[ર૯પ] ખસ્સી જાનવરની કુરબાની

Chapter : કુરબાની

(Page : 370-371-372)

સવાલઃ–  જે જાનવર કોઈ પણ રીતે ખોડ ખાપણવાળું હોય તે જાનવર કુરબાનીના લાયક ગણાતું નથી, આ મસ્અલો અમો જાણીએ છીએ અને આ મસ્અલો જોતાં એક સવાલ ઉપસ્થિત થાય છે કે કુરબાનીના બકરાને ખસ્સી કરાવી તેની કુરબાની કરવાને લોકો બેહતર સમજે છે. તો ખસ્સીવાળુ જાનવર ખોડ ખાપણવાળું ગણાય કે નહિ? અગર તેને ખોડ ખાપણવાળું ગણવામાં ન આવે અને કુરબાની થઈ શકે તો એ વિશે શું મસ્અલો છે?

જવાબઃ– કુરબાનીના જાનવરનું અને ગોશ્ત ખાવા માટે પાલવેલા જાનવરનું ખસ્સી હોવું એ ખોડ નહિ ગણાય, બલ્‌કે મજકૂર જાનવરનું ખસ્સી હોવું ઉત્તમ અને ઈચ્છિત ગણાશે, કારણકે ખસ્સી કરવાથી કુરબાનીના જાનવરમાં અને ગોશ્ત માટે પાલવેલા જાનવરમાં કોઈપણ ઉણપ આવતી નથી, બલ્‌કે ખસ્સી કરવાથી તેનો ગોશ્ત વધુ ઉમદા અને લિજજતદાર બને છે. અને આ પ્રકારના જાનવરને ખસ્સી કરી તેમાંથી ગુપ્ત અંગોને કાઢી નાખવા અથવા નકામા બનાવી દેવા એ દ્રષ્ટિએ પણ ખોડ નથી કે આ અંગો મજકૂર જાનવરમાં મકસૂદ નથી અને આ અંગોનું ખાવું હલાલ પણ નથી અને ખસ્સી બકરો બાહૃા દેખાવમાં તાજો માજો, સુંદર અને સ્વચ્છ લાગે છે અને એટલા જ માટે સામાન્ય રીતે કુરબાનીના જાનવરોમાં આખા બકરા કરતાં ખસ્સી બકરાની કિંમત વધુ હોય છે.          (ઈ.ફતાવા–૩/પ૪૯)

                હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ બે એવા મેંઢાઓની (ઘેટાઓની) કુરબાની ફરમાવી હતી, જે બંને મોટા શિંગડાવાળા, કાબરચિતરા અને ખસ્સી હતા. આ હદીસ અનેક સહાબાએ કિરામ (રદિ.)થી હદીસ શરીફની અનેક કિતાબોમાં નકલ કરવામાં આવી છે. મજકૂર હદીસ હઝરત જાબિર (રદિ.)થી સુનને અબૂ દાવૂદ અને ઈબ્ને માજહમાં નકલ છે. હઝ. આઈશહ તથા હઝરત અબૂ હુરૈરહ (રદિ.)થી સુનને ઈબ્ને માજહ, મુસ્નદે અહમદ, મુસ્તદરકે હાકિમ અને શૈખ અબૂ નુઐમ (રહ.)ની કિતાબ અલ– હિલ્યહમાં નકલ છે. હઝરત અબૂ રાફિઅ (રદિ.)થી ઈમામ અહમદ અને શૈખ ઈસ્હાક બિન રાહવૈહ (રહ.)ની મુસનદોમાં, શૈખ તબરાની (રહ.)ની મુઅજમમાં નકલ છે અને હઝરત અબૂ દરદાઅ (રદિ.)થી મુસ્નદે અહમદમાં નકલ છે.                (નસ્બુ–ર્‌–ર્રાયહ ભા.૪, તુ.અહવઝી–ર)

                ઉકત વિગત મુજબ ખસ્સી બકરાની કુરબાની જયારે વિશ્વાસ પાત્ર હદીસથી સાબિત છે તો તેના ખસ્સી હોવાને ખોડ સમજવી દુરસ્ત નથી અને તેની કુરબાની વિના શંકાએ જાઈઝ છે. બલ્‌કે આખા બકરા કરતાં અફઝલ છે. માટે ફુકહાએ કિરામ (રહ.) મજકૂર હદીસની દલીલ ટાંકીને લખે છે કે એવો મેંઢો જે કાબરચિતરો (અથવા સફેદ) મોટા શિંગડાવાળો અને ખસ્સી હોય તે કુરબાનીના નાના જાનવરોમાં સૌથી ઉત્તમ અને અફઝલ છે. ઈમામ અબૂ હનીફહ (રદિ.)થી ખસ્સી જાનવરની કુરબાની વિશે પૂછવામાં આવ્યું તો તેઓએ જવાબ આપ્યો કે ખસ્સી થઈ જવાથી જાનવરના ગોશ્તમાં જે વધારો થાય છે તે ગેરખસ્સી કરતાં વધુ લાભકારક છે. (બદાઈઅ–પ/૮૦)

Log in or Register to save this content for later.