[ર૦૯] પંચ કમિટીએ મહરની મિકદાર નકકી કરવી

Chapter : નિકાહ

(Page : 256-257-258)

સવાલ :–  અમારે ત્યાં ઝાલોદમાં અમારી પંચ કમિટીનો એવો ઠરાવ છે કે કોઈ પણ વ્યકિત નિકાહ કરે તો તેની મહર રૂપિયા ૧૧૦૦૦/– (અગિયાર હજાર) ફરજિયાત રાખવી અને આ મહરની રકમ કોઈ પણ વ્યકિત માલદાર કે ગરીબ રોકડ આપતા જ નથી. મહર ઉધાર જ રહે છે અને આટલી મહર રાખવાનું કારણ એ છે કે લોકો તલાક આપવાથી બચે, પરંતુ સાથે સાથે એ પણ છે કે અમુક માણસો તલાક આપી દે છે અને ગરીબી હોવાના કારણે મહર ચુકવી શકતા નથી તો તેના માટે શું કરવું?

                હું મારા ભાઈના નિકાહ ભરૂચ ઈજતેમામાં કરવા ચાહું છું અને હું ચાહું છું કે મહર રોકડ આપું, પરંતુ રૂપિયા ૧૧૦૦/– (અગિયાર સો રૂપિયા) સુધીની મહર  રોકડ આપી શકુ તેમ છું અને છોકરીવાળા પણ આ મહેર ઉપર રાજી થઈ જાય તો તેમ કરવું કેવું છે? ખાસ પૂછવાનું એ કે જયારે અમારા ગામની પંચ કમિટીને ખબર પડે કે આ લોકોએ મહેર રૂપિયા ૧૧૦૦/– રાખી છે તો પંચ કમિટી ઓબ્જેકશન કરે અને તેમના ઓબ્જેકશન ખાતર રૂપિયા ૧૧૦૦/– ની જગ્યાએ રૂપિયા ૧૧૦૦૦/– નિકાહના રજિસ્ટરમાં લખવું કેવું અને નિકાહના રજિસ્ટરમાં રૂા ૧૧૦૦૦/– લખીએ તો ચાલે, હાલાંકે મહર રોકડ આપી છે રૂપિયા ૧૧૦૦/– (અગિયાર સો), રજિસ્ટરમાં રૂા ૧૧૦૦૦/– મહેર રોકડ લખવી કે ઉધાર? અને રૂા ૧૧૦૦૦/– લખવાથી રૂા ૧૧૦૦૦/– આપવી પડે કે નહીં? ઝબાનથી તેમના (પંચ  કમિટીના સામે) ૧૧૦૦૦/– કહેવું પડે પણ દિલમાં તો રૂપિયા ૧૧૦૦/– છે, જયારે છોકરી પાસે ઈજાઝત લેતી વખતે રૂપિયા ૧૧૦૦/– (અગિયારસો)ની ઈજાઝત લઈએ.

જવાબ :– મહરનું પ્રમાણ નકકી કરવાનો અધિકાર નિકાહ પઢનાર મર્દ તથા ઓરતને છે. તેઓ લગભગ પોણા ત્રણ તોલા ચાંદી અથવા તેથી વધુ કોઈ પણ પ્રમાણમાં ચાંદી અથવા તેટલી ચાંદીની કિંમત બરાબર રોકડ રૂપિયા બન્‍ને પક્ષોની રાજીખૂશીથી નકકી કરી શકે છે, મહરનું લઘુત્તમ પ્રમાણ નકકી કરવાનો અધિકાર પંચ કમિટીને નથી અને તેઓએ નકકી કરેલ પ્રમાણ શરઈ દ્રષ્ટિએ પંચના સભ્યોને બંધનકર્તા પણ નથી. અને પંચે માલદાર, ગરીબ દરેક માટે આવી મોટી રકમ મહર તરીકે નકકી કરવી એ મહર બાબત નબવી તા’લીમને અનુરૂપ પણ નથી, મોટી મહર નકકી કરીને તે ન આપવાની નિય્યત કરવી અથવા ન આપવી એ પણ ગુનાહનું કામ છે, હદીષ શરીફમાં તેના ઉપર વઈદ આવેલી છે, ઓછી મહર નકકી કરીને વધુ મહર લખવી એ પણ એક પ્રકારનું જુઠ છે, જે જાઈઝ નથી.

                માટે છોકરો અને છોકરી સ્વેચ્છાએ રાજીખૂશીથી ૧૧૦૦ (અગિયાર સો) રૂપિયા મહર નકકી કરવા રાજી હોય તો તેટલી જ મહર નકકી કરવી જોઈએ અને રજીસ્ટરમાં તેટલી જ મહર લખવી જોઈએ, પંચ કમિટીને આવા ગેર શરઈ બંધારણથી દૂર રહેવું જોઈએ. શરીઅતમાં વધુ મહર પસંદ પણ નથી.       (ફ.મહમૂદિય્યહ – ૭, શામી–ર)

Log in or Register to save this content for later.