[રપપ] ગેર મહરમ ઓરતોનું દુલ્હાને મહેંદી લગાડવું

Chapter : નિકાહ

(Page : 291-292-293-294)

સવાલઃ– હાલમાં શાદી લગ્નનો સમયગાળો હોય શાદીમાં થતા ગેર ઈસ્લામી કાર્યો ઉપર કામ થઈ રહયું છે અને બધાએ ભેગા મળીને નીચે દર્શાવેલ પાંચ બદીઓ કાઢવાનું નકકી કર્યું છે.

(૧) દુલ્હાને મહેંદી લગાડવાનો રિવાજ :– શાદીથી એક દિવસ પહેલાં રાત્રે દુલ્હનના ઘરેથી દુલ્હનની બહેનો–સહેલીઓ દુલ્હાના ઘરે જઈ દુલ્હાના હાથમાં મહેંદી લગાડે છે અને ઝબરદસ્તી પ૦૦ થી ૧૦૦૦ રૂપિયા રોકડા દુલ્હા પાસેથી વસૂલ કરે છે, તો આ પ્રમાણે મહેંદી લગાડવી તથા પૈસા  લેવા – આપવા કેવા છે ?

(ર) નંગ વશનના પડીકા :– દુલ્હાના ઘરેથી દુલ્હનના ઘરે નાની બિસ્કિટના બે પડીકા મોકલવામાં આવે છે, એક ગુપ્ત પડીકું જે સવારના વહેલા ઓરતો મારફતે અને બીજુ પડીકુ ૧૦ – ૧૧  વાગે પુરુષો મારફતે મોકલવામાં આવે છે જેને ”વશન” નું પડીકું કહેવાય છે, (વશન એ વિષણુ ઉપરથી બનેલ છે અને વિષ્ણુ એક મુર્તિનું નામ છે) આ પડીકાઓમાં બિસ્કીટ સિવાય મોરસ પણ હોય છે, પડીકાઓ લગભગ પ – ૧૦ કિલોના હોય છે, લોકો આ બન્‍નેવ પડીકાઓ આપવાનું ખૂબ જ જરૂરી સમજે છે, તો તેનો શું હુકમ છે ?

(૩) પાલ – પાઘડી  :– દુલ્હન પક્ષ તરફથી પાલ – પાઘડી – શેરો (ફુલોનો હાર) ના નામે રૂપિયા ૧૦૦૦ /– સુધીની રકમ દુલ્હા પક્ષને આપવામાં આવે છે અને સાથે સાથે દાદી અને નાનીના ઓઢણાના નામે પૈસા આપવામાં આવે છે, આ રિવાજ મુજબ આપવું જ પડે છે અને જો ન આપવામાં આવે તો મહેંણા – ટોણા મારવામાં આવે છે તો આ વિશે શું હુકમ છે ?

(૪) દૂધ પિવડાવવાની રસમ : શાદીના દિવસે દુલ્હનના ઘરેથી ઓરતો અથવા પુરુષો મારફત દુલ્હાને દૂધ પિવડાવ્વામાં આવે છે અને તેમાં એવી માન્યતા છે કે આ પ્રમાણે દૂધ પિવડાવવાથી અલા – બલા દૂર થાય છે અને ન પીવડાવવાથી તલાક થઈ જાય છે. મિયાં– બીવીમાં વિખવાદ થાય છે વિગેરે… તો આવી માન્યતા કેવી? અને દૂધ પિવડાવવાનો રિવાજ કેવો?

(પ) દુલ્હનને બીજા દિવસે બોલાવ્વું : શાદીના બીજા દિવસે દુલ્હા પક્ષ તરફથી બપોરના સમય દરમિયાન સ્ત્રીઓ મોટા જથ્થામાં ખૂબ જ બે પરદગીથી દુલ્હનને બોલાવવા જાય છે અને આખા રસ્તામાં એક પ્રકારનો હંગામો મચાવી દે છે. (આ રિવાજો રૂખ્સતી સિવાયનો છે)

ઉપરોકત દર્શાવેલ પાંચ બાબતો વિશે કુર્આન અને હદીષશરીફની રોશનીમાં વિગતવાર જવાબ આપી આભાર કરશો.

જવાબઃ– મજકૂર રસમમાં દીની દ્રષ્ટિએ ઘણી ખરાબીઓ અને નાજાઈઝ કામો થાય છે,

(૧) ઝીનત માટે હાથ પગ ઉપર મહેંદી લગાડવી ઓરતો માટે જાઈઝ છે, મર્દો માટે હાથ – પગ ઉપર મહેંદી લગાડવી જાઈઝ નથી અને મહેંદી લગાડવામાં ઓરત સાથે સમાનતા અને મુશાબહત છે, જેની હદીસ શરીફમાં મનાઈ અને વઈદ આવેલી છે, હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે ઓરતો સાથે મુશાબહત અપનાવનાર પુરુષો ઉપર અલ્લાહ તઆલાની લઅનત છે.    (ન.મુફતી, મિશ્કાત – ૩૮૦)

(ર) દુલ્હનની બહેનો અને સહેલીઓએ દુલ્હા માટે અજનબી – પરાયી ઓરતો છે અને તેમણે દુલ્હાથી પરદો કરવો જરૂરી છે અને તેમના માટે દુલ્હાના શરીરને મહેંદી લગાડવી, હાથ લગાડવો પણ નાજાઈઝ છે. (શામી ભા. પ) હુરમતે મુસાહરતનો પણ ભય છે.

(૩) દુલ્હા પાસેથી આવુ ગુનાહિત કૃત્ય કરી પ૦૦/– કે ૧૦૦૦/– રૂપિયા આગ્રહ પૂર્વક લેવા એ પણ નાજાઈઝ  અને હરામ છે, હદીસ શરીફમાં છે કે કોઈ માણસનો માલ તેની દિલી ખુશી વિના લેવો હલાલ નથી.(બયહકી / મિશ્કાતઃ રપપ)

                મજકૂર ખરોબીઓને કારણે મજકૂર રસમ અને રિવાજનો ત્યાગ કરવો જરૂરી છે.

જવાબઃ (ર) આ રસમમાં ગેરોની મુશાબહત છે અને  રસમની પાબંદી અને બદનામીથી બચવાના  દબાવ હેઠળ મજકૂર વસ્તુઓની લેવડ – દેવડ એ નાજાઈઝ છે.

જવાબ :(૩) શેરાના નામથી રકમ દેવાની રસમનો શરીઅતથી કોઈ સુબૂત નથી, મજકૂર રસમ ગેર મુસ્લિમોના સમાજમાંથી મુસ્લિમોમાં આવી છે, જેનો ત્યાગ કરવો જરૂરી છે.  (ઈ. રુસૂમ)

જવાબઃ (૪) આવી માન્યતાથી દૂધ પીવડાવવાનો કે પીવાનો શરીઅતથી કોઈ સુબૂત નથી આવી માન્યતા રાખવી ઈસ્લામી તા’લીમના વિરૂધ્ધ છે માટે આવી માન્યતાથી દૂધ પીવા – પીવડાવવાની રસમનો ત્યાગ કરવો જરૂરી છે.

જવાબ :(પ) આ રસમ પણ ઈસ્લામી તા’લીમના સદંતર વિરૂધ્ધ છે તેનો ત્યાગ  કરવો જરૂરી છે ઓરતને દુલ્હાને ઘરે પહોંચાડવામાં સુન્‍નત તરીકાની પેરવી કરવી જોઈએ.

Log in or Register to save this content for later.