[ર૮૧] ચરાયના બકરાની કુરબાની

Chapter : કુરબાની

(Page : 358-359-360)

સવાલઃ– એક માણસે ચરાયનો બકરો કુરબાની માટે રાખ્યો છે, એટલે કે એણે માલિકને બકરાની થતી વ્યાજબી કિંમતમાંથી અડધી કિંમત આપી ખરીદ કર્યો કેમકે માલિકે એને અડઘે ભાગે આપ્યો હતો. તો શું આ બકરાની કુરબાની જાઈઝ છે કે નહિ? અને માલિક માટે આ વેચાણ જાઈઝ છે કે નહિ? અને જો અસલ માલિક આ બકરાને અડધી કિંમતે ખરીદ કરી કુરબાની માટે રાખે તો શું ફર્ક પડશે? સાંભળવામાં આવ્યું છે કે બન્‍નવની કુરબાની કબૂલ થશે નહિ અને જો તે બકરીનો બકરો અડધી કિંમત આપી ખરીદ કરવામાં આવે જે અડધે ભાગે કે કુકડ ભાગે બીજાને ચરાય પર આપવામાં આવે તેનો શું હુકમ છે?

જવાબઃ– કોઈ માણસે પોતાની બકરી કુકડ ભાગે કે બકરી અથવા બકરો અડધા ભાગે ચરાય માટે આપવું જાઈઝ નથી, માટે એ પ્રમાણે ચરાય માટે આપવું ન જોઈએ.

                જો કોઈએ મસ્અલાથી અજાણ હોવાને લઈ આપી દીધું છે તો બકરી અને એનાથી જન્મેલો બકરો અથવા અડધા ભાગે ફકત બકરો આપ્યો હોય તો તે અસલ ચરાય પર આપનાર માલિકના જ સમજવામાં આવશે. અને ચરાય પર લેનાર પાસે તે અસલ માલિકની અમાનત ગણાશે.

                આપનાર માલિક માટે જરૂરી છે કે લેનારને અત્યાર સુધી ઉછેર ખર્ચ અને વ્યાજબી મહેનતાણું આપી દે. બાકી ચરાય પર લેનારનો જાનવરમાં કોઈ હકક નથી.   (ખુલાસતુલ ફતાવા–૩/૧૧૪)

                મઝકૂર મસ્અલાથી એ વાતની ચોખવટ થઈ ગઈ કે ચરાયના બકરાની માલિકી તો ફકત અસલ માલિકની જ છે અને કુરબાની દુરસ્ત થવા માટે જરૂરી છે કે કુરબાની કરનારની માલિકીનું જાનવર હોય, માટે અસલ માલિક માટે તો એ બકરાની કુરબાની વિના શંકાએ જાઈઝ છે, પરંતુ ચરાય પર લેનાર માટે જાઈઝ નથી. કારણકે એનું અડધી કિંમત આપી ખરીદવું દુરસ્ત ન હોવાથી એ પૂરા બકરાનો માલિક બન્યો નથી, બકરો અસલ માલિકનો જ રહયો છે. હા, અસલ માલિક પૂરી કિંમત લઈ બકરો ચરાય પર લેનારને વેચી દે અને ઉપરના મસ્અલા મુજબ વ્યાજબી મહેનતાણું અને બીજો કરેલો ખર્ચ તેને અલગ આપી દે તો ચરાય પર લેનાર માટે પણ આ બકરાની કુરબાની દુરસ્ત થઈ જશે. (બદાઈઅ–પ/૭૬, શામી –પ/ર૧૦)

Log in or Register to save this content for later.