ગુનાહ થવા સિવાય આ મોટી ખરાબી (પણ) છે કે પતિ – પત્નીમાં હુરમતે મુસાહરતનો સંબંધ સાબિત થઈ જાય છે. (અને એક બીજા માટે હરામ થઈ જાય છે) એટલે કે જો પતિથી પોતાની પત્નીના નારી ઉસૂલ અથવા ફુરૂઅમાંથી કોઈને સાથે કોઈ એવી વર્તણૂંક થઈ જાય અથવા પત્નીના નારી ઉસૂલ અને ફુરૂઅમાંથી કોઈએ તેના પતિ સાથે કોઈ એવી વર્તણૂંક કરી લીધી જે વર્તણૂંક હુરમતે મુસાહરત સાબિત કરે છે, દા.ત, પત્ની પોતાના સસરા સાથે હુરમતે મુસાહરત સાબિત કરનાર કોઈ કામ (શહવતી ચુંબન, શહવતી સ્પર્શ, વ્યાભિચાર) કરી બેસે અથવા સસરાએ (પોતાની પુત્રવધુ સાથે) એ પ્રમાણેની વર્તણૂંક કરી હોય તો આ બધી સૂરતોમાં પત્ની પોતાના પતિ માટે હંમેશા હંમેશને માટે હરામ થઈ જાય છે, ચાહે આવી વર્તણૂંક ઈરાદાપૂર્વક કરવામાં આવી હોય, હર હાલમતમાં એક જ હુકમ છે.      (અલ્‌ હીલતુન્‌ નાજિઝહ – ૯૧/૯૩)

                ગેર મહરમ રિશ્તેદાર :  જે મર્દ અને ઓરત વચ્ચે માં–બાપ તરફથી ખાનદાની રિશ્તેદારી તો હોય, પરંતુ તે બંનેએ એક બીજાથી નિકાહ કરવા હંમેશા માટે હરામ ન હોય, આવા મર્દ અને ઓરતોમાંથી દરેક બીજા માટે ગેર મહરમ ગણાશે, જેમ કે સવાલમાં લખેલા રિશ્તેદારોમાંથી ભાણો અને મામી, ભત્રીજો અને કાકી, બનેવી અને સાળી, કાકાભાઈ અને કાકાબહેન, માસીભાઈ અને માસીબહેન, મામાભાઈ અને ફોયબહેન, ફોયભાઈ અને મોમાબહેન આ બધા પરસ્પર એક બીજાના રિશ્તેદારો તો છે, પણ ગેર મહરમ રિશ્તેદારો છે.

                આવા ગેર મહરમ રિશ્તેદારો માટે પરસ્પર એક બીજાને બોસો આપવામાં હુકમ આ છે કે કોઈ પણ સૂરતમાં જાઈઝ નથી, ચાહે મોઢા અને ગાલ ઉપર હોય કે શરીરના બીજા કોઈ ભાગ ઉપર હોય અને ચાહે શહવત અને લઝઝત સાથે હોય કે માત્ર મહોબ્બત અને તઅઝીમના  ઈઝહારરૂપે હોય અને શહવતનો ભય હોય કે ન હોય, અહિંયા સુધી કે આવા ગેર મહરમ મર્દ અને ઓરત રિશ્તેદારે એક બીજાના શરીરને (હાથ, પગ, ચહેરા, માથાને) શહવત વિના પણ હાથ લગાડવો નાજાઈઝ અને મના છે, બલ્કે આવા ગેર મહરમ રિશ્તેદારોએ શરઈ પર્દાની પાબંદી કરવી જોઈએ.

(શામી–૧/ર૭ર, પ/ર૩પ)

                ઉકત છણાવટથી એ વાત સ્પષ્ટ થઈ કે મજકૂર ગેર મહરમ રિશ્તેદારોમાંથી જો ભાણો મામીને અથવા મામી ભાણાને અને ભત્રીજો કાકીને ગાલ અથવા મોઢા ઉપર બોસો આપશે અથવા શહવત સાથે મુસાફહો કરશે તો મામીની છોકરી ભાણા માટે અને કાકીની છોકરી ભત્રીજા માટે સદા માટે હરામ થઈ જશે.

                હદીષ શરીફમાં ઓરત તરફ શહવતથી નઝર કરવાને, શહવતથી તેના શરીરને હાથ લગાડવાને, તેની સાથે શહવતથી વાતચીત કરવાને અને નફસની લઝઝત અને ખ્વાહિશને ઝિના બતાવવામાં આવ્યું છે. ચાહે મહરમ ઓરત હોય કે ગેર મહરમ ઓરત હોય.       (મિશ્કાત શરીફ, કિતાબુલ કદ્ર)

Log in or Register to save this content for later.